- National
- મૃત ભિખારીની બેગમાંથી નીકળ્યો 'ખજાનો', 4 લાખ રોકડા અને સાઉદી રિયાલ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત
મૃત ભિખારીની બેગમાંથી નીકળ્યો 'ખજાનો', 4 લાખ રોકડા અને સાઉદી રિયાલ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત
ભીખ માંગીને ગુજરાન ચલાવતા એક વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ બાદ તેની સંપત્તિને લઈને એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. મૃતક ભિખારીની ફાટેલી બેગમાંથી પોલીસને 4 લાખ રૂપિયાથી વધુ રોકડ, જૂની બંધ થઈ ચૂકેલી નોટ અને સાઉદી રિયાલ જેવી વિદેશી મુદ્રા મળી આવી છે. આ ઘટના કેરળના અલાપ્પુઝાના ચારુમ્મુડુ વિસ્તારમાં બની હતી. ઘટનાક્રમ અનુસાર, અનિલ કિશોર નામનો એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તે કોઈને જાણ કર્યા વિના રાત્રે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો.
બીજા દિવસે સવારે, અનિલ એક દુકાનના વરંડામાં મૃત હાલતમાં મળી આવ્યો. તેના મૃત્યુની સૂચના મળતા જ નૂરનાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને તેની એકમાત્ર સંપત્તિ, તેની બેગ, પોલીસ સ્ટેશન લઈ ગઈ. પંચાયત સભ્યની હાજરીમાં પોલીસે બેગની તપાસ કરી ત્યારે ચલણી નોટોના બંડલ નીકળવા લાગી. બેગમાં 4 લાખ રૂપિયાથી વધુ ચાલુ નોટ હતી. સાથે જ મોટી માત્રામાં જૂની કરન્સી અને વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. આ બધા પૈસા બચાવીને પ્લાસ્ટિકના બોક્સમાં રાખવામાં આવ્યા હતા.
આ સમાચાર વિસ્તારના લોકો માટે કોઈ ઝટકાથી ઓછા નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે તે મોટાભાગે ખોરાક માટે ભીખ માંગતો હતો, અને કોઈને ખબર નહોતી કે તેની પાસે આટલી મોટી રકમ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકે હોસ્પિટલમાં પોતાનું સરનામું થાઇપરમ્બિલ, કાયમકુલમ લખાવ્યું હતું. પોલીસ હવે તેના પરિવારજનો અને સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે જો કોઈ કાયદેસર દાવેદાર કે સંબંધી આગળ નહીં આવે, તો આખી સંપત્તિ અને રોકડ કોર્ટને સોંપી દેવામાં આવશે. હાલમાં, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને એક ભિખારી પાસે આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ ક્યાંથી આવ્યું તેની તપાસ ચાલી રહી છે.

