- Sports
- સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું
ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા. આ મહત્વની મેચમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 7 રનથી હારી ગઈ હતી, અને બ્રુકના મતે સંજુ સેમસનનો જીવનદાન આપવો તે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

એક કેચ જે ઇંગ્લેન્ડને ભારે પડ્યો
જ્યારે સંજુ સેમસન માત્ર 15 રન પર રમી રહ્યો હતો, ત્યારે હેરી બ્રુકના હાથે તેનો એક સરળ કેચ છૂટ્યો હતો. સામાન્ય રીતે 100 માંથી 99 વાર પકડાઈ જાય તેવો આ કેચ બ્રુકના જમણા હાથમાંથી છટકીને જમીન પર પડ્યો હતો.
પોતાની ભૂલનો સ્વીકાર કરતા હેરી બ્રુકે કહ્યું "હું સ્વીકારું છું કે સંજુ સેમસનનો કેચ છોડીને મેં બહુ મોટી ભૂલ કરી છે. કહેવાય છે ને કે 'કેચ જીતાડે મેચ', કમનસીબે આ કેચ મારા હાથમાં ન રહ્યો. જ્યારે તે રન બનાવી રહ્યો હતો ત્યારે હું વારંવાર સ્કોરબોર્ડ જોઈ રહ્યો હતો અને મને સતત અહેસાસ થઈ રહ્યો હતો કે મારે તે રન ભરપાઈ કરવા પડશે."
બ્રુકે જીવનદાન આપ્યા બાદ સેમસને આક્રમક બેટિંગ કરી અને આગામી 35 બોલમાં વધુ 74 રન ફટકારી ભારતને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પોતે બેટિંગમાં પણ માત્ર 7 રન બનાવી શકતા બ્રુકની નિરાશા બેવડાઈ હતી.
ભારતની શાનદાર ફિલ્ડિંગ અને સૂર્યાના વખાણ
એક તરફ ઇંગ્લેન્ડની ફિલ્ડિંગમાં ચૂક જોવા મળી, તો બીજી તરફ ભારતીય ખેલાડીઓએ મેદાન પર અદભૂત પ્રદર્શન કર્યું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફિલ્ડિંગ કોચ ટી. દિલીપની મહેનતને બિરદાવતા કહ્યું કે, "છોકરાઓ ફિલ્ડિંગમાં ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને ટીમ માટે વધારાની મહેનત કરી રહ્યા છે."

બ્રેન્ડન મેક્કુલમે અક્ષર પટેલના કેચને ગણાવ્યો ગેમ ચેન્જર
ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમે હારનું વિશ્લેષણ કરતા જણાવ્યું કે વાનખેડે જેવા ઘોંઘાટિયા મેદાન પર ફિલ્ડિંગ કરવી સરળ નથી. તેમણે ઉમેર્યું કે:
અક્ષર પટેલે જે શાનદાર કેચ ઝડપ્યા તેણે મેચમાં મોટો તફાવત ઉભો કર્યો.
જોફ્રા આર્ચરની બોલિંગમાં વાનખેડેના ઉછાળને કારણે બોલ શોર્ટ પડતા હતા, જેનો ફાયદો સેમસન જેવા પાવરફુલ બેટ્સમેને ઉઠાવ્યો.
ઇંગ્લેન્ડ માટે આ વર્લ્ડ કપમાં ફિલ્ડિંગ સામાન્ય રીતે સારી રહી હતી, પરંતુ સેમીફાઇનલ જેવી મોટી મેચમાં મળેલી આ ચૂક તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી ગઈ.

