- Gujarat
- પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં
પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં
સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણી પરિવારના શામિયાણાથી 20 અને 21 ડિસેમ્બર એમ બે દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મનસુખભાઇ મંડવીયા, નીમુબહેન બાંભણીયા સહિત અનેક રાજકીય, સામાજિક, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજાર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે.
વિવાહ પાંચ ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ “કોયલડી” નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5539 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા 18 વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે. પી.પી. સવાણી પરિવારના લગ્ન સમારોહ જોઈને બીજા અનેક લોકો, સંસ્થા રાજ્યમાં અને રાજ્ય બહાર દીકરીઓના કન્યાદાનના સમારોહ યોજતી થઈ છે. ‘કોયલડી’ લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે 5539 દીકરીઓનું કન્યાદાન કર્યું છે. સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીને સાસરે વળાવીશું. મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્નતો થાય જ છે સાથે દલિત, આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ-જૈન પરિવારની દીકરી હોય અમારા આંગણે બધા એક જ છે, સાચા ભારતનું પ્રતિબિંબ તમને જોવા મળશે.
મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દીકરીને માત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા. આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતાં રહી છીએ. અમારા આ કાર્યમાં અનેક લોકોનો સહયોગ મળ્યો છે, અનેક દીકરી-માના આશીર્વાદ અમને આટલા વર્ષોમાં મળ્યા છે.
કોયલડી લગ્ન સમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિની દીકરીઓ પોત-પોતાના રીત-રસમો સાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે.આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના લાડકવાયા દીકરા મિતુલ, મોહિત, સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમને પોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.
પી. પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11,000 દીકરી–જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે. હવે સેવા સંગઠનની મોબાઈલ એપ્લિકેશનમાં ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમ જેવી વિવિધ સેવા આપતી ટીમોની સંપૂર્ણ માહિતી મળશે. કોઈપણ જરૂરી મદદ માટે સીધો સંપર્ક આ એપ્લિકેશન દ્વારા નજીકમાં રહેતા દીકરી–જમાઈની માહિતી પણ તરત મળી રહેશે. આ એપ્લિકેશનમાં તમે સભ્ય પોતાના બિઝનેસની માહિતી પણ મૂકી શકે છે જેથી બિઝનેસનો વિકાસ થશે. સેવા સંગઠનના સભ્યો તમામ કાર્યક્રમોની અપડેટ્સ, એપ્લિકેશન મારફત નિયમિત રીતે મળી રહેશે. સેવા સંગઠનના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી તમામ માહિતી અને લાભ મેળવી શકે એવા શુભ આશયથી સેવા સંગઠન એપ્લીકેશનનું લોન્ચિંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે થનાર છે.
કોયલડી લગ્ન સમારોહની શરૂઆત રવિવાર 13 ડિસેમ્બરના દિવસે યોજાયેલા રાસ-ગરબાથી થઈ ચૂકી છે. આ વર્ષે ગુજરાતની છ લોકપ્રિય ગાયિકાઓ અલ્પા પટેલ, પ્રિતી પાઠક, નેહા કુંભાણી, સંગીતા પટેલ, અપેક્ષા પંડયા અને સોનલ બારોટ કોયલડીના ટાઇટલ ટ્રેક ગીત બનાવ્યા છે. ઉર્વશી રાદડિયા અને વિવેક સાંસલાએ વર-કન્યા પરિવારને ગરબે ઘુમાવ્યા હતા સંગીત સમારોહના મુખ્ય મહેમાન તરીકે સુરત, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત રેન્જ આઇજી પ્રેમવિર સિંહ, સુરત, એસપી રાજેશભાઈ ગઢિયા ઉપસ્થિત રહ્યા હતા.
