- National
- વિરાટ કોહલીની નિવૃત્તિનો યોગ્ય સમય કયો? ડીવિલિયર્સે કર્યો ખુલાસો
વિરાટ કોહલીની નિવૃત્તિનો યોગ્ય સમય કયો? ડીવિલિયર્સે કર્યો ખુલાસો

સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સનું માનવું છે કે જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી જાય છે તો વિરાટ કોહલી માટે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો આદર્શ સમય રહેશે. વિરાટ કોહલીનું વનડે કરિયર જોરદાર રહ્યું છે. કોહલીની ગણતરી દુનિયાના મહાન બેટ્સમેનોમાં થાય છે. રાઈટ હેન્ડ બેટ્સમેને 281 મેચોમાં 57.38ની સરેરાશથી 13083 રન બનાવ્યા છે. જેમાં 47 સદી સામેલ છે. કોહલી તેંદુલકરની વનડે સદીના રેકોર્ડથી માત્ર બે ડગલા દૂર છે.
આ વર્ષ કોહલી માટે સારુ રહ્યું
34 વર્ષીય વિરાટ કોહલી માટે આ વર્ષ જોરદાર રહ્યું છે. ભારતીય બેટ્સમેને 16 મેચોમાં 55.63ની સરેરાશથી 612 રન બનાવ્યા છે. કોહલી પાસેથી ભારતીય ફેન્સને આવનારા વર્લ્ડ કપમાં સારા પ્રદર્શનની આશા છે.
ડીવિલિયર્સે શું કહ્યું
વિરાટ કોહલીના સારા મિત્ર એબી ડીવિલિયર્સે કહ્યું કે, સાઉથ આફ્રિકામાં 2027નો વર્લ્ડ કપ થવાનો છે અને તેમાં વિરાટ કોહલીનું રમવું મુશ્કેલ છે. પૂર્વ કેપ્ટનનું માનવું છે કે, જો ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 જીતવામાં સફળ રહે છે તો વિરાટ કોહલી માટે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો સારો સમય રહેશે.
ડીવિલિયર્સે કહ્યું કે, હું જાણું છું કે વિરાટ કોહલીને સાઉથ આફ્રિકાની યાત્રા કરવી ઘણી પસંદ છે. પણ 2027 વર્લ્ડ કપમાં તેનું ટીમમાં રહેવું મુશ્કેલ છે. પહેલા આ વર્લ્ડ કપ પર ધ્યાન આપી લઇએ. મારા ખ્યાલથી વિરાટ કોહલી તમને આ વાત જરૂર રહેશે. મારું માનવું છે કે, જો ભારત આ વર્લ્ડ કપ જીતે છે તો એ કહેવાનો સારો સમય રહેશે કે આભાર. હું હવે થોડા વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમીશ અને અમુક IPL પણ. પોતાના કરિયરના છેલ્લા સમયનો ભરપૂર આનંદ લેવા માગું છું. હું પરિવાર સાથે વધારે સમય પસાર કરીશ અને સૌ કોઈને ગુડબાઈ કહેવાનું પસંદ કરીશ.
જણાવીએ કે, ડીવિલિયર્સે પોતાની યૂટ્યૂબ ચેનલ પર આ વાત કહી છે. તેણે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઇ તો વિરાટ માટે વનડે અને T20ને અલવિદા કહેવાનો આનાથી વધુ સારો સમય બીજો નથી. જોકે, કોહલી અમુક વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે જેમાં IPL પણ સામેલ રહેશે.
સાથે જ ડીવિલિયર્સે કહ્યું કે, કોહલી 2023 વનડે વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઇ શકે છે. પણ જો ક્રિકેટના ભારણને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે તો કોહલી 2027 વર્લ્ડ કપ સુધી સરળતાથી રમી શકે છે. કોહલીની ફિટનેસ કમાલની છે. હાલમાં તે 34 વર્ષનો છે. તે ઈચ્છે તો સરળતાથી 40 વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે. કોહલીનો ક્રિકેટ કેલેન્ડર જો મેનેજમેન્ટ યોગ્ય રીતે નક્કી કરે તો તે સરળતાથી 3 થી 4 વર્ષ વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે.