- Politics
- 17 વર્ષ અગાઉ શું થયું હતું જેને લઈને નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને ઘેર્યા
17 વર્ષ અગાઉ શું થયું હતું જેને લઈને નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને ઘેર્યા
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં અમેરિકા સાથેના વેપાર કરાર પર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ‘તમે દેશ વેચી દીધો. શું તમને આ કરવામાં શરમ નથી આવતી? તમે ભારત માતાને વેચી દીધી. તમને કોઈ શરમ નથી.’ નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલના આ હુમલાનો જવાબ આપ્યો. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને શર્મ અલ-શેખના સંયુક્ત નિવેદનની યાદ અપાવી. નાણામંત્રીએ કહ્યું કે UPA સરકારે દેશ વેચી દીધો હતો.
તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસની જ સરકાર હતી, જેણે, ખેડૂતો, ગરીબો અને દેશ વેચી દીધો. તમે જ હતા જેમણે ભારતને પાકિસ્તાન સાથે જોડ્યું. કિરેન રિજિજૂએ સાચું કહ્યું કે, કોઈ માનો લાલ ભારતને વેચી નહીં શકે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારેય આવું કરશે નહીં. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપતા કિરેન રિજિજૂએ કહ્યું કે કોઈ માનો લાલ ભારતને વેચી નહીં શકે.
શર્મ અલ-શેખ સંયુક્ત નિવેદનનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ UPA સરકાર પર પાકિસ્તાન સાથેની વાટાઘાટોમાં સુરક્ષા અંગે ભારતની સ્થિતિ નબળી કરવાનો આરોપ લગાવ્યો. સીતારમણે કહ્યું કે, ‘જે લોકોએ શર્મ અલ-શેખમાં પાકિસ્તાન સાથે વાટાઘાટો કરી હતી તેઓ હવે અમને સૂચનો આપી રહ્યા છે.’
2009માં શું થયું હતું?
2009 મા શર્મ અલ-શેખ કરાર પર તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન સૈયદ યુસુફ રઝા ગિલાની વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુંબઈમાં 26/11ના હુમલાના 7 મહિના બાદ, ઇજિપ્તના શર્મ અલ-શેખમાં થયેલી બેઠકમાં મનમોહને મુંબઈ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.
બંને નેતાઓ આ વાત પર સહમત થયા કે આતંકવાદ બંને દેશો માટે એક મુખ્ય જોખમ છે. બંને નેતાઓએ આતંકવાદ સામે લડવા અને આ ઉદ્દેશ માટે એક-બીજાને સહયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહે મુંબઈ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. વડાપ્રધાન ગિલાનીએ ખાતરી આપી કે પાકિસ્તાન આ બાબતમાં તેની ફૂટી તાકાત લગાવશે.
તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાને મુંબઈ હુમલાની તપાસ અંગે અપડેટેડ સ્ટેટસ ડોઝિયર પૂરું આપ્યું છે અને વધુ માહિતી/પુરાવા માંગ્યા છે. વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે ડોઝિયરની સમીક્ષા કરવામાં આવી રહી છે. બંને નેતાઓ એ વાત પર સહમત થયા હતા કે બંને દેશો ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી જોખમ અંગે વાસ્તવિક સમયની, વિશ્વસનીય અને કાર્યવાહી કરી શકાય તેવી માહિતી શેર કરશે. વડાપ્રધાન ગિલાનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે બલુચિસ્તાન અને અન્ય વિસ્તારોમાં જોખમ બાબતે કેટલીક માહિતી છે. પાકિસ્તાન પરત ફર્યા બાદ, ગિલાનીએ આ માહિતીનો ઉપયોગ ભારત પર પ્રહાર કરવા માટે કર્યો હતો.
જયશંકર પણ ઉલ્લેખ કરી ચૂક્યા છે
વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગિલાનીના નિવેદનનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. જયશંકરે થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે શર્મ અલ-શેખમાં, તત્કાલીન સરકાર અને પાકિસ્તાની વડાપ્રધાન સહમત થયા હતા કે આતંકવાદ બંને દેશો માટે મુખ્ય જોખમ છે. પાકિસ્તાન શરૂઆતથી જ ભારતમાં આતંકવાદ એક્સપોર્ટ કરી રહ્યું છે અને આરોપ લગાવ્યો હતો કે ભારતે બલુચ બળવાખોરોને સમર્થન આપ્યું. પાકિસ્તાને શર્મ અલ-શેખમાં સિંહ અને ગિલાની દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનનો ઉપયોગ એવો દાવો કરવા માટે કર્યો હતો કે ભારતે બલુચિસ્તાનમાં તેની ભૂમિકા સ્વીકારી લીધી છે.

