- Business
- રોકાણકારોમાં છવાઈ ગઈ ખુશીની લહેર... શેરબજારમાં થયો જોરદાર ઉછાળો
રોકાણકારોમાં છવાઈ ગઈ ખુશીની લહેર... શેરબજારમાં થયો જોરદાર ઉછાળો
ભારતીય શેરબજારમાં બુધવારે શાનદાર તેજી જોવા મળી. છેલ્લા કેટલાક કલાકોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઉછાળો આવ્યો, જેનાથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં ખુબ વધારો જોવા મળ્યો. BSE સેન્સેક્સ 487.20 પોઈન્ટ અથવા 0.60 ટકા વધીને 82,344.68 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 167.35 પોઈન્ટ અથવા 0.66 ટકા વધીને 25,342.75 પર બંધ થયો.
BSEના ટોચના 30 શેરોમાંથી ફક્ત 8 ઘટ્યા, જ્યારે બાકીના 22 શેરોમાં સારો એવો વધારો જોવા મળ્યો. BELના શેર સૌથી વધુ 8.90 ટકા વધીને રૂ. 453 પર પહોંચી ગયા. ત્યાર પછી ETERNAL શેર 5 ટકા વધીને રૂ. 266 પર પહોંચી ગયા. બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ, ટ્રેન્ટ અને પાવરગ્રીડના શેર 2 ટકા વધ્યા. મારુતિ સુઝુકી, સન ફાર્મા, ઇન્ફોસિસ અને એરટેલ જેવા શેર નીચા સ્તરે બંધ થયા.
મિડ-કેપ અને સ્મોલ-કેપ બજારોમાં પણ જોરદાર તેજી જોવા મળી. નિફ્ટી મિડકેપ 100 954 પોઈન્ટ વધ્યો, જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 100માં 371 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. આના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. BSE માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 453.67 લાખ કરોડથી વધીને રૂ. 459.64 લાખ કરોડ પર પહોંચી ગયું, જે લગભગ રૂ. 6 લાખ કરોડનો ઉછાળો દર્શાવે છે.
ભારતીય શેરબજારમાં બુધવારના ઉછાળાનું સૌથી મોટું કારણ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો મુક્ત વેપાર કરાર હોવાનું માનવામાં આવે છે, જેના હેઠળ બંને દેશો મોટાભાગની ચીજવસ્તુઓ પર નીચા અથવા શૂન્ય ટેરિફ લાદવા સંમત થયા છે. આ સોદાથી ભારતની નિકાસમાં વધારો થવાની ધારણા છે, જેનાથી ઘણી કંપનીઓને ફાયદો થશે. આનાથી શેરબજારમાં સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે.
જ્યારે લાર્જ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ મજબૂત ઉછાળો જોવા મળ્યો, જેના કારણે સારા એવા પ્રમાણમાં ખરીદી નોંધાઈ છે. ખાસ કરીને બજાર બંધ થવાના થોડા જ કલાકો પહેલા આ શેરોમાં ખુબ વધારે પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી.
સ્ટારલાઇટ શેર આજે 20 ટકા વધીને રૂ. 103 પર પહોંચી ગયા. તેજસ નેટવર્ક્સના શેર 15 ટકા વધ્યા, જ્યારે ડેટા પેટર્ન્સના શેર 13.63 ટકા વધ્યા. હિન્દુસ્તાન કોપરના શેર 12.67 ટકા વધ્યા. ઓઇલ ઇન્ડિયાના શેર 9 ટકા વધ્યા. મોતીલાલ ઓસ્વાલના શેર 8 ટકા વધ્યા.
નોંધ: તમારે કોઈપણ શેરમાં તમારું નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાંત નાણાકીય સલાહકારની સલાહ લેવી આવશ્યક છે.

