- Business
- મીઠાઇ, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને કપડા સુધી આ વસ્તુઓ થશે સસ્તી, 5 ટકા સ્લેબમાં લાવવાની તૈયારી
મીઠાઇ, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને કપડા સુધી આ વસ્તુઓ થશે સસ્તી, 5 ટકા સ્લેબમાં લાવવાની તૈયારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી GST સુધારાની જાહેરાત કરી હતી અને તેમાં GSTના 2 દર 5% અને 18% લાગૂ કરવાનો પ્રસ્તાવ છે. ત્યારબાદ 20 અને 21 ઑગસ્ટના રોજ દિલ્હીમાં થયેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની બેઠકમાં, 12% અને 28% GST સ્લેબ નાબૂદ કરવાના કેન્દ્રના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી. હવે આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, સરકાર ટેક્સટાઇલ અને ફૂડ પ્રોડક્ટ્સને 5% ટેક્સ સ્લેબમાં લાવવાનું વિચારી રહી છે.
નેક્સ્ટ જનરેશન GST રીફોર્મ્સ હેઠળ હવે સામાન્ય માણસ પરના કરના બોજને ઘટાડવા માટે ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને કાપડને 5% સ્લેબમાં લાવી શકાય છે. TOIના રિપોર્ટ મુજબ, સરકાર કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સેવાઓ પર GST દરોનું પણ મૂલ્યાંકન કરી રહી છે, જેથી એ જોઈ શકાય કે શું તેને 18%થી ઘટાડીને 5% કરી શકાય છે. એવું કહેવામાં આવ્યું છે કે આગામી મહિનાની શરૂઆતમાં થનારી GST કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે.
આ ઉપરાંત, સિમેન્ટ સહિત ઘણી વસ્તુઓ અને સલૂન તેમજ બ્યુટી પાર્લર જેવી સામૂહિક વપરાશની સેવાઓ સહિત અન્ય ઘણી વસ્તુઓ પર પણ GST ઘટાડવાની યોજનાઓ પર ચર્ચા થઈ શકે છે. હાલમાં, નાના સલૂન GSTથી મુક્ત છે, પરંતુ મધ્યમ અને ઉચ્ચ કેટેગરીના સલુન્સ પર 18 ટકાના દરે GST વસૂલવામાં આવે છે, જેના માટે ગ્રાહકો પર સીધો બોજ નાખવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, સિમેન્ટ પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
તમને જણાવી દઈએ કે, કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરની આ લાંબા સમયથી માગ છે. આ ઉપરાંત જો આપણે અન્ય સંભવિત બદલાવો પર નજર કરીએ તો, ટર્મ ઇન્શ્યોરન્સ અને આરોગ્ય વીમા પોલિસી પર GST નાબૂદ કરી શકાય છે, જ્યારે 4 મીટર સુધીની નાની કાર 18% GST અને મોટી કાર 40% GST સ્લેબમાં રહી શકે છે.
અત્યારે મીઠાઈઓ અને કપડાં પર લાગૂ GSTની વાત કરીએ, તો બ્રાન્ડ વગરની મીઠાઈ પર GST 5% ના દરે લાગૂ પડે છે, જ્યારે બ્રાન્ડેડ અને પેકેજ્ડ મીઠાઈઓ 18% સ્લેબમાં આવે છે. આ ઉપરાંત કાર્બોનેટેડ ડ્રિંક્સ પણ આ સ્લેબમાં છે. જો આપણે કપડાંની વાત કરીએ, તો તે કિંમત અનુસાર 5% થી 12%ના ટેક્સ સ્લેબમાં આવે છે, જેમ કે 1000 રૂપિયા કે તેથી ઓછી કિંમતના કપડાં પર 5% GST લાગૂ પડે છે અને તેનાથી વધુ કિંમતના કપડાં પર 12% GST લાગૂ પડે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11:00 વાગ્યે પ્રસ્તાવિત છે અને તે અગાઉ 2 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં GST અધિકારીઓ સાથે ચર્ચા થવાની છે. જોકે, GST કાઉન્સિલની બેઠક માટે વિગતવાર એજન્ડા અને સ્થળની જાહેરાત હજુ બાકી છે. નોંધનીય છે કે નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, GSTનું નવું માળખું કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકને અસર કરશે. GST સચિવાલયના અધિકારીઓની ફિટમેન્ટ સમિતિએ આ નુકસાનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં લગભગ 40,000 કરોડ રૂપિયાની મહેસૂલ નુકસાન થવાની આશંકા છે.
સરકાર સાથે જોડાયેલા અધિકારીઓનું માનીએ તો, કેન્દ્રનો ઉદ્દેશ્ય દશેરા-દિવાળીના તહેવાર અગાઉ GST દરોમાં ઘટાડો લાગૂ કરવાનો છે. આ વર્ષે દિવાળી 21 ઓક્ટોબરે ઉજવવામાં આવશે અને GST સુધારા તરફ સરકારનું આ પગલું ગ્રાહકો અને વ્યવસાયો માટે રાહતની ભેટ સાબિત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે સરકાર આગામી પેઢીના GST સુધારા લાવશે, જેનાથી સામાન્ય માણસ પર કરનો બોજ ઓછો થશે. આ સરકાર તરફથી દેશવાસીઓને દિવાળીની ભેટ હશે.

