- Politics
- ‘મેં ક્યારેય કહ્યું નથી કે હું બીમાર છું એટલે રાજીનામું આપી રહ્યો છું’, ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પ...
‘મેં ક્યારેય કહ્યું નથી કે હું બીમાર છું એટલે રાજીનામું આપી રહ્યો છું’, ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પહેલી વખત બોલ્યા જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ જગદીપ ધનખડે મોટું નિવેદન આપ્યું છે. જગદીપ ધનખડે ઓગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 2027 સુધી હતો, પરંતુ તેમણે તે પહેલા જ અચાનક રાજીનામું આપી દીધું. તેમના રાજીનામાથી વિપક્ષે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.
શું બોલ્યા જગદીપ ધનખડ?
જગદીપ ધનખડે કહ્યું કે, ‘મેં ક્યારેય મારા સ્વાસ્થ્યની અવગણના કરી નથી. મેં જ્યારે કહ્યું હતું કે હું રાજીનામું આપી રહ્યો છું, ત્યારે મેં ક્યારેય કહ્યું નહીં કે હું બીમાર છું. મેં કહ્યું કે હું સ્વાસ્થ્યને એ મહત્ત્વ આપી રહ્યો છું, જે આપવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે.’
જુલાઈ 2025માં આપ્યું હતું રાજીનામું
21 જુલાઈ, 2025ના રોજ, જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે ચોમાસુ સત્ર શરૂ થયાના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. ધનખડે અચાનક રાજીનામું આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. વિરોધ પક્ષોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા અને મામલો કંઈક અલગ હોવાનો દાવો કર્યો છે.

2022માં પદભાર સંભાળ્યો હતો
ધનખડે ઓગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો, પરંતુ આ અગાઉ જ તેમણે અચાનક રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા કારણ કે, 21 જુલાઈ, 2025ના રોજ રાજીનામાના બરાબર માત્ર 12 દિવસ પહેલા જ, તેમણે દિલ્હીની JNU યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘હું યોગ્ય સમયે નિવૃત્ત થઈ જઈશ, 2027માં, જો ભગવાનની ઇચ્છા હશે તો..’
જગદીપ ધનખડ રાજસ્થાનના ઝૂંઝુનુ જિલ્લાના કિથાના ગામના વતની છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ચિત્તોડગઢની આર્મી સ્કૂલમાંથી મેળવ્યું. ત્યારબાદ તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલ હતા. તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પી.વી. નરસિંહ રાવ સરકારમાં સંસદ સભ્ય તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા, ચંદ્રશેખર સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા. 2019માં તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2022માં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

