- National
- 'હજુ તો હું 65 વર્ષની પણ નથી થઇ...', PM મોદીનું ઉદાહરણ આપતા ઉમા ભારતીએ કહ્યું, હું ચૂંટણી લડીશ!
'હજુ તો હું 65 વર્ષની પણ નથી થઇ...', PM મોદીનું ઉદાહરણ આપતા ઉમા ભારતીએ કહ્યું, હું ચૂંટણી લડીશ!
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ શનિવારે કહ્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષ નિવૃત્તિની ઉંમર નક્કી કરી શકે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની યોગદાન આપવાની ક્ષમતા કઈ ઉંમરે સમાપ્ત થશે તે નક્કી કરી શકતું નથી.
એક સમાચાર એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ CM ઉમા ભારતીએ કહ્યું હતું કે, 'કોઈપણ સંગઠન, રાજકીય પક્ષ, સંસ્થા નિવૃત્તિની ઉંમર નક્કી કરી શકે છે, પરંતુ યોગદાન માટેની નહીં. યોગદાન માટે કોઈ ઉંમર હોતી નથી. રાજકારણ એક પ્લેટફોર્મ છે અને યોગદાન મારી ક્ષમતા છે.' BJPના વરિષ્ઠ નેતાએ વધુમાં કહ્યું હતું કે, 'હા, જ્યારે મને લાગશે કે હું તૈયાર છું ત્યારે હું ચૂંટણી લડીશ. મારી પાસે લોકોની શક્તિ છે.'
https://twitter.com/ANI/status/1961632909938348085
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ દલીલ કરી હતી કે, 'PM નરેન્દ્ર મોદીએ 65 વર્ષની ઉંમરે લોકસભા ચૂંટણી લડી હતી. હું આવતા વર્ષે 65 વર્ષની થઈશ. જો હું હમણાં પ્રયાસ કરીશ, તો મને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.' તેમણે આગળ કહ્યું, 'મારી એક નબળાઈ એ છે કે, હું મારી પ્રતિબદ્ધતાઓ પ્રત્યે ખૂબ જ પ્રામાણિક છું. જો મારે સંસદીય બેઠક માટે ચૂંટણી લડવી પડે, તો મારે મારો સંપૂર્ણ સમય અને સંપૂર્ણ ઇમાનદારી ત્યાંના લોકો માટે સમર્પિત કરવી પડશે અને જો કોઈને કોઈ મુશ્કેલી થતી હોય, તો મને તેનો અફસોસ થશે. ચૂંટણી લડવાનો મારો નિર્ણય મારા ઉદ્દેશ્યને અવરોધે છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.'
મત ચોરીના વિપક્ષના આરોપો પર, BJP નેતા ઉમા ભારતીએ કહ્યું, 'રાહુલ ગાંધી ભૂલી જાય છે કે ચૂંટણી ચૂંટણી પંચમાં જીતાતી નથી; તે લોકોના દિલ જીતીને જીતાય છે. હું રાહુલ ગાંધીને કહીશ કે પહેલા લોકોના દિલ જીતવાનું શીખો. તમે સશસ્ત્ર દળોનું અપમાન કરો છો, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની વાત કરો છો, આમંત્રણ છતાં, તમે રામ મંદિરના પ્રતિષ્ઠા સમારોહમાં પણ હાજરી આપી ન હતી. તમે રાષ્ટ્રીય ગૌરવની બધી બાબતોની અવગણના કરો છો અને તમારી પાર્ટી ચૂંટણી જીતી શકતી નથી. પાર્ટીનો નાશ થઈ રહ્યો છે. બોલતા પહેલા વિચારો અથવા યાદશક્તિ સુધારવા માટે હોમિયોપેથિક દવા લો.' તેમણે વધુમાં કહ્યું કે, 'ઇન્દિરા ગાંધી કટોકટી લગાવ્યા પછી પણ ચૂંટણી હારી ગયા, કારણ કે જ્યારે મતદારો નક્કી કરે છે કે કોને ચૂંટવો, ત્યારે કોઈ તેમનો જનાદેશ ચોરી શકતું નથી. લોકશાહીમાં મતદારો પાસે સૌથી વધુ શક્તિ હોય છે.'

