- National
- સુનેત્રા પવારને DyCM બનાવ્યા પછી, પુત્ર પર પણ નિર્ણય આટલો જલ્દી કેમ? BJPની આટલી ઉતાવળનું કારણ શું છે...
સુનેત્રા પવારને DyCM બનાવ્યા પછી, પુત્ર પર પણ નિર્ણય આટલો જલ્દી કેમ? BJPની આટલી ઉતાવળનું કારણ શું છે!
મહારાષ્ટ્રના DyCM અજિત પવારના વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન પછી NCP સાથે વિલયની ચર્ચાઓ તેજ થઈ હતી. 28મી તારીખે તેમનું અવસાન થયું અને 29મી તારીખે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 30મી જાન્યુઆરીએ અજિત પવારના પુત્રોએ તેમના પિતાની અસ્થિ નદીમાં વિસર્જન કરી. બીજા દિવસે, અજિત પવારની પત્ની, સુનેત્રા પવારે, સાંજે DyCM તરીકે શપથ લીધા, અને આજે સવારે, સૂત્રોએ ખુલાસો કર્યો કે અજિતના પુત્ર, જય પવાર, રાજ્યસભામાં ચૂંટાશે. સૂત્રો કહે છે કે BJP પાર્થ પવારના પક્ષમાં નથી.
BJP જય પવારના નામ સાથે સંમત છે પણ પાર્થના નામ સાથે નહીં, કારણ કે તેમના પર પહેલાથી જ એક જમીન કૌભાંડમાં આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે, જ્યારે શરદ પવાર અને અજિત પવાર જૂથના નેતાઓ વિલયની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે શપથ ગ્રહણ કરવાનો અને પુત્રને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય બે દિવસમાં કેમ લેવામાં આવ્યો?
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને જૂથો વચ્ચે સકારાત્મક ચર્ચા ચાલી રહી હતી, અને અગાઉના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં શરદ પવાર મધ્યમાં બેઠા છે અને અજિત પવાર તેમની બાજુમાં બેઠા છે. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે અજિત ઇચ્છતા હતા કે બંને જૂથો એક થાય. તો પછી પ્રશ્ન એ છે કે શું BJP બંને જૂથો એક થાય તેવું ઇચ્છતું નથી? આ પાછળ BJPનો હેતુ શું હોઈ શકે?
જો શરદ પવાર અને અજિતના જૂથો એક થાય છે, તો તે BJP માટે પડકારો ઉભા કરી શકે છે, તેવી રીતે જો તેઓ અલગ રહે છે તો પડકાર નથી આવતા, કારણ કે અજિતની છાવણી તેમની સાથે જોડાયેલી રહેશે. પ્રફુલ્લ પટેલ જેવા નેતાઓ BJP તરફ ઝુકાવ ધરાવે છે. એકીકરણ થવાથી સત્તા શરદ પવારના હાથમાં જઈ શકતી હતી, જેનાથી BJP માટે તેમને ખુશ કરવાનું મુશ્કેલ બનાતે. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે, બંને પક્ષો સાથે આવવા માંગતા હતા, પરંતુ BJPની સંડોવણીનો કોઈ ઉલ્લેખ નહોતો. દલીલ એ પણ કરવામાં આવી રહી છે કે, જો બંને જૂથો સાથે આવ્યા હોત તો શું અજિત પવાર સરકાર છોડી દેત? જો આવું થયું હોત, તો DyCM શિંદેનું જૂથ પ્રબળ બન્યું હોત. BJPમાં આ ડર યથાવત છે, જેના કારણે કદાચ પાર્ટી ઉતાવળમાં છે.
BJPના રાજકીય હિતમાં એ જ છે કે, બંને NCP જૂથો અલગ રહે. સુનેત્રા પવારને ઉતાવળમાં DyCM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, કદાચ તેમના આખા પરિવારમાં પણ આ બાબતની ચર્ચા કર્યા વિના. શરદ પવારે તો એમ પણ કહ્યું હતું કે, તેમને આ વાતની જાણ નહોતી. ભલે બંને જૂથો અલગ હોય, પણ આ દુઃખદ સમયમાં આખો પરિવાર એક થશે. જો શરદ પવાર ખરેખર સુનેત્રા પવારની DyCM તરીકે નિયુક્તિથી અજાણ હોતે, તો એ સ્પષ્ટ છે કે બંને જૂથો વચ્ચેની તિરાડ હજુ પણ યથાવત છે.
DyCM એકનાથ શિંદે પણ BJP માટે મોટી ચિંતાનો વિષય છે. અજિત પવારના મૃત્યુ પછી, એવું કહેવામાં આવ્યું હતું કે, તેમણે જ BJP વતી શિંદેનું સંચાલન કર્યું હતું, કારણ કે DyCM એકનાથ શિંદેને એક કઠોર સોદાબાજ માનવામાં આવે છે અને તેઓ કોઈપણ બાબતમાં જલ્દી સહમત થતા નથી. BMC મેયર પદને લગતા તણાવને ટાળવા માટે, BJP અજિત પવારના જૂથનો ટેકો જાળવી રાખવા માંગતો હશે, જેથી DyCM એકનાથ શિંદે વિના પણ સરકાર તેની સંખ્યા જાળવી રાખે.
મીડિયા સૂત્ર બતાવે છે કે, મહારાષ્ટ્રની શાસક સરકારનો ભાગ BJP અને શિવસેના હિન્દુ મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ અજિત પવારની પાર્ટીએ સતત ધર્મનિરપેક્ષ મુદ્દાઓને સમર્થન આપ્યું છે, જેના કારણે મુસ્લિમ મતો જાળવી રાખ્યા છે. તેમણે સતત કહ્યું છે કે તેઓ ફૂલે, શાહુ અને આંબેડકરના વિચારોને મરવા નહીં દે. આ જ કારણ છે કે મુસ્લિમો ઠાકરે, કોંગ્રેસ કે NCPના અન્ય જૂથો પાસે જશે નહીં. આ એક ઇરાદાપૂર્વકની રાજકીય રણનીતિનો ભાગ છે.
અજિત પવારે નાણાં મંત્રાલય સંભાળ્યું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં, તેમના જૂથમાં આ જવાબદારી સંભાળવા માટે સક્ષમ કોઈ મજબૂત નેતા નહોતો. પરિણામે, આ વખતે CM પોતે બજેટ રજૂ કરશે. આ રીતે, BJPએ ચુપકેથી તિજોરીની ચાવી પોતાની પાસે જ લઇ લીધી છે.
BJP જાણે છે કે જો અજિત પવારનો જૂથ સક્રિય રહેશે, તો શરદ પવારની શક્તિ ઓછી થશે. જો બંને જૂથો એક થાય, તો NCPની તાકાત એટલી વધી શકે છે કે જે BJPને પડકાર આપી શકે. મહારાષ્ટ્રમાં નંબર વન બનનારી BJP ચોક્કસપણે આવું કંઇક થાય તેવું ઇચ્છશે નહીં.

