- Gujarat
- ગુજરાતમાં ઈંધણ સંકટની અફવા: અમદાવાદ-સુરતમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી, સરકાર જણાવી હકીકત
ગુજરાતમાં ઈંધણ સંકટની અફવા: અમદાવાદ-સુરતમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી, સરકાર જણાવી હકીકત
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધી રહેલા વૈશ્વિક તણાવની અસર હવે ગુજરાતના સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં વિક્ષેપ પડશે તેવી આશંકા અને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓને પગલે અમદાવાદ, સુરત અને ગાંધીનગર જેવા શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ: 'અફવાઓથી દૂર રહો'
રાજ્યમાં સર્જાયેલી આ સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયા કે વોટ્સએપના માધ્યમથી ફેલાતી અફવાઓમાં ધ્યાન આપવું નહીં. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત જથ્થાનું નિરીક્ષણ કરી રહી છે, તેથી ગભરાટમાં આવીને ભાગદોડ કરવાની કોઈ જરૂર નથી.

અમદાવાદ અને ગાંધીનગરની સ્થિતિ
- અમદાવાદ: શહેરમાં સવારથી જ અનેક પેટ્રોલ પંપો પર વાહનોની 1 થી 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. કોમર્સ છ રસ્તા જેવા વિસ્તારોમાં વાહનચાલકોમાં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ સ્પષ્ટતા કરી છે કે સપ્લાય ચેઈન ચાલુ છે અને જથ્થો મળતો રહેશે.
- ગાંધીનગર: પાટનગરમાં સ્થિતિ વધુ ગંભીર જણાઈ હતી, જ્યાં કેટલાક પંપો પર ડીઝલ-પેટ્રોલ ખૂટી જવાની ભીતિએ લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. પંપ માલિકોના જણાવ્યા અનુસાર, રજાઓને કારણે ટેન્કરો આવવામાં વિલંબ થયો હતો, જેના કારણે કામચલાઉ અછત જેવું વાતાવરણ સર્જાયું છે.
https://twitter.com/kuldipRmodh/status/2036046528675184992
રાજકોટમાં સ્થિતિ સામાન્ય: કલેક્ટરની ખાતરી
અમદાવાદની સરખામણીએ રાજકોટમાં સ્થિતિ નિયંત્રણમાં છે. રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લાના કુલ 361 પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો સ્ટોક છે. તેલ કંપનીઓ નિયમિત રીતે પુરવઠો પૂરો પાડી રહી છે, તેથી લોકોએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં.
https://twitter.com/kathiyawadiii/status/2036048804701687986
શા માટે સર્જાઈ આ સમસ્યા?
પેટ્રોલ પંપના મેનેજર સંજય દંતાણીએ જણાવ્યું હતું કે, શુક્રવારથી હજુ સુધી ગાડી આવી નથી. રજાઓ આવી ગઈ હોવાથી જે સપ્લાય આવવી જોઈએ તે આવી નથી. આજે ગાડી ભરાવવા માટે ગઈ છે જો ગાડી આવી જાય ફરી પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવશે. એડવાન્સ પૈસા આપ્યા બાદ જ સપ્લાય આપવામાં આવે છે. જેથી ત્રણ દિવસ સુધી ગાડી આવી ન હોવાથી આજે પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યો છે.

Khabarchhe.comની અપીલ: નાગરિકોને વિનંતી છે કે સોશિયલ મીડિયા પર આવતા મેસેજની ખરાઈ કર્યા વગર તેને સાચા ન માને. સરકાર અને વહીવટી તંત્રની વાત પર વિશ્વાસ કરે.

