- Tech and Auto
- ઘટતી માઇલેજ, પાર્ટ્સમાં ખરાબી... શું E20થી વાહનને નુકસાન થઇ રહ્યું છે? કેજરીવાલે મિકેનિક દ્વારા સમજા...
ઘટતી માઇલેજ, પાર્ટ્સમાં ખરાબી... શું E20થી વાહનને નુકસાન થઇ રહ્યું છે? કેજરીવાલે મિકેનિક દ્વારા સમજાવ્યું
દિલ્હીના ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે E20 પેટ્રોલ સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. ગઈકાલે, 1 ઓગસ્ટના રોજ, કેજરીવાલે 'કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા' ખાતે 'નેશનલ ટાઉન હોલ અગેઇન્સ્ટ E20' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે કેન્દ્ર સરકારની E20 નીતિ સામે અનેક આરોપો લગાવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે E20 માત્ર વાહન માઇલેજ ઘટાડી રહ્યું નથી પરંતુ વાહનોના પાર્ટ્સને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.
E20 પર સરકારની આકરી ટીકા કરવા ઉપરાંત, અરવિંદ કેજરીવાલે એક મોટર મિકેનિક (અમીર ખાન)ને પણ સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા, જેણે ઇથેનોલ-મિશ્રિત E20 ઇંધણથી વાહનોને થતા નુકસાન વિશે વિગતવાર જણાવ્યું હતું. આમિરે કહ્યું કે તે ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં ભલસ્વા ડેરી પાસે મિકેનિકની દુકાન ધરાવે છે અને છેલ્લા 12-13 વર્ષથી પેટ્રોલ ટુ-વ્હીલરનું સમારકામ કરી રહ્યો છે.
આમિરે જણાવ્યું કે, ઇથેનોલ-મિશ્રિત E20 પેટ્રોલને કારણે જૂના BS4 વાહનો સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જૂના (BS3 અને BS4) વાહનમાં વપરાતા કાર્બોરેટર બતાવતા, તેણે જણાવ્યું કે પેટ્રોલ કાર્બોરેટરની નીચે રિઝર્વ માટે એક કેપમાં જમા થાય છે. જો તમે તમારા વાહનને કેટલા મહિનાઓ સુધી વપરાશમાં લેતા નથી, તો આ કેપમાં આ પેટ્રોલ એકઠું થશે, અને મિશ્રિત પેટ્રોલમાં ભળેલા મીઠા પદાર્થ, શેવાળ અને કાદવ એકઠા થશે, જેના કારણે વાહન ચાલતું બંધ થઈ જશે. પહેલાં, આ સમસ્યા ઓછી થતી હતી, પરંતુ હવે તે વધારે અને વારંવાર બની રહી છે.
https://twitter.com/AamAadmiParty/status/2083466042207326415
આમીરે BS6 ફ્યુઅલ પંપનું પ્રદર્શન કરતા કહ્યું, 'હાલમાં ઉત્પાદનમાં રહેલા E20-અનુરૂપ BS6 વાહનોમાં પણ આ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી, આ વાહનોનું પિકઅપ અને માઇલેજ ખૂબ જ ઓછું થઈ ગયું છે. વાહન ઘણીવાર રસ્તા પર ચાલતા ચાલતા અટકી જાય છે.'
ફ્યુઅલ પંપને બતાવતા, અમીરે કહ્યું કે તેની અંદર એક ફિલ્ટર લાગેલું હોય છે. E20 પેટ્રોલના કારણે આ ફિલ્ટર ખૂબ ઝડપથી ચોકઅપ થઇ જાય છે, જેનાથી વાહનનો જાળવણી ખર્ચ અને રીપેરીંગ ખર્ચમાં વધારો થાય છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, ઘણા જૂના વાહન માલિકોએ વાહનની માઇલેજમાં ઘટાડો અને જાળવણી ખર્ચમાં વધારો થવાની ફરિયાદ કરી છે. ત્યાં સુધી કે સરકારે પણ હવે સંસદમાં સ્વીકાર્યું છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વાહનની ઇંધણ કાર્યક્ષમતા 2 ટકાથી 6 ટકા સુધી ઘટી શકે છે. આ ઉપરાંત, સરકારે સ્પષ્ટતા કરી છે કે, E20 પેટ્રોલ 2005 અને 2016 વચ્ચે ઉત્પાદિત BS-3 વાહનોમાં રબર પાઇપ, સીલ અને ગાસ્કેટ જેવા ભાગોને અસર કરી શકે છે.

