- Politics
- ‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન
‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય ક્રિકેટ અંગે વિવાદાસ્પદ નિવેદનોનો દોર શરૂ થયો છે. વર્તમાન T20 વર્લ્ડ કપને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. બોલર મોહમ્મદ શમી અને સિરાજને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળવા પર હવે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. AIMIM અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ‘મોહમ્મદ શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે ટીમમાં તકો આપવામાં આવી રહી નથી. આ દરમિયાન, શાસક પક્ષ અને કોંગ્રેસના નેતાઓએ આવા દાવાઓની ટીકા કરી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
માલેગાંવના AIMIM ધારાસભ્ય મુફ્તી ઈસ્માઈલે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, ‘મુસ્લિમોને દરેક ક્ષેત્રમાં અવગણવામાં આવી રહ્યા છે, અને ટીમ ઈન્ડિયામાં પણ ખેલાડીઓને મુસ્લિમ હોવાને કારણે તકો આપવામાં આવી રહી નથી.’ તેમણે એમ પણ કહ્યું કે, દક્ષિણ આફ્રિકા સામેની હારનું આ એક કારણ હોઈ શકે છે.
ત્યારબાદ, સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્ર અને મુંબઈના અધ્યક્ષ અબુ આઝમીએ પણ આ મુદ્દા પર વાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે, ‘ભાજપના શાસનમાં, ઘણા ક્ષેત્રોમાં મુસ્લિમો સાથે ભેદભાવ થઈ રહ્યો છે, અને જો ક્રિકેટમાં પણ આવું થઈ રહ્યું છે, તો તે એક ગંભીર બાબત છે. બની શકે મુસ્લિમ હોવાને કારણે સિરાજ અને શમી ટીમમાંથી બહાર છે.’
NCP (અજિત પવાર જૂથ)ના મુસ્લિમ ધારાસભ્ય અને લઘુમતી બાબતોના વિભાગના પ્રમુખ, ઇદરીસ નાયકવાડીએ આ આરોપોને રાજકીય ગણાવ્યા. તેમણે કહ્યું કે, ‘મોહમ્મદ અઝહરુદ્દીન અને મન્સૂર અલી ખાન પટૌડી જેવા ઘણા મુસ્લિમ ખેલાડીઓ અગાઉ ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે અને કેપ્ટન પણ બન્યા છે છે. રમતમાં ધર્મ લાવવો ખોટું છે.’ કોંગ્રેસના નેતા અમીન પટેલે પણ કહ્યું કે, ખેલાડીઓની પસંદગી યોગ્યતા અને પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. તેમણે આવા નિવેદનોને બેજવાબદાર ગણાવ્યા અને કહ્યું કે તેનાથી બચવું જોઈએ.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ભરત ગોગાવલેએ કહ્યું કે, ‘ભારતીય ટીમ માટે પસંદગી કુશળતા અને પરિસ્થિતિઓના આધારે થાય છે. હિન્દુ-મુસ્લિમ રાજકારણ કરવું એ સમાજમાં તિરાડ ઊભી કરવા જેવું છે, અને જેમણે નિવેદનો આપ્યા છે તેમણે માફી માંગવી જોઈએ. તો, યુવા સ્વાભિમાન પાર્ટીના નેતા અને ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે, ઘણા મુસ્લિમોએ ભારતીય ટીમમાં અને દેશમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી છે. એટલે, આ પ્રકારનું રાજકારણ ખોટું છે. આ પ્રકારના નિવેદનો આપનારા નેતાઓએ માફી માંગવી જોઈએ.’

