બંગાળમાં નવી ભાજપ સરકારે OBC અનામત 17%થી ઘટાડી 7% કરી તેની અસર કોના પર થશે?

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની OBC અનામત વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં OBC અનામત 17% થી ઘટાડીને 7% કરી દેવામાં આવી છે. નવી યાદી અનુસાર, હવે માત્ર 66 જ્ઞાતિઓ જ OBC અનામતના દાયરામાં રહેશે. આ સાથે જ ધર્મ આધારિત વર્ગીકરણની વ્યવસ્થા પણ નાબૂદ કરવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે આ નિર્ણય કલકત્તા હાઈકોર્ટના 2024ના આદેશના આધારે લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે 2010 થી 2012 વચ્ચે OBC યાદીમાં 77 વધારાની જ્ઞાતિઓને ઉમેરવાની પ્રક્રિયાને ગેરકાયદેસર અને અસંવૈધાનિક ગણાવી હતી.

જો કે, 2010 પહેલા OBC કેટેગરીમાં સામેલ જ્ઞાતિઓનો દરજ્જો યથાવત રહેશે. આ ક્વોટા દ્વારા અગાઉ સરકારી નોકરી મેળવી ચૂકેલા લોકોની નિમણૂકો પર પણ આ નિર્ણયની કોઈ અસર થશે નહીં.

07

મમતા સરકારની OBC-A અને OBC-B વ્યવસ્થા ખતમ

આ નિર્ણયની સાથે જ મમતા બેનર્જી સરકારના સમયમાં લાગુ કરાયેલી OBC-A અને OBC-B વ્યવસ્થાનો અંત આવ્યો છે. મમતા સરકારે OBC અનામતને બે ભાગમાં વહેંચી હતી, જેમાં OBC-A ને 10% અને OBC-B ને 7% અનામત મળી રહી હતી. આ સમયગાળા દરમિયાન ઘણી નવી જ્ઞાતિઓ પણ ઉમેરવામાં આવી હતી.

આ વ્યવસ્થા વિરુદ્ધ 2024માં કલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ નિર્ણયથી 2010 પછી જારી કરાયેલા અંદાજે 12 લાખ OBC પ્રમાણપત્રો રદ થઈ ગયા હતા.

નવી યાદીમાં સામેલ મુખ્ય જ્ઞાતિઓ

નવી બહાર પાડવામાં આવેલી યાદીમાં કપાલી, કુર્મી, સુધ્રાધાર, કર્મકાર, સૂત્રધાર, સ્વર્ણકાર, નાઈ, તાંતી, ધનુક, કસાઈ, ખંડાયત, તુરહા, દેવાંગ અને ગોઆલા જેવી જ્ઞાતિઓ સામેલ છે. આ ઉપરાંત પહાડિયા, હજ્જામ અને ચૌધુલી જેવા ત્રણ મુસ્લિમ સમુદાયો પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે.

રાજ્ય મંત્રી અગ્નિમિત્રા પૌલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે સરકાર OBC માળખાની નવી સમીક્ષા કરશે, જેના માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવશે. હાઈકોર્ટે જે જૂથોની ઓળખ સ્પષ્ટ કરી છે તેના પર પહેલા વિચાર કરવામાં આવશે. સમીક્ષા બાદ જો જરૂર જણાશે તો કાયદાકીય પ્રક્રિયા હેઠળ કેટલાક જૂથોને ફરીથી યાદીમાં સામેલ કરી શકાય છે.

બંગાળ નવી કેબિનેટના 7 મોટા નિર્ણયો:

1. સરકારી નોકરીઓમાં વય મર્યાદા 5 વર્ષ વધી

બંગાળ કેબિનેટે રાજ્ય સરકારની નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવી વ્યવસ્થા હેઠળ, ગ્રુપ A ની જગ્યાઓ માટે વય મર્યાદા 41 વર્ષ, ગ્રુપ B માટે 44 વર્ષ અને ગ્રુપ C-D માટે 45 વર્ષ કરવામાં આવી છે. આ નિયમ 11 મેથી લાગુ થશે. SC, ST, OBC અને દિવ્યાંગ ઉમેદવારોને મળતી વધારાની વય છૂટછાટ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

2. ભ્રષ્ટાચારની તપાસ માટે નિવૃત્ત જજની કમિટી

રાજ્યમાં સંસ્થાકીય ભ્રષ્ટાચારની તપાસ માટે કેબિનેટે કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ બિસ્વજીત બસુની અધ્યક્ષતામાં એક પેનલ બનાવવાની મંજૂરી આપી છે. આ કમિટી સરકારી યોજનાઓ, બાંધકામ કાર્યો અને સેવા વિતરણમાં કથિત કૌભાંડો, કટમની (લાંચ), લાંચખોરી અને સરકારી ભંડોળની ગેરરીતિઓની તપાસ કરશે. સામાન્ય જનતાને પણ આ અંગે ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે.

