- National
- કોણ છે દીપ્તિ ગૌર મુખર્જી? NEET પેપર લીક વિવાદ વચ્ચે મળી મોટી જવાબદારી
કોણ છે દીપ્તિ ગૌર મુખર્જી? NEET પેપર લીક વિવાદ વચ્ચે મળી મોટી જવાબદારી
NEET-UG પેપર લીક કેસ હોય કે ઝારખંડમાં સરકારી ભરતીમાં ગેરરીતિઓના આરોપો હોય, દેશભરમાંથી યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શનના અહેવાલો સામે આવી રહ્યા છે. શિક્ષણ અને રોજગાર પ્રણાલી અંગે વધતા પ્રશ્નો વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રાલયે મધ્ય પ્રદેશ કેડરના વરિષ્ઠ IAS અધિકારી દીપ્તિ ગૌર મુખર્જીને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક એટલે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના મુખ્ય વિભાગોમાં કામ કર્યું છે અને 30 વર્ષથી વધુના તેમના વ્યાપક અનુભવ છે.
દીપ્તિ મુખર્જી એક મોટી જવાબદારી નિભાવશે, કારણ કે તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે દેશની પરીક્ષા પ્રણાલી અને ખાસ કરીને તબીબી પ્રવેશ પરીક્ષા NEETને લઇને સતત સવાલ ઉઠી રહ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) ની મંજૂરી બાદ તેમની નિમણૂક અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
કોણ છે દીપ્તિ ગૌર મુખર્જી?
દીપ્તિ ગૌર મુખર્જી 1993 બેચના મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, તેમનો જન્મ 3 ફેબ્રુઆરી, 1969ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE)માંથી પબ્લિક મેનેજમેન્ટ અને ગવર્નન્સમાં MSc ડિગ્રી મેળવી છે.

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કર્યા પછી, તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા અને લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી કારકિર્દી દરમિયાન વિવિધ વિભાગોમાં મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. આ નવી ભૂમિકા પહેલા તેમણે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)ના સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે ઓગસ્ટ 2024માં આ પદ સંભાળ્યું હતું. તેઓ અગાઉ રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA)ના CEO તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

