- Politics
- મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્ણય મુજબ, હવે કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5% અનામત હેઠળ પ્રવેશ નહીં મળે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રદેશ અધ્યક્ષ ઇમ્તિયાઝ જલીલે સરકાર પર કટાક્ષ કરતા સરકાર પર પ્રહાર કર્યો છે.
ઇમ્તિયાઝ જલીલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મહારાષ્ટ્ર સરકારે મુસ્લિમોને રમઝાનની ભેટ આપી છે. સરકારે 5% અનામત નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે.’ જલીલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘આ (અનામત) ત્યારે આપવામાં આવી હતી, જ્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘મુસ્લિમોમાં ડ્રોપઆઉટ રેટ સૌથી વધુ છે. ત્યારબાદ પણ, સરકારે મુસ્લિમો માટે 5% અનામત નાબૂદ કરી દીધી. આમ છતા અમે અમારા છોકરા-છોકરીઓને કહીશું કે તેઓ અભ્યાસ ન છોડે. જો પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા!’
https://twitter.com/imtiaz_jaleel/status/2023821571757048176?s=20
જાણો કયા આધાર પર 5% અનામત આપવામાં આવી હતી
મહારાષ્ટ્રમાં, વર્ષ 2014માં એક વટહુકમ દ્વારા સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ પછાત વર્ગ-A (SBC-A) હેઠળ મુસ્લિમ સમુદાયને 5% અનામત આપવામાં આવી હતી. આ વટહુકમના આધારે જાતિ પ્રમાણપત્રો અને જાતિ માન્યતા પ્રમાણપત્રો પણ જાહેર કરવામાં આવી રહ્યા હતા. આ વટહુકમને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, અને 14 નવેમ્બર, 2014ના રોજ, હાઈકોર્ટે વટહુકમ પર સ્ટે મૂક્યો હતો. 23 ડિસેમ્બર, 2014 સુધીમાં આ વટહુકમ કાયદામાં પરિવર્તિત ન થયો હોવાથી તે આપમેળે રદ થઈ ગયો. હવે, સરકારે સ્પષ્ટતા કરી છે કે તે વટહુકમના આધારે જાહેર કરાયેલા તમામ સરકારી નિર્ણયો અને પરિપત્રો પણ રદબાતલ ગણવામાં આવશે. મહારાષ્ટ્રમાં પહેલાથી જ મુસ્લિમો માટે 5% અનામત રદ છે.
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય મુજબ, હવે કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5% અનામત હેઠળ પ્રવેશ નહીં મળે. નવા જાતિ પ્રમાણપત્રો અથવા માન્યતા પ્રમાણપત્રો જાહેર કરવામાં નહીં આવે, અને અગાઉ જાહેર કરાયેલા તમામ સંબંધિત આદેશો હવે અસરકારક રહેશે નહીં. એવામાં મુસ્લિમ યુવાનો સામે એક મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે AIMIM અને અન્ય વિપક્ષી પક્ષો નજીકના ભવિષ્યમાં આ સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી શકે છે.
આ અગાઉ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ તરત જ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં 75 લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવેલ દરજ્જા પર પણ રોક લગાવી દીધી હતી. અજિત પવારના અવસાનના દિવસે 7 સંસ્થાઓને મંજૂરી મળી હતી, અને થોડા દિવસોમાં આ સંખ્યા 75 થી વધુ થઈ ગઈ હતી. અજિત પવાર અગાઉ મહારાષ્ટ્રમાં લઘુમતી વિકાસ વિભાગ સંભાળતા હતા અને તેમના અવસાન બાદ હવે તેમના પત્ની સુનેત્રા પવાર ચાર્જ સંભાળી રહ્યા છે.

