- Gujarat
- ‘આદિવાસીઓ તો દારૂ...’, આ શું બોલી ગયા આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડા?
‘આદિવાસીઓ તો દારૂ...’, આ શું બોલી ગયા આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડા?
ગુજરાતમાં દારૂબંધી છે અને સરકાર દારૂબાંધીના કડક અમલની વાતો કરે છે ત્યારે સરકારના જ આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડાએ એક જાહેર મંચ પરથી આપેલા નિવેદને ભારે ચર્ચા જગાવી છે. મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંત્રી પી.સી. બરંડા જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને વાત કરતા નજરે પડે છે અને પૂર્વ ધારાસભ્યને સંબોધન કરીને કહે છે કે હું 2015માં અહીં DSP તરીકે આવ્યો ત્યારે અમારી મિત્રતા થઈ હતી. સંકલનમાં કહેતા કે દારૂને બધું ચાલે છે. ત્યારે હું કહેતો એ તો ચલાવવું પડે. મારો આદિવાસી તો દારૂ જ પીવે ને… થોડુઘણુ ચલાવવુ પડે. આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે અને મંત્રી પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે.
ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડા, જેઓ ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, તેમનો 13 નવેમ્બરનો એક વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક જાહેર સભામાં સંબોધન દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને મંત્રીએ દારૂબંધીની નીતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના પોલીસ વિભાગના અનુભવો શેર કરતા કહ્યું હતું કે દારૂબંધી હોવા છતા વ્યવહારિક રીતે તેનું થોડું ઘણું ચલણ ચલાવવું પડે છે.’
વાયરલ વીડિયોમાં મંત્રી એવું કહેતા સાંભળવા મળે છે કે આદિવાસી વિસ્તારમાં દારૂનું સેવન પરંપરાગત રીતે થતું હોય છે. એક જવાબદાર મંત્રી તરીકે રાજ્યની દારૂબંધી નીતિનો બચાવ કરવાને બદલે, તેમણે દારૂના ચલણને આડકતરી રીતે સમર્થન આપ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. સરકારના જ પ્રતિનિધિ દારૂબંધી વિરોધી સૂર કરે ત્યારે સવાલ ઉઠવા પણ વ્યાજબી છે.
પી.સી. બરંડાના આ નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ સરકારને આડે હાથ લીધી છે. તુષાર ચૌધરીએ કહ્યું કે, ‘જો મંત્રી દારૂ ચલાવી લેવાની વાત કરતા હોય, તો તેનો અર્થ એ છે કે જ્યારે તેઓ પોલીસ અધિકારી હતા ત્યારે તેમણે દારૂના ધંધાર્થીઓ પાસેથી હપ્તા લીધા હોવા જોઈએ. ગુજરાતમાં દારૂબંધી જેવું વાસ્તવમાં કંઈ છે જ નહીં. રાજ્યના ખૂણેખૂણે દારૂ સરળતાથી મળી રહે છે. ચૌધરીએ દાવો કર્યો કે દારૂના વેપલાના હપ્તા છેક ગાંધીનગર સુધી પહોંચે છે અને મંત્રીનું આ નિવેદન એ વાતની સાબિતી છે કે તંત્રની રહેમનજર હેઠળ જ આ બધું ચાલી રહ્યું છે.
રાજ્યકક્ષાના આ મંત્રીએ સરકારી કાર્યક્રમમાં આપેલા નિવેદનથી પોતાની જ સરકારના શાસનમાં દારૂબંધીની સ્થિતિ DSP તરીકે કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં છૂટછાટ આપવી અને ગુજરાતમાં માત્ર કાગળ પર રહેલી દારૂબંધીની સચ્ચાઈ ખુલ્લેઆમ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, IPSમાંથી રાજીનામું આપીને રાજકારણમાં આવેલા બરંડા દારૂબંધીના અમલને લઈને અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે.

