- World
- ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ
ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેથોલિક ચર્ચની ટીકાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે. પોપ લીઓની ટીકા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને બનાવેલી એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં ટ્રમ્પે પોતાને ઈસુ તરીકે દર્શાવ્યા છે અને ચમત્કાર કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર મુખ્યત્વે બાઇબલમાં જણાવવામાં આવેલા ઈસુના એ ચમત્કારોમાંથી એકનું પ્રતિક છે, જેમાં કહેવામા આવ્યું છે કે, તેમણે લાજરસને મૃત્યુ બાદ ફરીથી જીવિત કરી દીધો હતો.

આ ડિજિટલી જનરેટ કરેલી તસવીરમાં ટ્રમ્પ લાંબો ઝભ્ભો પહેરીને એક બીમાર માણસ પર પોતાનો હાથ મૂકતા જોવા મળે છે. આ દૃશ્યને ચારેય તરફ દેશભક્તિ અને પ્રતિકાત્મક વસ્તુઓ ઉપસ્થિત છે, જેમાં અમેરિકન ધ્વજ, લશ્કરી વિમાન અને પૃષ્ઠભૂમિમાં કેટલીક એવી આકૃતિઓનો સમાવેશ થાય છે, જે દેવ દૂતો જેવા લાગે છે. ટ્રમ્પે પોપ લીઓની ટીકા કર્યાના થોડા સમય બાદ આ પોસ્ટ શેર કરી હતી. ટ્રમ્પે પોપને વિદેશ નીતિ માટે ‘ખૂબ જ ખરાબ’ ગણાવ્યા હતા.
https://twitter.com/TrumpTruthOnX/status/2043523798553743595?s=20
ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેઓ અમેરિકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ન હોત, તો પોપ ફ્રાન્સિસના અવસાન બાદ પોપ લીઓને આગામી પોપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ન હોત. તેમણે પોપ પર ગુનાખોરી બાબતે નબળા અને વિદેશ નીતિ માટે ‘ખૂબ જ ખરાબ’ હોવાનો આરોપ લગાવ્યો. અમેરિકન રાષ્ટ્રપતિની આ ટિપ્પણી પોપ લીઓની વૈશ્વિક સંઘર્ષો, જેમાં ઈરાન સાથે સંકળાયેલા વર્તમાન તણાવનો સમાવેશ થાય છે, તેના પ્રત્યે વોશિંગ્ટનના અભિગમની તાજેતરની ટીકા બાદ આવી છે. પોપે શાંતિ અને સંવાદની અપીલ કરી હતી.
ટ્રુથ સોશિયલ પરના તેમના નિવેદનમાં ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોપ ઈરાન દ્વારા પરમાણુ શસ્ત્રો મેળવવા અને વિદેશમાં અમેરિકન લશ્કરી કાર્યવાહી જેવા મુદ્દાઓ પર નરમ વલણ અપનાવે છે. તેમના વહીવટની નીતિઓનો બચાવ કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ ખાસ કરીને મજબૂત કાયદો અને વ્યવસ્થાના પગલાં લાગુ કરવા અને અડગ વિદેશ નીતિ અપનાવવા માટે ભારે બહુમતીથી ચૂંટાયા છે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ‘મને એવા પોપ નથી જોઈતા જે એવું વિચારે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોવાને સ્વીકાર્ય માને છે. મને એવા પોપ નથી જોઈતા જે માને છે કે વેનેઝુએલા પર અમેરિકાનો હુમલો કરવાનું ખૂબ ખરાબ હતું. એક એવો દેશ જે મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો જથ્થો અમેરિકામાં મોકલી રહ્યો હતો અને તેનાથી પણ ખરાબ હત્યારાઓ, ડ્રગના દાણચોરો અને હિંસક ગુનેગારોને અમારા દેશમાં મોકલી હ્યો હતો. મને એવા પોપ નથી જોઈતા જે અમેરિકના રાષ્ટ્રપતિની ટીકા કરે, કારણ કે હું બરાબર એ જ કરી રહ્યો છું જે કરવા માટે મને ચૂંટવામાં આવ્યો હતો.’
નોંધનીય છે કે પોપ લીઓ અમેરિકામાં જન્મેલા પ્રથમ પોપ છે. પોપ લીઓએ વારંવાર અમેરિકની નીતિઓ અને વિદેશમાં લશ્કરી હસ્તક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સમસ્યાઓના રાજદ્વારી ઉકેલો અને માનવતાવાદી પાસાઓ પર યોગ્ય વિચાર કરવાની અપીલ પણ કરી છે.

