- Tech and Auto
- કંપનીમાં રીપેરીંગ માટે મોકલવામાં આવેલી ઓલા બાઇક થઇ ગુમ! CEO સામે ધરપકડ વોરંટ
કંપનીમાં રીપેરીંગ માટે મોકલવામાં આવેલી ઓલા બાઇક થઇ ગુમ! CEO સામે ધરપકડ વોરંટ
દેશની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિકની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત હાલ પૂરતા તો દેખાતા નથી લાગતા. પહેલાથી જ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગની ઘટનાઓનો સામનો કરી રહેલી કંપનીના CEO અને સ્થાપક ભાવેશ અગ્રવાલ સામે બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગોવાના ગ્રાહક વિવાદ નિવારણ પંચે ઓલા ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલા એક કેસમાં કડક વલણ અપનાવ્યું છે અને કંપનીના CEOને ધરપકડ વોરંટ મોકલી આપ્યું છે.
આ કેસ પ્રીતિશ ચંદ્રકાંત ઘાડીની ફરિયાદ સાથે સંબંધિત છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમની ખરીદેલી ઇલેક્ટ્રિક બાઇક ઓલાને રીપેરીંગ માટે આપવામાં આવી હતી પરંતુ હવે તે ક્યાં છે તેની કોઈ ખબર નથી. આશ્ચર્યજનક વાત તો એ છે કે, ઓલાને પહેલાથી જ આ ગાડીની સંપૂર્ણ કિંમત ચૂકવી દીધી હોવા છતાં, વપરાશકર્તાને ન તો બાઇક મળી છે કે ન તો સંતોષકારક વળતો જવાબ મળ્યો.
આ કિસ્સામાં, ફરિયાદી, પ્રીતિશ ચંદ્રકાંત ઘાડીએ જણાવ્યું હતું કે, તેમણે ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ઇલેક્ટ્રિક બાઇક ખરીદી હતી. થોડા સમય પછી, બાઇકમાં ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ. ત્યારપછી તેમણે તેને રીપેરીંગ માટે ઓલાને સોંપી દીધી. ઘણા સમય પછી પણ, બાઇક રિપેર કરીને પરત કરવામાં આવી ન હતી, અને ન તો કંપની એ બતાવી રહી છે કે, બાઈક હાલમાં ક્યાં છે.
4 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા ગોવાના ગ્રાહક વિવાદ નિવારણ પંચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ઓલાએ ગ્રાહક પાસેથી સંપૂર્ણ કિંમત વસૂલ્યા પછી બેદરકારીભર્યું વલણ અપનાવ્યું હતું. કમિશને ગ્રાહકો પ્રત્યે કંપનીના વર્તનને બેજવાબદાર અને ઉદાસીન ગણાવ્યું હતું. પરિણામે, કમિશને ઓલા ઇલેક્ટ્રિકના CEO અને સ્થાપક ભાવેશ અગ્રવાલને બાઇક વિશે સ્પષ્ટ માહિતી આપવા અને આટલા લાંબા સમય સુધી તેનું સમારકામ અને ડિલિવરી કેમ કરવામાં આવી ન હતી તે સમજાવવા માટે રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
જ્યારે ભાવેશ અગ્રવાલ કમિશનના આદેશ છતાં હાજર થવામાં નિષ્ફળ ગયા, ત્યારે કમિશને કડક કાર્યવાહી કરી અને બેંગલુરુ પોલીસને તેમની સામે જામીનપાત્ર વોરંટ મોકલી આપવાનો નિર્દેશ આપ્યો છે. આદેશ અનુસાર, રૂ. 1,47,499ની રકમનું જામીનપાત્ર વોરંટ એ જ રકમની જામીનપાત્ર સાથે બહાર પાડવામાં આવ્યું છે. આ વોરંટ બેંગલુરુના કોરામંગલા સ્થિત સરનામે સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા બજાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કમિશને આ મામલાની વધુ સુનાવણી 23 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 10:30 વાગ્યે નક્કી કરી છે. આ તારીખે, CEO અને સ્થાપક ભાવેશ અગ્રવાલને રૂબરૂ હાજર રહેવાની જરૂર પડશે. ત્યારપછી, કમિશન તેમનો ખુલાસો અને મૌખિક અંતિમ દલીલો સાંભળશે. આ કેસ હવે માત્ર ગ્રાહક અધિકારો માટે જ નહીં પરંતુ મોટી કંપનીઓની જવાબદારી માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