3. મહિલાઓ અને બાળકીઓ પર અત્યાચારની તપાસ થશે

રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકીઓ પર થતા અત્યાચારના મામલાઓની તપાસ માટે જસ્ટિસ સમાપ્તિ ચેટર્જીની અધ્યક્ષતામાં બીજી કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. આ આયોગ મહિલાઓ, બાળકો, SC-ST અને લઘુમતી સમુદાય સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ કરશે. આ માટે પોર્ટલ, વોટ્સએપ અને ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

09

4. ધાર્મિક આધાર પર મળતું માનદ વેતન બંધ

કેબિનેટે ઈમામ, મુઅઝ્ઝીન અને પૂજારીઓને ધાર્મિક આધારે આપવામાં આવતું સરકારી માનદ વેતન (ઓનરેરિયમ) 1 જૂનથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ઈમામોને 3,000 અને મુઅઝ્ઝીન-પૂજારીઓને 2,000 માસિક સહાય આપવામાં આવતી હતી.

5. મહિલાઓને દર મહિને 3,000 મળશે

રાજ્ય સરકારે ‘અન્નપૂર્ણા યોજના’ને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ મહિલાઓને 1 જૂનથી દર મહિને 3,000ની આર્થિક સહાય આપવામાં આવશે. 'લક્ષ્મી ભંડાર યોજના'ની વર્તમાન લાભાર્થી મહિલાઓને ફરીથી અરજી કર્યા વિના જ સીધો આ યોજનાનો લાભ મળશે. આ નાણાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

6. મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરી

કેબિનેટે 1 જૂનથી મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની મંજૂરી આપી દીધી છે. જો કે, હાલના તબક્કે બસોની સંખ્યા વધારવાની સરકારની કોઈ યોજના નથી.

7. સાતમું પગાર પંચ મંજૂર

રાજ્ય સરકારે કર્મચારીઓના પગાર સુધારણા માટે '7મા રાજ્ય પગાર પંચ' (7th State Pay Commission) ના ગઠનને મંજૂરી આપી છે. આનો લાભ સરકારી કર્મચારીઓની સાથે નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓ, શિક્ષણ બોર્ડ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને પણ મળશે. પંચની રચના અને તેના અમલીકરણની તારીખ અંગેનું જાહેરનામું પછીથી બહાર પાડવામાં આવશે.

About The Author

Related Posts

Top News

માણસે 34મા માળે ફ્લેટ ખરીદ્યો, પણ ઈમારત નીકળી 32 માળની! બિલ્ડરે ખોટું બોલી ઘર વેચી દીધું

આજના સમયમાં, પોતાનું ઘર હોવું એ દરેકનું સ્વપ્ન હોય છે. લોકો વર્ષો સુધી બચત કરે છે, લોન લે...
World 
માણસે 34મા માળે ફ્લેટ ખરીદ્યો, પણ ઈમારત નીકળી 32 માળની! બિલ્ડરે ખોટું બોલી ઘર વેચી દીધું

79ના વરરાજાને યુવાન કન્યાની શોધ! 50 રૂમનો મહેલ અને કરોડોની સંપત્તિ, પરંતુ માનવી પડશે આ શરત

આજકાલ સોશિયલ મીડિયા પર બ્રિટિશ અબજપતિની ખૂબ ચર્ચા થઇ રહી છે. કહાની કંઇક એવી છે કે 79 વર્ષીય આ શ્રીમંત...
World 
79ના વરરાજાને યુવાન કન્યાની શોધ! 50 રૂમનો મહેલ અને કરોડોની સંપત્તિ, પરંતુ માનવી પડશે આ શરત

સરકારે નિકોબારમાં 13,000 કરોડના નવા એરપોર્ટને મંજૂરી આપી, 'INS બાઝ'ના વિસ્તરણનો પ્લાન પડતો મુકાયો

આંદામાન નિકોબારમાં રૂ. 81,000 કરોડના મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ચાલી રહેલા ભારે રાજકીય ઘમાસાણ વચ્ચે, સરકારે એક...
National 
સરકારે નિકોબારમાં 13,000 કરોડના નવા એરપોર્ટને મંજૂરી આપી, 'INS બાઝ'ના વિસ્તરણનો પ્લાન પડતો મુકાયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 10-06-2026 વાર- બુધવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.