- National
- ‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો, આચાર્યો અને પીઠાધીશ્વરો તેમજ વિવિધ પરંપરાના સંતોએ ભાગ લીધો હતો. આ ધર્મસભામાં ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માગ કરવામાં આવી હતી. સાથે આ દરજ્જો નહીં મળે તો દિલ્હી કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ ધર્મસભામાં 3 પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરાયા હતા. તેમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો, સમગ્ર દેશમાં ગૌવધ પર એકસમાન અને કડક કાયદો બનાવવો અને ગૌ માતાના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગૌ માતા ઉચ્ચ અધિકાર સમિતિ દ્વારા આયોજિત થયેલી ધર્મસભામાં જે મુખ્ય માંગ કરવામાં આવી છે, આ માંગોને સરકાર નહીં માને તો માર્ચ મહિનામાં દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો 3 મહિનામાં માંગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપે, તો દેશભરના સાધુ-સંતો, મહાત્માઓ, અનુયાયીઓ સાથે દિલ્હી કૂચ કરશે. જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ દિલ્હીથી પરત નહીં ફરે.
જયપુરની એક ફાઇવ સ્ટાર હોટલમાં આયોજિત આ ધર્મસભાનું આયોજન મહામંડલેશ્વર કમ્પ્યુટર બાબાએ કર્યું હતું. આ ધર્મસભાની અધ્યક્ષતા આવાહન અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રકાશાનંદ ગિરીજી મહારાજે કરી હતી. આ સંમેલનમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, તેમાં માત્ર ધર્માચાર્યો જ સામેલ હતા.
કહેવામાં આવ્યું કે, ગાયના રક્ષણ માટે હવે એક આંદોલન શરૂ કરવું જ પડશે. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળ્યા બાદ જ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો થશે. ધાર્મિક સભામાં કહેવામાં આવ્યું હતું કે ગાય માટે દિલ્હી કૂચ ધર્મના રક્ષણ માટે હશે. કોઈ પણ સરકાર કે પક્ષ ગાય પ્રત્યે ગંભીર નથી. સનાતનીઓની પાર્ટી અને સરકાર હોવાનો દાવો કરનારા પણ ગૌ માતા માટે કંઈ કરી રહ્યા નથી.

