- National
- સરકારી ટીચર બનતા જ બદલાઈ ગઇ પત્ની, પતિ સાથે રહેવાનો કર્યો ઇનકાર; ભરતીમાં પોતાને 'અપરિણીત' ગણાવી
સરકારી ટીચર બનતા જ બદલાઈ ગઇ પત્ની, પતિ સાથે રહેવાનો કર્યો ઇનકાર; ભરતીમાં પોતાને 'અપરિણીત' ગણાવી
મુઝફ્ફરપુરમાં નિયુક્ત એક BPSC શિક્ષિકાને લઇને વિવાદ ઉભો થયો છે. શિક્ષિકાના પતિ અને તેના પરિવારનો આરોપ છે કે શિક્ષક ભરતી પ્રક્રિયા દરમિયાન તેણે પોતાને અપરિણીત ગણાવીને નોકરી મેળવી, જ્યારે તે સમયે તેના લગ્ન થઇ ચૂક્યા હતા. આટલું જ નહીં, નોકરી મળ્યા પછી, શિક્ષિકાએ પતિ સાથે રહેવાનો પણ ઇનકાર કરી દીધો. પતિના પક્ષે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આવેદન આપીને આ મામલાની તપાસની માંગ કરી છે; તો આ વિવાદ હવે કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે.
અહેવાલો અનુસાર, આ મામલો જૌનપુરના રહેવાસી પ્રવીણ કુમાર વિશ્વકર્મા અને તેમની પત્ની સાથે જોડાયેલો છે. એવો દાવો છે કે 2 ડિસેમ્બર, 2022ના રોજ પ્રવીણ કુમાર વિશ્વકર્માના લગ્ન બિંદુ વિશ્વકર્મા સાથે થયા હતા. પરિવારનું કહેવું છે કે લગ્ન પછી, તે BPSC શિક્ષક ભરતી પરીક્ષાની તૈયારી કરી રહી હતી, અને તેના સાસરિયાઓએ તેની તૈયારીઓ માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી. જુલાઈ 2023માં લેવાયેલી TRE-1 પરીક્ષામાં શિક્ષિકા સફળ થઈ. ત્યારબાદ, નવેમ્બર 2023 મા, તેની મુઝફ્ફરપુર જિલ્લાના કટરા બ્લોકમાં સ્થિત પ્રાથમિક શાળા દહતોલા પહસૌલમાં નિમણૂક આપવામાં આવી.

પતિ અને તેના પરિવારનો આરોપ છે કે નોકરી મળ્યા પછી શિક્ષિકાનું વર્તન બદલાઈ ગયું. તેણે ધીમે-ધીમે તેના પતિ અને સાસરિયાઓથી દૂરી બનાવી લીધી. વાતચીત ઓછી થઈ ગઈ અને સંબંધ લગભગ સમાપ્ત થઈ ગયો. એવો આરોપ છે કે જ્યારે એપ્રિલ 2025માં પતિ મુઝફ્ફરપુર પહોંચ્યો અને સાથે રહેવાની વાત કહી, ત્યારે શિક્ષિકાએ સાથે રહેવાની ના પાડી દીધી. ત્યારબાદ, તેમના સંબંધો બગડ્યા, અને તેમની વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ.
પતિ પક્ષનો સૌથી ગંભીર આરોપ એ છે કે TRE-1 ભરતી પ્રક્રિયા દરમિયાન શિક્ષિકાએ પોતાના દસ્તાવેજોમાં વૈવાહિક સ્થિતિ ખોટી રીતે દર્શાવીને પોતાને અપરિણીત ગણાવી હતી. પરિવારજનોનું કહેવું છે કે જો એ સાબિત થાય, તો આ વિભાગને ખોટી માહિતી પૂરી પાડવાનો ગંભીર કેસ બની શકે છે. પ્રવીણ વિશ્વકર્માના મોટા ભાઈ ગુરુ પ્રસાદ વિશ્વકર્માએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આવેદન આપીને આરોપ લગાવવામાં આવ્યો છે કે TRE-1 પરીક્ષા દરમિયાન બિંદુએ પોતાને અપરિણીત ગણાવી હતી, જ્યારે તેને પહેલાથી જ લગ્ન થઇ ચૂક્યા હતા. ફરિયાદીનો દાવો છે કે આ વિભાગને ગેરમાર્ગે દોરવાનો અને ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવવાનો કેસ છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

તો, શિક્ષિકાએ આ આરોપો અંગે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા હતા, પરંતુ સંબંધને બચાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહીં. આ મામલો હાલમાં કોર્ટમાં વિચારાધીન છે, એટલે તે પોતાની વિસ્તૃત વાત ત્યાં જ રાખશે.
હાલમાં, આ મુદ્દો શિક્ષણ વિભાગ અને કોર્ટ બંને સમક્ષ છે. DEOને આપવામાં આવેલી ફરિયાદ બાદ વિભાગીય તપાસમાંથી શું તથ્યો બહાર આવે છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ છે. તો વૈવાહિક વિવાદને લઇને અંતિમ નિર્ણય કોર્ટની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થઇ શકશે.

