- Sports
- ભારત વિ. પાકિસ્તાન: આંકડામાં કોણ ભારે? હારવા પર કોનું બગડશે ગણિત? જાણો બધું
ભારત વિ. પાકિસ્તાન: આંકડામાં કોણ ભારે? હારવા પર કોનું બગડશે ગણિત? જાણો બધું

ક્રિકેટ ફેન્સ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. ભારત અને પાકિસ્તાનની મેચ હવે થોડા કલાકો દૂર છે. આ મેચ રવિવારે (23 ફેબ્રુઆરી) બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબની દૃષ્ટિએ પણ આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કેમ કે બંને દેશોમાં જે પણ હારશે તેનો સેમીફાઇનલમાં પહોંચવાનો રસ્તો થોડો નબળો થઇ જશે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થનારી આ મેચ માટે ભારતના દૃષ્ટિકોણથી એક વસ્તુ સારી છે. ભારતીય ટીમ આ મેદાન પર વન-ડે ફોર્મેટમાં પાકિસ્તાન સામે 2 વખત રમી ચૂકી છે. ભારતીય ટીમે બંને વખત જીત મેળવી છે. 19 સપ્ટેમ્બર 2018ના રોજ, બંને દેશ એશિયા કપમાં પહેલી વખત એક-બીજાનો સામે રમ્યા હતા. ત્યારે ભારતીય ટીમે 126 બૉલ બાકી રહેતા 8 વિકેટથી જીત મેળી હતી. પાકિસ્તાનની ટીમ આ મેચમાં પહેલા રમતા માત્ર 162 રન પર જ સમેટાઇ ગઇ હતી. 'પ્લેયર ઓફ ધ મેચ' ભુવનેશ્વર કુમારે 7 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. કેદાર જાધવને 3 અને જસપ્રીત બૂમરાહને 2 સફળતાઓ મળી છે. રન ચેઝમાં ઓપનર રોહિત શર્મા (52), શિખર ધવન (46), દિનેશ કાર્તિક (31*) અને અંબાતી રાયડુ (31*)એ શાનદાર ઇનિંગ્સ રમી હતી.
ત્યારબાદ 23 સપ્ટેમ્બરે જ એશિયા કપમાં સુપર ફોરની મેચમાં ફરી એકવાર બંને દેશ સામ-સામે આવ્યા. પાકિસ્તાને પહેલા રમતા શોએબ મલિકના 78 રનની મદદથી 237/7નો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ, રોહિત શર્મા (111*) અને શિખર ધવન (114)ની સદીની મદદથી ભારતે 9 વિકેટે મેચ જીતી લીધી હતી.
એટલે કે, આ આંકડાઓથી એક વાત સ્પષ્ટ છે કે જ્યારે પણ દુબઈમાં બંને ચિર પ્રતિદ્વંદ્વી એક-બીજા સાથે ટકરાયા છે. ભારત હંમેશાં જીત્યું છે. વન-ડેના ઓવરઓલ આંકડાઓ પર નજર કરીએ તો, પાકિસ્તાન ભારત કરતા આગળ છે. બંને દેશો વચ્ચે કુલ 135 વનડે રમાઈ છે. જ્યાં ભારતીય ટીમે 57 વખત જીત હાંસલ કરી તો. તો પાકિસ્તાની ટીમ 73 વખત જીતી હતી. 5 મેચ પરિણામ વિનાની રહી.
પાકિસ્તાન માટે કરો યા મરો મેચ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ સામે પહેલી મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમે હવે ભારત સામે જીત હાંસલ કરવી પડશે. પાડોશી દેશ પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી હશે, કેમ કે જો તેઓ ભારતીય ટીમ સામે હારે છે તો તેના માટે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ થઇ જશે. ન્યૂઝીલેન્ડ સામેની ઓપનિંગ મેચમાં પાકિસ્તાની ટીમને 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
તો ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. જો ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવશે તો ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં તેની ટિકિટ લગભગ નિશ્ચિત થઈ જશે. જો પાકિસ્તાની ટીમ હારી જશે તો તેનું આ ICC ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચવાનું સપનું નબળું પડી જશે અને તેણે અન્ય ટીમોના પરિણામો અને નેટ રન રેટ પર નિર્ભર રહેવું પડશે.
20 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમની શરૂઆતની મેચમાં શુભમન ગિલ હીરો રહ્યો હતો. તેણે 101 રનની ઇનિંગ રમી હતી. બૉલથી મોહમ્મદ શમીએ 5 અને હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી, અક્ષર પટેલને 2 સફળતા મળી. રોહિત શર્માએ પણ આ મેચમાં 41 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 22 રન બનાવીને આઉટ થઇ ગયો હતો, એવામાં પાકિસ્તાન સામે તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. શ્રેયસ અને અક્ષર વહેલા આઉટ થઈ ગયા હતા. કેએલ રાહુલે એક વખત કેચ છોડ્યા બાદ 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
પાકિસ્તાનની વાત કરીએ તો બાબર આઝમે 19 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે 90 બોલમાં 64 રનની ઓપનિંગ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સની ખૂબ નિંદા થઈ હતી, એટલે તેની પાસેથી ભારત સામે ચમત્કારની અપેક્ષા હશે. ખુશદિલ શાહ (69) અને સલમાન આગા (42)એ પણ બેટથી ચમક વિખેરી હતી. ફખર જમાન ઈજાગ્રસ્ત છે, એવામાં તેની જગ્યાએ આ મેચમાં ઇમામ-ઉલ-હક રમતો જોવા મળશે. તો બોલિંગમાં પાકિસ્તાનના પેસ બોલર શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ પાસેથી પણ ધારદાર બોલિંગની અપેક્ષા રહેશે. જે ન્યૂઝીલેન્ડ વિરુદ્વ ખૂબ જ મોંઘા રહ્યાહતા. આફ્રિદી (10-0-68-0), નસીમ (10-0-63-2), રઉફ (10-0-83-2) ખાસ કરી મોંઘા સાબિત થયા હતા.
તો જોવા જઇએ તો, પાકિસ્તાની ટીમ વિરુદ્વ રોહિત શર્મા ભાગ્યે જ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરશે. જે ટીમ બાંગ્લાદેશ વિરુદ્વ રમવા ઉતરી હતી તે જ પ્લેઇંગ 11ને પાકિસ્તાન સામે રમવા માટે મેદાનમાં ઉતારવામાં આવશે.
પાકિસ્તાન સામે ભારતના સંભવિત પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી.
ભારત વિરુદ્વ પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11: બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન, વિકેટકીપર), ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહમદ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
વન-ડે ક્રિકેટમાં ભારત-પાકિસ્તાન H2H
કુલ મેચ 135
ભારત જીત્યું- 57
પાકિસ્તાન જીત્યું- 73
ટાઈ- 0
પરિણામ વિનાની- 5
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાનની વર્તમાન ટીમ:
બાબર આઝમ, કામરાન ગુલામ, સઉદ શકીલ, તૈબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), ઉસ્માન ખાન, અબરાર અહમદ, હારીસ રાઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રીદી, ઇમામ-ઉલ-હક.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની વર્તમાન ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
નોન-ટ્રાવેલિંગ સબ્સ્ટિટ્યૂટ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે.