- National
- વોટ ચોરી મામલે રાહુલે ગાંધીની બીજી પ્રેસ કોન્ફરન્સ, આલંદનો કિસ્સો જણાવ્યો, જ્યાં 6018...
વોટ ચોરી મામલે રાહુલે ગાંધીની બીજી પ્રેસ કોન્ફરન્સ, આલંદનો કિસ્સો જણાવ્યો, જ્યાં 6018...
આજે રાહુલ ગાંધીએ નવી દિલ્હીના ઇન્દિરા ભવન ઓડિટોરિયમમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. કોન્ફરન્સ દરમિયાન, તેમણે ‘મત ચોરી’ના નવા પુરાવા રજૂ કર્યા અને મતદાર યાદીઓમાંથી નામ કાઢી નાખવાના નવા આરોપો લગાવ્યા. તેમણે પહેલ જ કહી દીધું કે આ ‘હાઇડ્રોજન બોમ્બ’ નથી, પરંતુ હાઇડ્રોજન બોમ્બ હજુ આવવાનો બાકી છે. થોડા દિવસો અગાઉ તેમની ‘મતદાર અધિકાર યાત્રા’ સમાપ્ત કરતા રાહુલે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ટૂંક સમયમાં ‘મત ચોરી’ના મુદ્દા પર ‘હાઇડ્રોજન બોમ્બ જેવો’ ખુલાસો કરશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ખુલાસા બાદ વડાપ્રધાન મોદી દેશનો સામનો નહીં કરી શકે. મતદાર અધિકાર યાત્રા દરમિયાન, રાહુલે આરોપ લગાવ્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં વ્યાપક ગોટાળા થયા હતા. ખાસ કરીને કર્ણાટકના મહાદેવપુરા મતવિસ્તારમાં, જ્યાં એક લાખથી વધુ મતોની કથિત રીતે ‘ચોરી’ કરવામાં આવી હતી. આને લોકશાહી માટે ‘પરમાણુ બોમ્બ’ જેવું જોખમ ગણાવતા, તેમણે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદારોના અધિકારો પર ભાર મૂક્યો.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કહ્યું કે, ‘સૌ પ્રથમ તો આ H-બોમ્બ નથી; અસલી H બોમ્બ તો હજી આવવાનો છે. દેશના યુવાનોને ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ રહ્યા છે તે બતાવવા માટે આ એક બીજું પગલું છે. હું નક્કર પુરાવા સાથે બોલી રહ્યો છું. દેશના દલિતો અને OBC તેમના નિશાના પર છે. હું મારા દેશ અને બંધારણને પ્રેમ કરું છું, અને હું તેનું રક્ષણ કરીશ. રાહુલે દાવો કર્યો કે, કર્ણાટકના આલંદમાં 6,018 મતો કાઢી નાખવામાં આવ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અલાંદ કર્ણાટકનો એક વિધાનસભા મતવિસ્તાર છે. ત્યાં કોઈએ 6,018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અમને 2023ની ચૂંટણીમાં કાઢી નાખવામાં આવેલા કુલ મતોની સંખ્યા ખબર નથી, પરંતુ આ સંખ્યા 6,018 કરતા ઘણી વધારે હતી. બસ એટલી વાત થઈ કે આ 6,018 મતો કાઢી નાખતી વખતે આ મામલો પકડાઈ ગયો. થયું જાણે એમ કે એક બૂથ-લેવલ ઓફિસરે જોયું કે તેમના કાકાનો વોટ કાઢી નાખવામાં આવ્યો છે. તેમણે તપાસ કરી કે તેના કાકાનો વોટ કોણે કાઢી નાખ્યો અને ખબર પડી કે પાડોશીએ કાઢી નાખ્યું છે. જ્યારે તેમણે પોતાના પાડોશીને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘મેં કોઈ મત કાઢી નાખ્યા નથી.’ આનો અર્થ એ થયો કે ન તો મત કાઢી નાખનાર વ્યક્તિ અને ન તો જેનો મત કાઢી નાખવામાં આવ્યો હતો તે વ્યક્તિ તેની બાબતે કંઈ જાણતા હતા. વાસ્તવમાં કોઈ અન્ય શક્તિએ સિસ્ટમને હાઇજેક કરી અને આ મતો ડિલીટ કરી દીધા હતા.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ભારતીય લોકશાહીને બરબાદ કરનારાઓનું રક્ષણ કરી રહ્યા છે. હું આ મંચ પરથી એવું કંઈ નહીં કહું જે 100% સાચું ન હોય. હું એક એવો વ્યક્તિ છું જે પોતાના દેશને પ્રેમ કરે છે, પોતાના બંધારણને પ્રેમ કરે છે, લોકશાહી પ્રક્રિયાને પ્રેમ કરે છે, અને હું તે જ પ્રક્રિયાનું રક્ષણ કરી રહ્યો છું. હું અહીં એવી કોઈ વાત નહીં કહું જે 100% પુરાવા પર આધારિત ન હોય અને જેની તમે ચકાસણી ન કરી શકો.