તારીખ 18મી ડિસેમ્બરના રોજ 9 મહિલા આઇપીએસ, 2 મહિલા આઈએએસ, 4 આઇપીએસ અને આઈએએસની અને 3 સમાજ અગ્રણીની પત્નીની હાજરીમાં મહેંદી રસમ યોજાશે. મનીષ વઘાસિયા, અંકિતા મૂલાણી, ડૉ. જય વશી જેવા મોટીવેશનલ વક્તા વર અને કન્યા બંને પરિવાર સાથે સંવાદ પણ સાધશે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ, ડીડીઓ શિવાનીબેન ગોયલ, મહિલા આઇપીએસ અધિકારી શૈફાલીબેન બરવાલ, ડો. નિધિબેન ઠાકુર, બિશાખાબેન જૈન, અનુપમબેન, પન્નાબેન મોમૈયાની સાથે જીપીએસ કેડરના કાનનબેન દેસાઇ, જુલીબેન કોઠિયા, ભક્તિબેન ડાભીની સાથે જ મહિલા અગ્રણીઓ સંધ્યાસિંઘ ગેહલોત, રાગીનીબેન પારધી, ચિત્રા પ્રેમવીર સિંહ, હર્ષાબેન ગઢિયા, જીયાબેન શૈલેશભાઈ પરમાર, તૃપ્તિબેન દેસાઈ, પલ્લવીબેન ઘેલાણી, હર્ષાબેન પટેલ હાજર રહી દીકરીની મહેદી રસમમાં સહભાગી થયા હતા અને માતૃત્વની હૂંફ પૂરી પાડી હતી.
ત્રણ પુસ્તકનું પદ્મશ્રીઓના હસ્તે વિમોચન: શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જનાર સેવાના ભેખધારી પી.પી.સવાણીગ્રુપના મોભી વલ્લભભાઈ પી.સવાણીનાં જીવન કવન પર લેખક શૈલેષભાઈ સગપરિયા દ્વારા લખાયેલ પુસ્તક “આરોહણ" અને પિતા વિહોણી હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ વી.સવાણીના જીવન ઉપર લેખક ડૉ. જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક “પ્રેરણામૂર્તિ” તેમજ આ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનનાનું પુસ્તક “કોયલડી”નાસંયુક્ત વિમોચન પદ્મશ્રી કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, ભીખુદાન ગઢવી, ડૉ. વિષ્ણુભાઈ પંડયા, અબ્દુલ ગફુર ખત્રી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, યઝદીભાઈ કરંજિયા, રમીલાબેન ગામીત, સવજીભાઈ ધોળકીયા, પરેશભાઈ રાઠવા, ડૉ. જગદિશભાઈ ત્રિવેદી, ડૉ. યઝદી ઇટલીયાના હસ્તે થશે.
દીકરીઓને હનીમૂન અને માતા-સાસુને ધાર્મિક યાત્રા: પી.પી.સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દર વર્ષે લગ્ન પછી કુલ્લુ-મનાલી હનીમૂન માટે મોકલે છે. આ કાર્યમાં ફારુકભાઈ પટેલનું કે.પી. ગ્રુપ પણ સહયોગી બન્યું છે. દરેક દીકરી-જમાઈ સાથે સમૂહમાં હનીમૂન ઉપર જાય છે એની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી-જમાઈ એક સાથે પ્રવાસ કરે, 10-15 દિવસ સાથે ગાળે તો એમને એકબીજાને સમજવાની તક મળે, મિત્રતા અને પરિવારની ભાવના કેળવાઈ. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને એના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવદંપતીને હનીમૂન ઉપર સાથે જ મોકલવામાં આવે છે.
એ જ ક્રમમાં લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈની માતા એટલે કે બંને વેવાણને સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે, તેમજ મુસ્લિમ દીકરી જમાઈ 15 દિવસની ઉમરાહ (મકા-મદીના) હજ માટે પી.પી. સવાણી અને કે.પી. ગ્રુપ સંયુક્ત રીતે આ સમગ્ર પ્રવાસનું આયોજન કરશે અને ખર્ચ પણ ઉપાડશે.
લગ્ન પહેલા થેલેસિમિયા ટેસ્ટ ફરજિયાત: દંપતીની કુંડળી કરતાં પણ જરૂરી છે કે એમના લોહી મળે. થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો એમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે છે આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસિમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે. આ તપાસ પછી જ કરિયાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી.

