- World
- ઈરાન છોડવાની ફરજ પડી હતી તે રઝા પહલવી કોણ છે? જેણે ખામેનેઈની સત્તાને પડકાર આપ્યો છે
ઈરાન છોડવાની ફરજ પડી હતી તે રઝા પહલવી કોણ છે? જેણે ખામેનેઈની સત્તાને પડકાર આપ્યો છે
ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો વચ્ચે, રઝા પહલવીનું નામ ફરી એકવાર સમાચારમાં છે. ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રઝા પહલવીના પુત્ર રઝા પહલવી હાલમાં શરણાર્થી થઈને રહે છે, પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની સત્તાને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી દેશ છોડી ગયેલા રઝા પહલવી હવે પોતાને ઈરાનમાં લોકશાહી પરિવર્તન માટે એક અવાજ તરીકે રજૂ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, રઝા પહલવીનો જન્મ 31 ઓક્ટોબર, 1960ના રોજ તેહરાનમાં થયો હતો. તેઓ ઈરાનના છેલ્લા સમ્રાટ મોહમ્મદ રઝા પહલવી અને મહારાણી ફરાહ પહલવીના સૌથી મોટા પુત્ર છે. 1967માં, તેમને ઔપચારિક રીતે ઈરાનના ક્રાઉન પ્રિન્સ જાહેર કરવામાં આવ્યા હતા. તે સમયે, એવું માનવામાં આવતું હતું કે, ભવિષ્યમાં તેઓ તેમના પિતાના સ્થાને ગાદી પર બેસશે. જોકે, 1979ની ઇસ્લામિક ક્રાંતિએ ઈરાનની રાજકીય દિશા જ બદલી નાખી.
અયાતુલ્લાહ રુહોલ્લાહ ખામેનેઈના નેતૃત્વમાં ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન, શાહ મોહમ્મદ રઝા પહલવી વિરુદ્ધ એક વ્યાપક લોકચળવળ ઉભી થઈ. વધતા વિરોધ અને અસ્થિરતા વચ્ચે, જાન્યુઆરી 1979માં શાહના પરિવારને ઈરાન છોડીને ભાગવાની ફરજ પડી. થોડા મહિનાઓ પછી, શાહ મોહમ્મદ રઝા પહલવીનું અવસાન થયું, અને ઈરાનમાં ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સ્થાપના થઈ. ત્યારથી, રઝા પહલવી શરણાર્થી છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે.
દેશનિકાલ હોવા છતાં, રઝા પહલવીએ પોતાને ઈરાની રાજકારણથી દૂર રાખ્યા નથી. તેમણે લાંબા સમયથી ઈરાનમાં લોકશાહી, માનવ અધિકારો અને બિનસાંપ્રદાયિક શાસનની હિમાયત કરી છે. તેમણે વારંવાર કહ્યું છે કે, તેઓ સત્તા માટે નહીં, પરંતુ ઈરાની લોકોના ભવિષ્ય પસંદ કરવાના અધિકાર માટે લડી રહ્યા છે. રઝા પહલવીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ પોતાને રાજાશાહીના પુનરાગમનના પ્રતીક તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતાના મંચ તરીકે જુએ છે.
તાજેતરના દિવસોમાં, આર્થિક કટોકટી, મોંઘવારી, બેરોજગારી અને રાજકીય દમન સામે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, રઝા પહલવીએ ખુલ્લેઆમ વિરોધીઓને ટેકો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ઈરાની લોકોને રસ્તા પર મક્કમ રહેવાની અપીલ કરી હતી, અને કહ્યું હતું કે ખામેનેઈનું શાસન નબળું પડી રહ્યું છે. તેમના મતે, સુરક્ષા દળોમાં પણ અસંતોષ વધી રહ્યો હતો, અને ઘણા સૈનિકો વિરોધીઓ સામે કાર્યવાહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.
રઝા પહલવીએ એવો પણ દાવો કર્યો હતો કે, ઈરાની ચળવળને વિદેશમાં રહેતા લાખો ઈરાનીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ઈરાની લોકો હવે ભયના શાસનને સ્વીકારવા તૈયાર નથી અને તે પરિવર્તન જરૂરી છે. આ દરમિયાન, ઈરાની સરકાર રઝા પહલવીને વિદેશી શક્તિઓનો સમર્થક કહે છે અને અમેરિકા અને ઈઝરાયલ પર અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનનું સત્તાવાર વલણ એ છે કે, દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો બાહ્ય હસ્તક્ષેપનું પરિણામ છે.
આ દરમિયાન, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, US ઈરાનમાં ચાલી રહેલી ઘટનાઓના જવાબમાં કડક પગલાં લેવાનું વિચારી રહ્યું છે. અહેવાલોમાં એ વાત સામે આવી છે કે, ત્યાં સામાન્ય નાગરિકોની જાનહાનિ થઈ શકે છે, ત્યાર પછી US સૈન્ય પરિસ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા શરૂ કરવાનું ચાલુ કરી દીધું છે.
રવિવારે ફ્લોરિડાથી વ્હાઇટ હાઉસ પરત ફરતી વખતે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, પરિસ્થિતિ દર્શાવે છે કે, ઘણા લોકો એવી રીતે મરી ગયા છે, જેને મારવા જોઈતા ન હતા. તેમણે કહ્યું કે, ત્યાં જેમના હાથમાં સત્તા છે તેવા લોકો નેતૃત્વ કરવાને બદલે હિંસા દ્વારા પોતાનું શાસન ચલાવી રહ્યા છે.

