- Gujarat
- આજથી ગુજરાતની 17000 રાશનની દુકાનો બંધ, આંદોલન શરૂ, જાણી લો શું તેમની માંગ
આજથી ગુજરાતની 17000 રાશનની દુકાનો બંધ, આંદોલન શરૂ, જાણી લો શું તેમની માંગ
ગુજરાતના આશરે 17,000 થી વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ લાંબા સમયથી બાકી રહેલી 20 મુખ્ય માંગણીઓ ન સંતોષાતા 1 નવેમ્બર, 2025થી અસહકાર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેઓ અનાજ વિતરણ પ્રક્રિયાથી અળગા રહેશે. આ નિર્ણયથી નવેમ્બર મહિનામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.

આ આંદોલનની જાહેરાત ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ & કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશન (GSFPSA) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.
અસહકાર આંદોલનનો નિર્ણય
બંને એસોસીએશનોએ જણાવ્યું છે કે સરકાર તરફથી અનેક રજૂઆતો છતાં તેમની માંગણીઓ પર કોઈ પગલું ભરાયું નથી. પરિણામે, ડીલરો નવેમ્બર-2025 માટે જથ્થાનો ચલન નહીં ભરે અને 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખશે. આ અંગેની જાણ પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને લેખિતમાં આપવામાં આવી છે.
મુખ્ય માંગણીઓ
રેશન ડીલરોએ કુલ 20 માંગણીઓ રજૂ કરી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ છે કમિશન વધારાની.
કમિશન વધારો: વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને પ્રતિ કિલો કમિશન ₹1.50માંથી વધારીને ₹3 કરવાની કરી માંગ. મિનિમમ કમિશન: માસિક કમિશન ₹20,000માંથી વધારીને ₹40,000 કરવું અને દર વર્ષે 10% નો નિયમિત વધારો નક્કી કરવો.

ટેકનિકલ અને વારસાઈ સંબંધિત સુધારાની માંગ
ડીલરોની ટેક્નોલોજી અને સંચાલન સંબંધિત માંગણીઓ પણ મહત્વપૂર્ણ છે:
ઈ-પ્રોફાઈલમાં સહાયક ઉમેરો: દુકાનદારે પોતાના પરિવારના સભ્ય અથવા સહાયકને ઈ-પ્રોફાઈલમાં ઉમેરવા અને તેમના બાયોમેટ્રિકથી લોગીન કરવાની સુવિધા આપવી, જેથી દુકાનદાર ગેરહાજર હોય ત્યારે પણ વિતરણ ચાલુ રહી શકે.
વારસાઈ જોગવાઈ પુનઃસ્થાપિત કરવી: હાલ સ્થગિત કરેલી વારસાઈ વ્યવસ્થાને ફરી અમલમાં લાવવી.
વિતરણ અને તપાસ સંબંધિત વ્યવહારિક ઉકેલ
ડીલરોએ અનાજ વિતરણ દરમિયાન થતી અડચણો માટે વ્યવહારિક નીતિની માંગ કરી છે:
માલ ઘટ: દુકાન સુધી પહોંચતા માલમાં થતી ઘટ (જેમ કે વેરણ ઘટ કે જથ્થો સુકાઈ જવો) માટે સ્પષ્ટ અને સર્વમાન્ય ઉકેલ.
તપાસ પ્રક્રિયા સુધારવી: તપાસના બહાને થતી ખોટી હેરાનગતિ અને દંડની પ્રથા બંધ કરવી.
કોન્ટ્રાક્ટર અને સર્વર વ્યવસ્થા: કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર જથ્થો પહોંચાડવો તથા સર્વર ડાઉન હોય ત્યારે ગ્રાહકોને માહિતી આપવાની વ્યવસ્થા કરવી.
અન્ય વહીવટી અને ટેકનિકલ માંગણીઓ
તા. 15/10/2025ના પરિપત્રનો વિરોધ: દુકાન પર જથ્થો મળ્યા બાદ 80% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવાના ઠરાવને રદ કરવો.
કમિશનની અનિયમિતતા દૂર કરવી: કમિશન સમયસર બેન્ક એકાઉન્ટમાં જમા થાય અને ઈ-પાસબુકમાં અપડેટ થાય તે માટે સોફ્ટવેરમાં સુધારણા.
મેન્યુઅલ રેકર્ડની ફરજ દૂર કરવી: મેન્યુઅલ રજીસ્ટર રાખવાની ફરજ દૂર કરીને તેને મરજીયાત બનાવવી.
સરકાર સામે ચેતવણી
એસોસીએશનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો તેમની વાજબી માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે વિશાળ આંદોલન કરશે. આથી રાજ્યમાં થતી અસુવિધાઓ માટે સરકાર અને પુરવઠા વિભાગ જવાબદાર ગણાશે.આ સંયુક્ત આવેદનપત્ર પર પ્રહલાદભાઈ મોદી (ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ & કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ) અને રાજેન્દ્રસિંહ જાડેજા (ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ) સહિત અન્ય હોદ્દેદારોએ સહી કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર તાત્કાલિક નિર્ણય લઈને આંદોલન ટાળી શકે, જેથી ગરીબ ગ્રાહકોને અનાજ મેળવવામાં મુશ્કેલી ન પડે.

