- National
- બિહારમાં મહાગઠબંધનની કારમી હારના કારણો જાણી લો
બિહારમાં મહાગઠબંધનની કારમી હારના કારણો જાણી લો
બિહારમાં થયેલી ચૂંટણી લડાઈનું પરિણામ લગભગ સ્પષ્ટ થઇ ગયું છે. જો આ વલણો નક્કર પરિણામોમાં રૂપાંતરિત થયા તો NDAની સરકાર બનશે. ચૂંટણી પંચની વેબસાઇટ પરના આંકડા જોતા, BJPને 94 બેઠકો અને JDUને 84 બેઠકો મળવાનો અંદાજ છે. બંનેની સંયુક્ત બેઠકો મેળવીએ તો તે બહુમતી સીમાથી પણ ઘણી આગળ જઈ ચુકી છે. સપનું તો વિપક્ષનું ચકનાચૂર થયું છે, તેજસ્વી યાદવનું, જે તેમના પિતા લાલુ પ્રસાદ યાદવની જેમ બિહારના CM બનવાની ઇચ્છા રાખે છે, અને રાષ્ટ્રીય જનતા દળ, કે જે 2005થી સત્તા મેળવી જ નથી શકી. 2020માં તો પરિસ્થિતિ હજુ પણ સારી હતી, 75 બેઠકો જીતી હતી. આ વખતે તો પરિસ્થિતિ તદ્દન ઊંધી થઈ ગઈ છે. જાણે દોરાની માળામાંથી દોરો જ છૂટી ગયો. રાષ્ટ્રીય જનતા દળ, જેણે 143 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેને ફક્ત 25 બેઠકો મળવાનો અંદાજ છે. કોણ જાણે, આ આંકડો પણ ઘટી શકે છે.
મહાગઠબંધનના અન્ય પક્ષોમાં, કોંગ્રેસ ફક્ત બે બેઠકો સુધી મર્યાદિત થઇ ગઈ હોય તેવું લાગે છે. ગયા વખતે CPI-MLને 12 બેઠકો મળી હતી. આ વખતે પરિસ્થિતિ એવી છે કે, બે મળી જાય તો પણ સારું રહેશે. DyCM બનવાનું સપનું જોનારા ઉમેદવાર મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગઈ. જ્યારે CPM તો એક બેઠક પર આગળ બની રહેલી છે.
હવે સવાલ એ છે કે 20 વર્ષના કથિત સત્તા વિરોધી વલણ હોવા છતાં મહાગઠબંધનની આવી દુર્દશા કેમ થઇ? આખરે વિપક્ષ ફરી એકવાર નીતિશ કુમાર-BJPના ચક્રવ્યૂહને તોડવામાં કેમ નિષ્ફળ ગયું? જીતેલા અને હારેલા પક્ષો તેમના પોતાના દ્રષ્ટિકોણથી આનું વિશ્લેષણ તો કરશે જ. પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, તાત્કાલિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કેટલાક મોટા મોટા કારણો નજરે ચઢે છે.
5 નવેમ્બર, 2025ના રોજ, જ્યારે બિહારમાં મતદાનના પ્રથમ તબક્કાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 'હાઇડ્રોજન બોમ્બ'ના નામે દાવો કર્યો હતો કે, હરિયાણાની ચૂંટણીમાં 25 લાખ મતોમાં ગોટાળા થયા છે. ચૂંટણી પંચ અને BJP પર દોષારોપણ કરતા તેમણે એમ પણ કહ્યું કે, બિહારની ચૂંટણીમાં પણ આવું જ થશે. આ અગાઉ, તેમણે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવાની ચૂંટણી પંચની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
17 ઓગસ્ટ, 2025ના રોજ, તેમણે બિહારના સાસારામથી મતદાર અધિકાર યાત્રા શરૂ કરી, જેમાં મત ચોરીને મુદ્દો બનાવવામાં આવ્યો. તે 1,300 Km 16 દિવસ સુધી ચાલીને 1 સપ્ટેમ્બર, 2025ના રોજ પટનાના ગાંધી મેદાનમાં સમાપ્ત થઈ. આ ઝુંબેશમાં RJDએ કોંગ્રેસને ટેકો આપ્યો, અને તેજસ્વીએ આ મુદ્દા પર રાહુલ ગાંધીને અનુસરવાનું શરૂ કર્યું.
પરંતુ બંને પક્ષો બિહાર ચૂંટણીમાં SIRને મુદ્દો બનાવવામાં નિષ્ફળ ગયા. તેનાથી વિપરીત, જ્યારે આનાથી થનારું 'નુકસાન'નો આભાસ થયો, ત્યારે કોંગ્રેસે તેના આ અભિયાનને અટકાવી દીધું. તેજસ્વીએ 16 સપ્ટેમ્બર, 2025થી બિહાર અધિકાર યાત્રા શરૂ કરીને પણ તમામ પ્રયાસો ત્યાંના ત્યાં જ રહી ગયા. ચૂંટણીના વલણો સૂચવે છે કે, જનતાએ તેને ગંભીરતાથી લીધું ન હતું, અને આ પગલું મહાગઠબંધન પર ઊંધું પડ્યું.
'તેજસ્વી પ્રણ' મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરાનું નામ હતું. સમસ્યા ફક્ત એટલી નહોતી કે, મેનિફેસ્ટોમાં મહાગઠબંધનના RJD-કેન્દ્રિત અભિગમનો પર્દાફાશ થયો હતો, અન્ય પક્ષો પણ તેમાં પાછળ પડતા જોવા મળ્યા હતા. મોટી સમસ્યા એ હતી કે, તેમાં વ્યવહારુ વચનોનો અભાવ હતો. મેનિફેસ્ટોમાં તેજસ્વીનું ધ્યાન સંપૂર્ણપણે નોકરીઓ, ખાસ કરીને દરેક ઘર માટે સરકારી નોકરીઓ પૂરી પાડવા પર કેન્દ્રિત હતું. લોકોએ કહેવાનું શરુ કર્યું કે એટલી તો સરકારી નોકરીઓ પણ નથી કે જેને આપવાનું વચન તેજસ્વી આપી રહ્યા છે. લોકો 'બ્લુપ્રિન્ટ'ની માંગણી કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે તેઓ આ કેવી રીતે પ્રાપ્ત કરશે. તેજસ્વી આ માંગણીને ટાળતા રહ્યા, અને એવું કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં દરેક ઘર માટે સરકારી નોકરીઓ કેવી રીતે પૂરી પાડવી તે અંગેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પ્રદાન કરશે. પરંતુ ચૂંટણીઓ પૂરી થઈ ગઈ હતી, અને તે બ્લુપ્રિન્ટ હજુ આવી ન હતી. આવા વચનોએ RJDની ગંભીરતાને નબળી પાડી દીધી.
સીટ વહેંચણી અંગેના વિવાદોએ મહાગઠબંધનની છબીને ગંભીર રીતે કલંકિત કરી. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી ગઈ, તેમ તેમ સીટ વહેંચણી પર સર્વસંમતિના અભાવે ગઠબંધન પક્ષોએ એકબીજા સામે જ ઉમેદવારો ઉભા કરી દીધા. વૈશાલી, સિકંદરા, કહલગાંવ, સુલતાનગંજ, નરકટિયાગંજ અને વારિસલીગંજની બેઠકો પર RJD અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને થયા હતા. બછવારા, રાજાપાકર, બિહાર શરીફ અને કરઘરમાં, ડાબેરી પક્ષો અને કોંગ્રેસે એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા. આનાથી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા, જેના પરિણામે મહાગઠબંધનને સૌથી મોટું નુકસાન થયું.
શશિ ભૂષણના મતે, આ ઉપરાંત મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે સંકલનનો પણ ખુબ મોટો અભાવ હતો. બેઠકોની વહેંચણી દરમિયાન જે કંઈ બની ગયું તે બની ગયું, પરંતુ તેવું જ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોવા મળ્યું. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ, પક્ષોમાં જેવી એકતા હોવી જોઈએ તેનો અભાવ હતો.
આ ઉપરાંત, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના યાદવ સમર્થકોની આક્રમકતાને કારણે ઘણા પછાત અને દલિત મતદારો મહાગઠબંધનથી દૂર થતા ગયા. આનાથી NDAને ફાયદો થયો હતો.

