- National
- હાઈ કોર્ટની એક ભૂલને કારણે એક નિર્દોષે 22 વર્ષ જેલ ભોગવી, સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો
હાઈ કોર્ટની એક ભૂલને કારણે એક નિર્દોષે 22 વર્ષ જેલ ભોગવી, સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ખૂબ જ હચમચાવી નાખનાક કેસમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કોર્ટે એવી વ્યવસ્થા પ્રત્યે ઊંડી નારાજગી વ્યક્ત કરી છે જેના કારણે એક નિર્દોષ માણસને કોઈ નક્કર પુરાવા વિના તેના જીવનના 22 વર્ષ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા. જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ઓડિશા હાઈકોર્ટના નિર્ણયને સંપૂર્ણપણે રદ કર્યો, જેમાં 3,157 દિવસના વિલંબનો ઉલ્લેખ કરતા જેલ અપીલ ફગાવી દેવામાં આવી હતી.
'લાઈવ લો'ના અહેવાલ મુજબ, આ કેસ એક એવી તપાસ સાથે જોડાયેલો હતો જ્યાં પોલીસે ફક્ત શંકાના આધારે એક શખ્સની અટકાયત કરી હતી. એવો આરોપ હતો કે પૂછપરછ દરમિયાન, પોલીસે ગેરકાયદેસર યુક્તિઓ અપનાવતા 'થર્ડ-ડિગ્રી' ટોર્ચર કરીને કબૂલાત કરાવી હતી. ત્રણ મહિલાઓની હત્યા સાથે સંકળાયેલા આ ગંભીર કેસમાં, ટ્રાયલ કોર્ટે પુરાવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યા વિના પણ ચૂકાદો આપી દીધો હતો. જ્યારે આ મામલો ઓડિશા હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે તેણે પણ ટેકનિકલ ખામીઓ અને વિલંબનો ઉલ્લેખ કરીને કેસની યોગ્યતા પર તપાસ કરવાનું જરૂરી ન સમજ્યું.
સૌથી દર્દનાક પાસું એ હતું કે જ્યારે પીડિત શખ્સે જેલમાંથી પોતાની સજા સામે અપીલ દાખલ કરી, ત્યારે હાઈકોર્ટે 3,157 દિવસ એટલે કે સાડા આઠ વર્ષના વિલંબને ટેકનિકલ આધાર બનાવીને અરજી ફગાવી દીધી. તે સમય સુધીમાં, તે વ્યક્તિ તેની સજાના 12 વર્ષ ભોગવી ચૂક્યો હતો. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ અને નિર્ણય પ્રક્રિયામાં લાગેલા સમયને કારણે તેની કુલ જેલની સજા 22 વર્ષ સુધી પહોંચી ગઈ. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' અનુસાર, કોર્ટે કડક ટીપ્પણી કરતા કહ્યું કે, ગરીબ કેદીની ન્યાય લડાઈ વેદી પર જ કચડી દેવામાં આવે છે, જ્યારે કોર્ટો ટેકનિકલ આધાર પર કેસ સાંભળવાનો ઇનકાર કરે છે.
તેના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે બંધારણીય કોર્ટો ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની ન્યાય સુધી પહોંચના કેસમાં ખૂબ જ સંવેદનશીલ હોવું જોઈએ. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે કોઈ કેદી પોતાની આઝાદી બચાવવા માટે કોર્ટનો સંપર્ક કરે છે, ત્યારે કોર્ટોએ ટેક્નિકલ બાબતોમાં ફસાઈ જવાને બદલે, કોઈપણ વિલંબને માફ કરીને અપીલની સુનાવણી કરવી જોઈએ. આ કેસમાં, એકમાત્ર સાક્ષીની જુબાની અત્યંત નબળી અને અવિશ્વસનીય હોવાનું જણાયું હતું; જેના અધારે આજીવન કેદની સજા સંપૂર્ણપણે ગેરવાજબી સાબિત થઈ.
કેસના તમામ પાસાઓની સમીક્ષા કર્યા પછી, સુપ્રીમ કોર્ટે આરોપીને તમામ આરોપોમાંથી સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યો અને એક શખ્સના જીવનના બે દાયકાના નુકસાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. 'લાઈવ લો' મુજબ, કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, ત્રણ જીવ ગુમાવ્યા જતા રહ્યા, એક વ્યક્તિને ફક્ત શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવી, ટ્રાયલ કોર્ટે પુરાવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન ન કર્યું, અને હાઈકોર્ટ મૂક પ્રેક્ષક બની રહી; જેના પરિણામે કોઈ વિશ્વસનીય પુરાવાના અભાવે વ્યક્તિના જીવનના 22 વર્ષ ભૂંસી નાખવામાં આવ્યા.
સાથે જ, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, ઓડિશામાં કોરાપુટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને નિર્દોષ જાહેર કરાયેલા વ્યક્તિના પુનર્વસન અને ફરી વસાવવાની પ્રક્રિયામાં સંપૂર્ણ મદદ કરે.

