- Gujarat
- ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય, 50 કિમીમાં અકસ્માત થશે તો...
ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય, 50 કિમીમાં અકસ્માત થશે તો...
શક્તિપીઠ અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી પડશે. ભાદરવી પૂનમના મેળામાં 1-6 સપ્ટેમ્બર દરમિયાન સવારે 6:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. 7 સપ્ટેમ્બરે પૂનમ આવે છે, પરંતુ આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ પણ છે, જેથી મંદિરમાં બપોરે 12:30 વાગ્યે દર્શન બંધ થઇ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે. સાંજે 5:00 વાગ્યા બાદ મંદિરમાં દર્શન પૂરેપૂરું બંધ કરી દેવામાં આવશે.
ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 બાદ ધજા નહીં ચઢે. એટલે તમે ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠ જવાનું વિચારી રહ્યા હોવ તો આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. જેથી કરીને તમારે જાળીમાંથી દર્શન કરીને પરત ન ફરવું પડે. આ ઉપરાંત શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટે આ વર્ષે ભક્તો માટે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે, 50 કિલોમીટરના દાયરામાં કોઈ યાત્રાળુને અકસ્માત નડે છે તો તેને વીમાનું વળતર મળશે.
મંદિર દેવસ્થાન ટ્રસ્ટના પ્રશાસક કૈશિક મોદીએ જણાવ્યું હતું કે, આ મેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આ વીમો લેવામાં આવ્યો છે. જેમાં કોઇ શ્રદ્ધાળુનો માર્ગ અકસ્માત થાય અથવા મોત થાય તો શ્રદ્ધાળુઓને સહાયતા મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટે 10 કરોડ રૂપિયા સુધીનો થર્ડ પાર્ટી લાયબિલિટી વીમો લીધો છે. ગત વર્ષે અંબાજી વિસ્તારના માત્ર 20 કિલોમીટરના સુધીનું કવરેજ લીધું હતું. આ વર્ષે તેમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લામાં 50 કિલોમીટર સુધીમાં થતા વાહન અકસ્માતોને આ વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
વીમા માટે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ કોર્ટમાં ક્લેમ કરવાનો રહેશે. નામદાર કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ક્લેમધારકને ચૂકવવામાં આવશે. અંબાજી મંદિર પ્રશાસક કૌશિક મોદીના જણાવ્યા અનુસાર, આ મેળા દરમિયાન 10 કરોડ રૂપિયા સુધીનું કવરેજ લેવામાં આવ્યું છે, જે ગત વર્ષે 3 કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે, યાત્રા દરમિયાન લાખો ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પગપાળા ચાલીને અંબાજીના મહામેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓના આરામ માટે અલગ-અલગ જગ્યાએ જર્મન ટેક્નોલોજીથી બનેલા મોટા ડોમ ઊભા કરવામાં આવ્યા છે. જે અંબાજી-હડાદ રોડ કામાક્ષી મંદિર પાસે, જૂની કૉલેજ પરિસરમાં મંદિરની સામે મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ આગળ મલ્ટિપર્પઝ ડોમ અને દાંતા રોડ પર વિવિધ સ્થળોએ આ વિસામા બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વિસામામાં ભક્તો માટે પીવાના પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત, અમુક મોટા ડોમમાં મોબાઇલ ચાર્જિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓ કોઈપણ અગવડતા વિના યાત્રાનો આનંદ માણી શકે. આ સિવાય ભાદરવી પૂનમના મેળામાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે દાતાશ્રીઓના સહયોગથી અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા 4 જગ્યાએ કરવામાં આવી છે અન્નક્ષેત્ર અંબિકા, ગબ્બર તળેટી, દિવાળીબા અને ઇનોગ્રેશન ડોમ (ઉદ્ઘાટન ડોમ) વેગ્ટેશ માર્બલની બાજુમાં શ્રદ્ધાળુઓ વિનામુલ્યે ભોજનનો લાભ લઈ શકશે.
ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખોની સંખ્યામાં શ્રદ્વાળુંઓને પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે આ વખતે પ્રસાદ વિતરણની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે આ પ્રસાદ વિતરણ અંબાજી મંદિર પરિસરની બહારના ભાગે યાત્રિક પ્લાઝા, સાત નંબર ગેટ બાહર, બસ સ્ટેન્ડ ડોમ, 90 નંબર પાર્કિંગમાં એમ 5 જગ્યાએ પ્રસાદ વિતરણ કેન્દ્ર ખોલવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓ પોતાની સાથે વાહનો લઈને આવતા હોય છે. આ શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા હાઈવે પર મંદિર પહેલાં જ 35 જેટલા નવા પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે.
પાર્કિંગ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/એપ સ્ટોરમાંથી ‘Show my Parking’ એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ખોલીને મોબાઈલ નંબર નાખીને Log In કરી લો.
ત્યારબાદબાદ મેઇન ડૅશ બોર્ડમાં ‘અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો 2025’ ઇવેન્ટ નામના ઓપ્શન પર સિલેક્ટ કરો.
ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરો.
આ વિગતો ભરીને ‘Book’ પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મળી જશે.

