- Politics
- ભગવંત માન સરકારે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકનો કેમ કર્યો વિરોધ?
ભગવંત માન સરકારે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકનો કેમ કર્યો વિરોધ?
આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર અને કેન્દ્ર વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. પંજાબ કેબિનેટે જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાની નિમણૂક પર રોક લગાવવાની માંગ કરી છે. કેબિનેટે એ વાત સામે વાંધો ઉઠાવ્યો છે કે કેન્દ્રએ રાજ્ય સરકારની સલાહ લીધા વિના જસ્ટિસ મિશ્રાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી હતી.
ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પંજાબ કેબિનેટે રવિવાર 6 સપ્ટેમ્બરના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં માંગ કરવામાં આવી હતી કે જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાની નિમણૂક અને શપથગ્રહણને રોકી દેવામાં આવે. આ ઠરાવ મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી બેઠક દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો.
કેબિનેટે એ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે, કેન્દ્રએ પંજાબ સરકારનો અભિપ્રાય લીધા વિના જસ્ટિસ અશ્વનીની નિમણૂક માટે નોટિફિકેશન જાહેર કરી દીધી હતી. કેબિનેટે માંગ કરી છે કે રાજ્ય સરકારના મંતવ્યો લેવામાં આવતા નથી અને તેના સૂચનો ધ્યાનમાં લેવામાં ન આવે ત્યાં સુધી શપથગ્રહણ સમારોહ મુલતવી રાખવામાં આવે.
જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા 2 જૂનથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના 'કાર્યકારી' મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરી રહ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 6 ઓગસ્ટના રોજ તેમને કાયમી પદ માટે ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે શનિવાર 5 સપ્ટેમ્બરના રોજ તેમની નિમણૂકની જાહેરાત કરી હતી, ત્યારબાદ પંજાબ સરકારે વાંધો ઉઠાવ્યો હતો.
જો કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ અશ્વિની કુમાર મિશ્રાનો શપથ ગ્રહણ સમારોહ સોમવારે યોજાયો હતો. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, હરિયાણાના રાજ્યપાલ અને પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા, હરિયાણા કેબિનેટના અનેક મંત્રીઓ અને અન્ય નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે, સમારોહમાં પંજાબ સરકાર તરફથી તો કોઈ નેતા જોવા મળ્યા નહોતા.
https://twitter.com/Sukhjinder_INC/status/2096637926704812494?s=20
કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે રાજ્યની સલાહ લીધા વિના કરવામાં આવેલી નિમણૂક નિયમોનું ઉલ્લંઘન છે. મુખ્યમંત્રી માને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય પંજાબ સંબંધિત બાબતોમાં કેન્દ્રની સતત દખલઅંદાજીને સહન નહીં કરે. X પર એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, પંજાબના બંધારણીય અધિકારો પર કોઈપણ હુમલો કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. અમે ન્યાયતંત્રમાં કેન્દ્ર દ્વારા આ દખલઅંદાજીનો સખત વિરોધ કર્યો છે. પંજાબીઓ, એક થવાનો સમય આવી ગયો છે.
કેબિનેટ ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે નિમણૂકની જાહેરાત કરતા પહેલા પંજાબનો અભિપ્રાય માંગવો જોઈતો હતો. સ્થાપિત પ્રક્રિયા અનુસાર આ મામલાની પુનર્વિચારણા કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસના નેતા સુખજિંદર સિંહ રંધાવાએ AAP સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે અશ્વિની કુમાર મિશ્રાની નિમણૂક અંગે પંજાબ સરકારના વાંધાના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો. 'X' પરની એક પોસ્ટમાં સુખજિંદરે લખ્યું કે, સમય ઘણું બધું કહી જાય છે. ન્યાયાધીશ અશ્વિની કુમાર મિશ્રાની બેન્ચે (એક આદેશમાં) પંજાબ સરકારને તેના કર્મચારીઓને બાકી મોંઘવારી ભથ્થું (DA) ચૂકવવાનો અને મોટા પાયે જાહેરાતો પર જનતાના નાણાંનો બગાડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. થોડા દિવસો પછી AAP સરકારે મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમના પ્રમોશનનો વિરોધ કરવાનું પગલું ભર્યું.
તેમણે પ્રશ્ન કર્યો કે, શું AAP સરકાર ન્યાયાધીશના પ્રમોશન સામે એટલે વાંધો ઉઠાવી રહી છે કારણ કે તેમણે સરકાર વિરુદ્ધ આદેશ આપ્યો હતો. તો, શિરોમણી અકાલી દળે પણ નિમણૂકને પડકારવાના પંજાબ સરકારના નિર્ણયની ટીકા કરી હતી.

