- World
- ‘નીરવ મોદી અત્યાર સુધી ભારતીય જેલમાં હોવો જોઈતો હતો...’ UKના ભૂતપૂર્વ ગૃહ મંત્રી પોતાના જ દેશની સિસ્...
‘નીરવ મોદી અત્યાર સુધી ભારતીય જેલમાં હોવો જોઈતો હતો...’ UKના ભૂતપૂર્વ ગૃહ મંત્રી પોતાના જ દેશની સિસ્ટમ પર ગુસ્સે થયા
UKના ભૂતપૂર્વ ગૃહ મંત્રી પ્રીતિ પટેલે ભાગેડુ ભારતીય હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણમાં વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે પોતાની સરકાર અને કાનૂની પ્રક્રિયા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલામાં વિલંબથી ભારત અને UK વચ્ચેના સંબંધો પર નકારાત્મક અસર પડી છે. આટલા લાંબા વિલંબથી ભારત સાથેનો વિશ્વાસ ઓછો થયો છે.
ધ ડેઇલી ટેલિગ્રાફના પોડકાસ્ટ 'ધ ડાયમંડ કિંગ'માં વાતચીત કરતા પ્રીતિ પટેલે કહ્યું કે, મને એ જોઇને હેરાની અને નિરાશા થાય છે કે પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર થયાના વર્ષો પછી પણ નીરવ મોદી UKમાં છે. પ્રીતિ પટેલે એપ્રિલ 2021માં ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલા, બ્રિટિશ કોર્ટોએ માન્યું હતું કે ભારતમાં તેની સામે કાર્યવાહી કરવા માટે પૂરતા આધાર છે. તેમણે ખૂબ આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી હતી કે નીરવ મોદી હજુ પણ UKમાં છે.
તેમણે કહ્યું કે પંજાબ નેશનલ બેંક (PNB) સાથે સંકળાયેલા 2 અબજ ડોલરના છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ કેસમાં વોન્ટેડ ઉદ્યોગપતિનું પ્રત્યાર્પણ ન કરી શકવાને કારણે ભારત સરકાર ખૂબ જ નારાજ છે. જો આપણી સિસ્ટમ પ્રક્રિયા અને બહાનાબાજીમાં ગુચવાવાને બદલે સમજદારીપૂર્વક કાર્ય કર્યું હોત અને યોગ્ય પગલાં લીધા હોત તો આજે નીરવ મોદી દેશમાં ન હોત અને તે અત્યાર સુધી ભારત મોકલી દેવામાં આવ્યો હોત. કે આ વિલંબથી ભારતને UK સાથેના સહયોગ અંગે ખૂબ નિરાશા થઈ છે.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, નીરવ મોદીએ ભારતમાં તેની સજા ભોગવવી જોઈતી હતી. તેણે ભારતીય જેલમાં તેની સજા ભોગવી જોઈતી હતી, અને આ બધું કાનૂની પ્રક્રિયા દ્વારા થવું જોઇતું હતું; UKના પ્રત્યાર્પણ કાયદા અને સંધિઓનો આ જ હેતુ છે. તેમણે આ લાંબા વિલંબને બ્રિટિશ સિસ્ટમનો સ્પષ્ટ દુરુપયોગ અને બ્રિટિશ કરદાતાઓનું અપમાન ગણાવ્યું.
તેમણે દાવો કર્યો હતો કે 2019 થી 2022 દરમિયાન ગૃહ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ કેસથી રાજદ્વારી પડકારો પણ ઉભા કર્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી પ્રત્યાર્પણનો મામલો ઉકેલાઈ ન જાય ત્યાં સુધી, ભારત એવા વ્યક્તિઓના પરત સ્વીકારવામાં સહકાર આપવા તૈયાર નહોતું જેમની આશ્રય અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ભારતને આશ્રય અરજી નામંજૂર થનારા લોકોને પરત ત સ્વીકારવા માટે સમજાવવું મારા માટે એક મોટો પડકાર હતો. મારું માનવું છે કે આ મોટે ભાગે એટલા માટે હતું કારણ કે આપણી પાસે આ હાઇ-પ્રોફાઇલ કેસ (નીરવ મોદીનો) હતો. તે સમયે વધું એક હાઇ-પ્રોફાઇલ કેસ પણ હતો. જ્યાં સુધી તેમણે (ભારત) તે કેસોમાં કાર્યવાહી અથવા પ્રગતિ ન જોઇ, ત્યાં સુધી તેમની પાસે અમારા પર દબાણ બનાવવાનું એક માધ્યમ હતું, જે ખૂબ જ નિરાશાજનક હતું.
નીરવ મોદીએ UKમાં તમામ કાનૂની માર્ગો અપનાવી લીધા છે, અને અહેવાલો છે કે યુરોપિયન માનવ અધિકાર કોર્ટમાં તેમની અંતિમ અપીલ પણ નકારી કાઢવામાં આવી છે. માનવ અધિકારના આધાર પર આધારિત અપીલો અને ગુપ્ત આશ્રય દાવા સહિત વર્ષોના કાનૂની પડકારો પછી તેમનું ભારત પ્રત્યાર્પણ હવે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
55 વર્ષીય નીરવ મોદી હાલમાં લંડનની પેન્ટનવિલે જેલમાં બંધ છે. ભારતમાં તેમની સામે ત્રણ ફોજદારી કેસ નોંધાયેલા છે. આમાં પંજાબ નેશનલ બેંક (PNB) સાથે સંકળાયેલા આશરે $2 બિલિયનના કથિત છેતરપિંડી સંબંધિત CBI કેસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ મની લોન્ડરિંગ કેસ અને પુરાવા અને સાક્ષીઓ સાથે છેડછાડ સંબંધિત કેસનો સમાવેશ થાય છે.

