- Gujarat
- પોતાને ગોળી મારીને જીવ ગુમાવનાર સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીને બ્લેકમેઈલ કરતી મહિલાની ધરપકડ
પોતાને ગોળી મારીને જીવ ગુમાવનાર સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીને બ્લેકમેઈલ કરતી મહિલાની ધરપકડ
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના જીવન ટૂંકાવવાના કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડરને જીવન ટૂંકાવવા માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે તુષાર ઘેલાણીની મહિલા મિત્ર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બ્લેકમેલિંગ અને મિલકતો પડાવી લેવાની વિગતો સામે પોલીસે આવતા આ કાર્યવાહી કરી છે.
શું છે સમગ્ર મામલો
તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.
મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 5 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા.
તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, મહિલા મિત્ર તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધોનો અંત લાવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી. મહિલા મિત્રએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકી અપાતા તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું હતું.
તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભદોરિયા વિરુધ અરજી કરી હતી, તેના આરોપ લગાવ્યો હતો કે, તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. પૂનમ ભદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીઘી હતી. તુષાર ઘેલાણી પૂનમ ભદોરિયાથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે પીછો છોડતી નહોતી. દીકરીના લગ્નમાં પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ચીમકી આપી હતી, એટલે તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું હતું.
જોકે, સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને બિલ્ડરના પરિજનો પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભદોરિયાની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તુષાર ઘેલાણીના પરિવારજનોએ પણ પોલીસમાં મહિલાની વિરુદ્ધમાં અરજી કરી હતી, જેમાં તેમણે તુષાર ઘેલાણીને આ મહિલાએ ત્રાસ આપીને ઈમોશનલ અને ફાઇનાન્શિયલ બ્લેકમેલ કરતી હોવાનો દાવો કર્યો આવ્યો હતો. પરિવારની આ ફરિયાદના આધારે જ પોલીસે આજે મહિલા સામે ગુનો નોંધી અટકાયત કરી છે.
બીજી તરફ, ધરપકડ કરાયેલી મહિલાએ પણ પોલીસમાં અરજી કરી ચોંકાવનારા દાવા કર્યા હતા. તેણે આ ઘટનાને આપઘાત નહીં પણ 'મર્ડર' ગણાવ્યું હતું. તેણે આક્ષેપ લગાવ્યો હતો કે પરિવાર મૃતક તુષાર ઘેલાણીનો ઉપયોગ માત્ર 'ATM મશીન' તરીકે કરતો હતો અને તેમને માન-સન્માન આપતો નહોતો. આ ઉપરંત તેણે એવો પણ દાવો કર્યો હતો કે દીકરીના લગ્ન માટે તુષારભાઈએ તેની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, તુષાર ઘેલાણીએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ની મધ્યરાત્રિએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને 5 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. 12 ફેબ્રુઆરીના રોજ તેમના પરિવાર દ્વારા તપાસ માટેની ઔપચારિક વિનંતી કરવામાં આવ્યા બાદ પોલીસ તેમના સંબંધીઓ, પાડોશીઓ અને સહકર્મીઓની સઘન પૂછપરછ કરી રહી છે. આ તપાસમાં પૂનમબેન નામની મહિલા મુખ્ય પાત્ર તરીકે સામે આવી છે, જેમના પર મૃતકને માનસિક અને આર્થિક રીતે ભારે દબાણ આપવાનો આરોપ છે.
પોલીસ તપાસમાં "બ્લ્યુ પેપિલોન સ્કૂલ સાથે સંકળાયેલા આર્થિક વ્યવહારો બહાર આવ્યા છે, જેમાં પૂનમબેન કોઈ પણ દસ્તાવેજી આર્થિક રોકાણ વગર મેનેજિંગ પાર્ટનર તરીકે કામ કરતા હતા અને નફામાં ભાગ મેળવતા હતા. વધુમાં, પોલીસે ઓગસ્ટ 2025માં થયેલા એક શંકાસ્પદ પ્રોપર્ટી ટ્રાન્સફર પર પણ પ્રકાશ પાડ્યો છે, જેમાં તુષારે જોલી આર્કેડમાં આવેલી બે દુકાનો, જેની અંદાજિત કિંમત 1.06 કરોડ છે, તે કોઈપણ બેંકિંગ વ્યવહાર વગર પૂનમબેનના નામે કરી દીધી હતી.
ઉમરા પોલીસે બંને પક્ષોની અરજી અને પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે, હાલ પોલીસે મહિલા મિત્ર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

