- World
- ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?
ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BNPના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનની 17 વર્ષ બાદ વાપસી થઇ છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન પોતાની પત્ની ઝુબૈદા રહેમાન અને પુત્રી ઝાઇમા રહેમાન સાથે સિલ્હટના ઉસ્માની આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા હતા. BNP કાર્યકરો અને સમર્થકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એક તરફ બાંગ્લાદેશ હિંસામાં સળગી રહ્યું છે, ત્યારે BNP સમર્થકોએ ઢાકાને પોસ્ટરો અને બેનરોથી ઢાંકી દીધું છે. તારિક રહેમાનની વાપસીથી BNP સમર્થકોમાં 12 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં યોજાનારી આગામી ચૂંટણીઓ માટે ઉત્સાહમાં વધારો થયો છે. ગયા વર્ષે શેખ હસીનાની સરકારના પતન અને યૂનુસ સરકાર દરમિયાન અરાજકતાપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BNP સત્તામાં પરત ફરવાની આશા રાખી રહી છે.
ભારતની પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ
ભારતની પ્રાદેશિક સુરક્ષા માટે ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીઓ મહત્ત્વપૂર્ણ છે. તારિક રહેમાનની વાપસી દિલ્હી માટે મહત્ત્વ ધરાવે છે, ખાસ કરીને ભારત તરફી આવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાલિદા ઝિયા હૉસ્પિટલમાં દાખલ છે. આ એવા સમયે થયું છે જ્યારે બાંગ્લાદેશ એક એવા વળાંક પર છે જ્યાં વચગાળાના પ્રમુખ મુહમ્મદ યૂનુસના નેતૃત્વમાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ વધુને વધુ બેકાબૂ બની રહ્યા છે અને ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે.
ભારત માટે ખાસ ચિંતાનો વિષય જમાત-એ-ઇસ્લામી છે, જેને પાકિસ્તાનની ISIનું સમર્થક માનવામાં આવે છે. યૂનુસની બાંગ્લાદેશમાં વાપસી બાદ જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, અને જમાત-એ-ઇસ્લામીએ રાજકારણમાં વાપસી કરી લીધી છે. તાજેતરમાં જમાત-એ-ઇસ્લામીએ બાંગ્લાદેશમાં પોતાની તાકત વધારી છે. બાંગ્લાદેશમાં યૂનુસના નેતૃત્વમાં, કટ્ટરપં તાકતો વધી રહી છે. આવી સ્થિતિમાં ભારત BNPને જમાત-એ-ઇસ્લામી અને યૂનુસ કરતા વધુ ઉદાર અને લોકશાહી વિકલ્પ તરીકે જુએ છે. ભૂતકાળમાં ભારત અને BNP વચ્ચેના સંબંધો સારા નહોતા, પરંતુ તાજેતરના વર્ષોમાં BNPનું ભારત વિરોધી વલણમાં ઘટાડો થયો છે.
રાજકીય વિશ્લેષક પાર્થ મુખોપાધ્યાય કહે છે કે, તાજેતરમાં તારિક રહેમાન હોય કે બાંગ્લાદેશમાં BNP નેતા મીર જાફર કે સલાહુદ્દીન અહેમદ હોય, તેમણે ભારત વિરોધી કોઈ મંતવ્ય આપ્યું નથી. BNPનું ધ્યાન બાંગ્લાદેશ પર છે અને તે યૂનુસ સરકારની નીતિઓની ટીકા કરી રહી છે. BNP યૂનુસની વિદેશ નીતિની ટીકા કરી રહી છે. BNPએ જમાત-એ-ઇસ્લામીથી દૂરી બનાવી લીધી છે અને બાંગ્લાદેશની ચૂંટણી માટે જમાત-એ-ઇસ્લામીના બીજા જૂથ સાથે સમજૂતી કરી છે, તેને ચાર બેઠકો આપવામાં આવી છે.
પાર્થ મુખોપાધ્યાયનું કહેવું છે કે BNP હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસીને મસીહાના પુનરાગમન તરીકે રજૂ કરી રહી છે. BNPનો તર્ક છે કે ફક્ત તારિક રહેમાન જ બાંગ્લાદેશને બચાવી શકે છે. એવામાં BNP સમજે છે કે તે ભારત વિરોધી વલણ અપનાવીને બાંગ્લાદેશમાં સત્તા મેળવી નહીં શકાય. એવામાં તેણે બાંગ્લાદેશમાં ભારત પ્રત્યે નરમ વલણ જાળવી રાખ્યું છે. BNP નેતાઓ ભારત સાથે સાથે પાકિસ્તાનને લઇને પણ વાત કરી રહ્યા નથી. BNP, એ સંદેશ આપી રહી છે કે તે બંને દેશોથી સમાન અંતર જાળવી રાખશે, પછી ભલે તે ભારત હોય કે પાકિસ્તાન.
આ સાથે જ નવી દિલ્હીને આશા છે કે તારિક રહેમાનની વાપસીથી BNP કાર્યકરોમાં ઉત્સાહ આવશે અને પાર્ટી આગામી સરકાર બનાવી શકશે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશે ભારત સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા હતા. હસીનાએ પાકિસ્તાનથી સુરક્ષિત અંતર જાળવી રાખ્યું હતું, પરંતુ યૂનુસના શાસનકાળમાં પરિસ્થિતિએ યુ-ટર્ન લીધો છે, જેમણે બાંગ્લાદેશને ભારતથી દૂર કરવાની કિંમત પર પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો પર ભાર મૂક્યો છે.
જો BNP સત્તામાં પાછી આવે છે, તો ભારત બાંગ્લાદેશની વિદેશ નીતિમાં પરિવર્તનની અપેક્ષા રાખશે. તાજેતરમાં એવા સંકેતો મળ્યા છે કે ભારત અને BNP તેમના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી અને ગંભીર રીતે બીમાર ખાલિદા ઝિયા માટે ભારતનો સપોર્ટ આપવાની રજૂઆત કરી હતી. BNPએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેનાથી સ્પષ્ટ છે કે ભારત અને BNP વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે.
ભારત માટે સારા સમાચાર એ છે કે તારિક રહેમાનને યૂનુસ સરકાર સાથે મતભેદો રહ્યા છે અને તેમણે યૂનુસની વિદેશ નીતિના નિર્ણયો લેવાની લાંબા ગાળાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ જમાત-એ-ઇસ્લામીની પણ ટીકા કરતા રહ્યા છે અને તેમણે ચૂંટણીમાં સાથ આપવાનો ઇનકાર કરી દીધો છે. BNPએ જમાત-એ-ઇસ્લામી સાથે કોઈ સમજૂતી કરી નથી.
આ દરમિયાન તારિક રહેમાનની વાપસીથી બાંગ્લાદેશમાં BNP સમર્થકોમાં ખૂબ ઉત્સાહ છે, પરંતુ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ BNPના શક્તિ પ્રદર્શનથી નાખુશ છે. પરંતુ, BNP માટે ખુશીની વાત છે કે તે પહેલા શેખ હસીનાના શાસનકાળમાં અને હવે યૂનુસના નેતૃત્વમાં તે પોતાના સમર્થકોને એકજૂથ રાખવામાં સફળ રહી છે. ભારતને આશા છે કે BNPની વાપસી બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી દળો પર લગામ લગાવી શકાશે.