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આલંદમાં મતદારોના નામે 6,018 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જે લોકોના નામે આ અરજીઓ દાખલ કરવામાં આવી હતી તેમણે હકીકતમાં ક્યારેય અરજી દાખલ કરી નહોતી. આ અરજીઓ સોફ્ટવેર દ્વારા આપમેળે કરવામાં આવી હતી. આલંદમાં મતદારોને હટાવવા માટે કર્ણાટક બહારના વિવિધ રાજ્યોના મોબાઇલ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને આ કોંગ્રેસના મતદારોને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યું હતું. આ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, અને હું આમ કેમ કહી રહ્યો છું અને અમે કેમ કહી રહ્યા છીએ કે, આ કેન્દ્રિય રીતે કરવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિઓ દ્વારા નહીં, પરંતુ સોફ્ટવેર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીરિયલ નંબરો જુઓ... એક સોફ્ટવેર બૂથ પર સૂચિબદ્ધ પ્રથમ નામ ઉપાડીને તેનો ઉપયોગ મતો કાઢી નાખવા માટે કરી રહ્યું છે. કોઈએ એક ઓટોમેટેડ પ્રોગ્રામ ચલાવ્યો જેથી સુનિશ્ચિત કરી શકાય કે બૂથ પર પ્રથમ મતદાતા જ અરજદાર દેખાય. તે જ વ્યક્તિએ રાજ્યની બહારથી મોબાઇલ ફોન મેળવ્યા અને અરજીઓ દાખલ કરવા માટે તેનો ઉપયોગ કર્યો. અમને પૂરો ભરોસો છે કે આ કેન્દ્રીય રીતે અને મોટા પાયે કરવામાં આવ્યું હતું. આ કામ કોઈ એક કાર્યકર્તા સ્તરે નહીં, પરંતુ સમગ્ર સિસ્ટમના સ્તર પર કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જ્ઞાનેશ કુમાર જી વોટ ચોરોનું રક્ષણ કરી રહ્યા છે. આ ચોખ્ખા અને સ્પષ્ટ પુરાવો છે. કોઈ કન્ફ્યૂઝન નથી. હું જ્ઞાનેશ કુમાર પર આટલા સીધા આરોપો કેમ લગાવી રહ્યો છું? કર્ણાટકમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. કર્ણાટક CIDએ 18 મહિનાથી ચૂંટણી પંચને 18 પત્રો મોકલીને કેટલીક સરળ તથ્યો માગ્યા છે. પહેલું અમને તે ડેસ્ટિનેશન IP આપો, જ્યાંથી આ ફોર્મ ભરવામાં આવ્યા હતા. બીજું, અમને તે ડિવાઇસ ડેસ્ટિનેશન પોર્ટસ આપો જ્યાંથી આ અરજીઓ સબમિટ કરવામાં આવી હતી અને ત્રીજું, સૌથી અગત્યનું OTP ટ્રેલ્સ પ્રદાન કરો કારણ કે અરજીઓ સબમિટ કરવા માટે OTP જરૂરી છે. કર્ણાટક CIDએ 18 મહિનામાં ચૂંટણી પંચને આ માટે 18 વખત માગ્યું, પરંતુ તેમને તે આપવામાં આવ્યું નથી. તેમને કેમ નથી આપવામાં આવી રહ્યું? કારણ કે તે આપણને જણાવશે કે આ કામગીરી ક્યાં ચલાવવામાં આવી રહી છે, અને અમને વિશ્વાસ છે કે તે આપણને તે જગ્યા સુધી લઈ જશે.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો, હું અહીં જે કરી રહ્યો છું તે મારું કામ નથી. મારું કામ લોકશાહી વ્યવસ્થામાં ભાગ લેવાનું છે. મારું કામ લોકશાહી વ્યવસ્થાનું રક્ષણ કરવાનું નથી. તે ભારતની સંસ્થાઓનું કામ છે; પરંતુ તે કરી રહી નથી, તેથી મારે તે કરવું પડશે. અમારી પ્રેઝન્ટેશનના અંત સુધીમાં જે 2-3 મહિના લેશે, તમને તેમાં કોઈ શંકા નહીં રહે કે ભારતમાં, રાજ્ય-દર-રાજ્ય, લોકસભા ચૂંટણી-દર-લોકસભા ચૂંટણીમાં મત ચોરી થઈ છે.’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમને હવે ચૂંટણી પંચની અંદરથી મદદ મળવાનું શરૂ થયું છે. હું સ્પષ્ટ કરી દઉં, અમને હવે ચૂંટણી પંચની અંદરથી માહિતી મળી રહી છે, અને આ પ્રક્રિયા અટકવાની નથી. ચોંકાવનારી વાત એ છે કે આ છેલ્લા 10-15 વર્ષથી ચાલી રહ્યું છે. આ એક સિસ્ટમ છે, આ એક સ્ટ્રક્ચર છે. લોકશાહીનું હાઈજેક કરવામાં આવ્યું છે. માત્ર ભારતના લોકો જ લોકશાહી બચાવી શકે છે, બીજું કોઈ નહીં. રાહુલ ગાંધી અહીં આવીને કંઈક કહી શકે છે અને કહી શકે છે કે તે સાચું છે, પરંતુ લોકશાહી બચાવવી એ ભારતના લોકોના હાથમાં છે.’

