- National
- ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શશિ થરૂરે એવું કેવું નિવેદન આપ્યું કે જે વાયરલ થયું?
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શશિ થરૂરે એવું કેવું નિવેદન આપ્યું કે જે વાયરલ થયું?

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કોંગ્રેસ નેતા શશિ થરૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન તેની કોઈપણ કાર્યવાહીની જવાબદારી લેતું નથી. તેના બદલે, તે બધું સ્વીકારવાનો ઇનકાર કરે છે. શશી થરૂરે એ પણ સમજાવ્યું કે ભારતના વળતા હુમલાનું નામ, ઓપરેશન સિંદૂર, શા માટે આટલું લોકપ્રિય થયું છે.

શશિ થરૂરે સાઉદી અરેબિયાના TV ચેનલ અલ અરબિયાને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આમાં તેઓ ભારત-પાકિસ્તાન તણાવ વિશે વાત કરી રહ્યા હતા. 9 મેના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલા આ ઇન્ટરવ્યુમાં, શશિ થરૂરને પૂછવામાં આવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર નામ આટલું મહત્વનું કેમ છે. પછી તેમણે કહ્યું, 'સિંદૂર, પરિણીત સ્ત્રીઓ તેમના કપાળની ઉપર વાળની વચ્ચે લગાવે છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, રાષ્ટ્રીય ચેતનામાં એક નવી દુલ્હનની છબી ઉભરી આવી, જે તેના હનીમૂન પર તેના પતિના મૃત શરીર પાસે ગુમસુમ અવસ્થામાં ઘૂંટણિયે પડીને બેઠી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, આતંકવાદી હુમલાએ તેના કપાળ પરથી સિંદૂર લૂછી નાખ્યું હતું. કારણ કે ફક્ત પરિણીત સ્ત્રીઓ જ તેને માથા પર લગાવે છે.'
https://twitter.com/mainbhiengineer/status/1920927165261951354
શશિ થરૂર જે મહિલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે હિમાંશી નરવાલ હતી, જે ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હતી. પહેલગામ હુમલા પછી, હિમાંશીની તસવીરે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. શશિ થરૂરે આગળ કહ્યું, 'આ (ઓપરેશન સિંદૂર) ખૂબ જ ભાવનાત્મક શબ્દ હતો. તે લોકોને યાદ અપાવે છે કે શું થયું અને આ કાર્યવાહી શા માટે જરૂરી હતી. સિંદૂરનો રંગ લોહીના રંગથી બહુ અલગ નથી અને આ તે લોહી છે જે આપણા દેશમાં આતંકવાદીઓ દ્વારા વહેવડાવવામાં આવ્યું હતું. મને લાગ્યું કે ઓપરેશનને આ રીતે નામ આપવું એ ખૂબ જ ભાવનાત્મક અને શક્તિશાળી પસંદગી હતી. ઓપરેશનનું નામ શાનદાર છે. જેમણે પણ આ નામ વિચાર્યું છે તેમને અભિનંદન.'

કોંગ્રેસના સાંસદ શશિ થરૂર આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું વલણ સ્પષ્ટ કરી રહ્યા છે. આ વખતે પણ તેમણે એવું જ કર્યું. તેમને પૂછવામાં આવ્યું કે, ભારત હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યું છે, આનો પુરાવો શું છે? આ અંગે શશિ થરૂરે કહ્યું કે પાકિસ્તાન ઇનકાર કરવામાં નિષ્ણાત છે. શશિ થરૂરે કહ્યું, 'જ્યાં સુધી એક પણ આતંકવાદી જીવતો પકડાયો ન હતો, ત્યાં સુધી પાકિસ્તાને 2008ના 26/11ના મુંબઈ હુમલા સાથે કોઈ લેવાદેવા ન હોવાનો દાવો કર્યો હતો. ત્યાર પછી પાકિસ્તાનીઓને સ્વીકારવું પડ્યું કે આતંકવાદીએ જે કંઈ કહ્યું તે તેમની (પાકિસ્તાનની) ભાષામાં હતું. તેમણે પાકિસ્તાની સૈન્ય મથકથી થોડા બ્લોક દૂર એક ઇમારતમાં મળી આવ્યા ત્યાં સુધી ઓસામા બિન લાદેન ક્યાં છે તે જાણવાનો પણ ઇનકાર કર્યો હતો.'

શશિ થરૂરે વધુમાં ઉમેર્યું, 'આ પાકિસ્તાનની પદ્ધતિ રહી છે કે, અમને સતત પુરાવા બતાવતા રહો. હકીકત એ છે કે, પૂરતા સંજોગોવશાત્ પુરાવા અને ગુપ્ત માહિતી મળી છે. જેના આધારે ભારત કાર્યવાહી કરી રહ્યું છે.'
અહીં તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી, ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું. 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ત્યારથી, બંને દેશો વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે.
નોંધવું રહ્યું કે તેમનું આ નિવેદન ભારત-પાકિસ્તાન વચ્ચેના સીઝફાયર કરવા પહેલાનું છે.