કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા
ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા, નકલી સ્કીન કેર સહિતની વસ્તુઓ ઝડપાઇ રહી છે. નકલી વસ્તુઓ દ્વારા કેટલાક અસમાજિક તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરી રહ્યા છે. પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરે છે, છતા પણ આવી ગતિવિધિઓ અટકવાનું નામ લઈ રહી નથી. સુરતમાંથી ફરી એક વખત નકલી ઘીની ફેક્ટરી ઝડપાઇ છે.
સુરતના ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં ‘નકલી ઘી’નું કારખાનું ધમધમી રહ્યું હતું. ઉતરાણ પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે ઉમરા વેલંજા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં દરોડા પાડીને નકલી ઘી બનાવટી ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી (કિંમત લગભગ 3.50 લાખ રૂપિયાથી વધુ), 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા (નાની-મોટી સાઈઝના), મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો (સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડર) જપ્ત કર્યા હતા.
સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ થયેલા આરોપીની ઓળખ નિહાર ભરતભાઈ મોવલીયા (ઉં.વ. 32) તરીકે થઈ છે, જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો. જ્યારે પીયૂષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં.વ 30) નામનો આરોપી હાલ ફરાર છે. જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો. પોલીસે તેને પકડવા ટીમો બનાવી છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ મુજબ, આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી. સૌ પ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું. તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ (કેમિકલ સિરપ) ઉમેરવામાં આવતું. ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો. આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને 'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારીને ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, નકલી ઘી બનાવવાની ફેક્ટરી છેલ્લા 18 મહિનાથી ધમધમી રહી હતી. હાલ પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરી છે અને જપ્ત કરાયેલા ઘીના નમૂના FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી ઘી કયા કયા વેપારીઓને વેચવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
આ અગાઉ સુરત પોલીસે પાંચમી જાન્યુઆરીના રોજ શહેરની બહાર આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ચાલતી ઘી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને મોટા પ્રમાણમાં નકલી ઘી જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી, 856 કિલો વનસ્પતિ અને સોયાબીન તેલ જપ્ત કર્યું હતું. જપ્તી બાદ, નકલી ઘી બનાવવાના કામમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

