- National
- ‘બદનક્ષીને ગુનાની શ્રણીમાંથી હટાવવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી; શું બદલાશે?
‘બદનક્ષીને ગુનાની શ્રણીમાંથી હટાવવાનો સમય આવી ગયો’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી; શું બદલાશે?
સોમવારે સુપ્રીમ કોર્ટે બદનક્ષીના કેસ પર મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને ન્યાયાધીશ એસ.સી. શર્માની બેન્ચે કહ્યું હતું હતું કે, સમય આવી ગયો છે કે બદનક્ષીને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવે. આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે કોર્ટ એક પત્રકાર અને મીડિયા સંસ્થા સામે ફોજદારી બદનક્ષીના કેસની સુનાવણી કરી રહી હતી.
આ કેસ 2016માં પ્રકાશિત થયેલા એક લેખ સાથે જોડાયેલો છે. ફાઉન્ડેશન ફોર ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝ્મ અને તેના પત્રકાર અજય આશીર્વાદ મહાપ્રસ્થાને JNU પર ‘Dossier Call JNU ‘Den of Organised Sex Racket’; Students, Professors Allege Hate Campaign’. શીર્ષક સાથે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ અહેવાલના આધારે ફોજદારી બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને મેજિસ્ટ્રેટ કોર્ટે પત્રકારોને સમન્સ જાહેર કર્યા હતા. આ સમન્સને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી.
બદનક્ષી કાયદાનો ઇતિહાસ
ભારતમાં બદનક્ષીને લઈને ભારતીય ન્યાયિક સંહિતા (BNS) જોગવાઈ છે. આ કાયદા હેઠળ કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતી ખોટી માહિતી ફેલાવવી એ ગુનો છે, જેની સજા 2 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે. આ કાયદો બ્રિટિશ યુગથી અમલમાં છે. ઔપનિવેશિક કાળ દરમિયાન તેનો ઉપયોગ ઘણીવાર રાજનીતિક કાર્યકરો, નેતાઓ અને અખબારોના અવાજને દબાવવા માટે થતો હતો. સ્વતંત્રતા બાદ પણ આ કાયદો જેમનો તેમ રહ્યો.
ફોજદારી બદનક્ષી વર્સિસ સિવિલ બદનક્ષી
બદનક્ષીના બે પ્રકાર છે:
ફોજદારી બદનક્ષી: જ્યારે તેને ગુનો માનીને પોલીસ કેસ દાખલ કરવામાં આવે છે, જેના પરિણામે જેલની સજા થઈ શકે છે.
સિવિલ બદનક્ષી: જ્યારે કોઈ વ્યક્તિ બદનક્ષી માટે કોર્ટમાં વળતર માગે છે.
ઘણા દેશોએ પહેલાથી જ ફોજદારી બદનક્ષીના કાયદાને નાબૂદ કરી દીધો છે, તેને માત્ર સિવિલ વિવાદ તરીકે ગણવામાં આવે છે. જો કે, ભારતમાં તે ગુનાની શ્રેણીમાં છે.
શું અસર થાય છે?
નિષ્ણાતોનું કહેવું છે કે ફોજદારી બદનક્ષી કાયદાનો સૌથી વધુ ઉપયોગ પત્રકારો અને મીડિયા સંસ્થાઓને ડરાવવા-ધમકાવવા માટે થાય છે. ઘણી વખત મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ અથવા પ્રભાવશાળી લોકો નાના લેખો અથવા અહેવાલો માટે પણ ફોજદારી બદનક્ષીના કેસ દાખલ કરે છે, જેથી પત્રકારો પર દબાણ વધે છે. સુપ્રીમ કોર્ટનું આ અવલોકન પ્રેસ સ્વતંત્રતા અને કલમ 19 (અભિવ્યક્તિની સ્વતંત્રતા) માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભવિષ્યમાં શું બદલાવ આવી શકે છે?
જો સુપ્રીમ કોર્ટ આ દિશામાં આગળ વધે છે અને ફોજદારી બદનક્ષી નાબૂદ કરવાની ભલામણ કરે છે તો તેની ખૂબ જ ઊંડી અસર થશે. પત્રકારો અને લેખકો જેલ જવાના ભય વિના પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકશે. નાગરિકો પરસ્પર વિવાદોમાં માત્ર સિવિલ કેસ જ દાખલ કરી શકશે. કોર્ટો પર બિનજરૂરી ફોજદારી કેસોનો બોજ ઓછો થશે. જોકે, વિરોધી કરનારાઓનું કહેવું છે કે, જો બદનક્ષીને ફોજદારી શ્રેણીમાંથી હટાવી દેવામાં આવશે તો સોશિયલ મીડિયા પર નકલી સમાચાર અને ખોટા આરોપોનો પૂર આવી શકે છે.

