- Sports
- બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમ ભારત નહીં મોકલે. BCBએ ICCને અનુરોધ કર્યો હતો કે, તેની ટીમની મેચો ભારતથી શિફ્ટ કરીને શ્રીલંકા રાખવામાં આવે, કારણે કે તેને ભારતમાં રમવાને લઈને સુરક્ષા સંબંધિત ચિંતા છે. જોકે, ICCએ વર્લ્ડ કપના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો છે.
ત્યારબાદ, બાંગ્લાદેશે કડક વલણ અપનાવતા ભારત આવવાનો ઇનકાર કરી દીધો છે. એવામાં હવે લગભગ એ નિશ્ચિત થઈ ગયું છે કે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવશે. T20 વર્લ્ડ કપ બોયકોટ કરવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સૌથી મોટું નુકસાન થશે.
સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, જો બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં નહીં રમે, તો તેને લગભગ 27 મિલિયન ડૉલર (લગભગ 240 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. આમાં બ્રોડકસ્ટિંગ રેવેન્યૂ, સ્પોન્સરશિપ અને વાર્ષિક ક્રિકેટ આવકનો સમાવેશ થાય છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નુકસાન BCBની વાર્ષિક કમાણીનો લગભગ 60 ટકા જેટલું હોઈ શકે છે.
બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઇઝર, આસિફ નજરુલે ખેલાડીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, ICCનો સુરક્ષા અહેવાલ સ્વીકાર્ય નથી. અમે સંતુષ્ટ નથી કે ભારતમાં અમારા ખેલાડીઓ, પત્રકારો અને દર્શકોની સુરક્ષઆ સુનિશ્ચિત કરી શકાય છે. આ નિર્ણય સરકારનો છે, અને નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશ આશા છોડી રહ્યું નથી અને ઇચ્છે છે કે ICC ન્યાય કરતા તેની ટીમને શ્રીલંકામાં રમવાની મંજૂરી આપે.
ભારતને કેટલું નુકસાન થશે?
બાંગ્લાદેશના આ બોયકૉટથી ભારતને નુકસાન મર્યાદિત જ રહેશે. ભારત અને બાંગ્લાદેશ પડોશી દેશો છે, અને અહીં ક્રિકેટ માટે જબરદસ્ત દીવાનગી છે. બાંગ્લાદેશી ફેન્સ મોટી સંખ્યામાં ભારત આવીને મેચ માટે ટિકિટ ખરીદે છે. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ગેરહાજરીથી ટિકિટની આવકમાં ઘટાડો થશે.
ટિકિટના વેચાણમાંથી થતી આવક ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના ખિસ્સામાં જવાની હતી. એટલે કે BCCIની કમાણી પર થોડી અસર જોવા મળશે. બાંગ્લાદેશની 4માંથી 3 મેચ કોલકાતામાં અને એક મેચ મુંબઈમાં રમાવાની છે. ઢાકાથી આ શહેરો માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. એવો અંદાજ છે કે કોલકાતાને જ 30-40 કરોડ રુપિયાનું નુકસાન થઈ શકે છે.
પહેલા પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કરતા ભારતની વૈશ્વિક છબી પર સવાલ ઉઠી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એવું નેરેટિવ બની શકે છે કે ભારત પોતાના પડોશીઓ સાથે કડક વર્તન કરી રહ્યું છે, જેથી સુરક્ષાને લઈને પણ આંગળીઓ ઉઠશે.

