- Business
- શું વિશ્વનું સૌથી મોટું સંકટ આવવાનું છે? રીચ ડેડ પૂઅરના લેખકે કર્યો આ ઈશારો
શું વિશ્વનું સૌથી મોટું સંકટ આવવાનું છે? રીચ ડેડ પૂઅરના લેખકે કર્યો આ ઈશારો
પ્રખ્યાત નાણાકીય લેખક અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વિશ્વભરના રોકાણકારોને વૉર્નિંગ આપી છે. તેમણે કહ્યું કે, આ વર્ષ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટું આર્થિક સંકટ લાવશે, જે વૃદ્ધો અને નિવૃત્ત લોકોની બચતને પૂરી રીતે ખતમ કરી દેશે. કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ‘બેબી બૂમર્સની નિવૃત્તિ સમાપ્ત થઈ જશે. ઘણા લોકો બેઘર થઈ જશે અથવા તેમના બાળકોના ઘરે રહેવું પડશે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે પોતાના પુસ્તક ‘રિચ ડેડ્સ પ્રોફેસી’માં આ મોટા ક્રેશની ભવિષ્યવાણી કરી હતી અને હવે આ સંકટ હવે આ વર્ષે જોવા મળશે.
રોબર્ટ કિયોસાકી હંમેશાં ફિએટ ચલણ એટલે કે છુપાયેલા પૈસા વિરુદ્ધ રહ્યા છે. તેમનું કહેવું છે કે, ‘સેવર્સ આર લુઝર્સ’ એટલે કે જે લોકો માત્ર પૈસા બચાવે છે, તેઓ હકીકતમાં નુકસાનમાં રહે છે કારણ કે મોંઘવારીએ ધીમે-ધીમે તેમની બચતની કિંમત ઘટાડે છે. તેમણે કહ્યું કે લોકોએ હવે બેંક ખાતા અથવા રોકડમાં બચત કરવાને બદલે અસલી સંપત્તિમાં રોકાણ કરવું જોઈએ. તેના માટે તેમણે સોના, ચાંદી, બિટકોઇન અને ઇથેરિયમને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યા.
કિયોસાકીએ ખાસ કરીને ચાંદી અને ઇથેરિયમને શ્રેષ્ઠ રોકાણ ગણાવ્યા, કારણ કે તેમનું માનવું છે કે હાલમાં તેમની કિંમત ઓછી છે અને ભવિષ્યમાં તેમની માગ ઝડપથી વધી શકે છે. તેમણે કહ્યું કે ચાંદી અને ઇથેરિયમ ન માત્ર મૂલ્ય ધરાવે છે, પરંતુ તેમણે ઉદ્યોગોમાં પણ ઉપયોગમાં લેવાય છે.
કિયોસાકીએ લોકોને સલાહ આપી હતી કે તેઓ કોઈના શબ્દો પર આંધળો વિશ્વાસ ન કરે, પરંતુ ચાંદી અને ઇથેરિયમના ફાયદા અને ગેરફાયદાને પોતે સમજે, અને પછી તેમની નાણાકીય સમજણના આધારે રોકાણ કરે. તેમણે કહ્યું કે, આ રીતે તમે તમારી ફાયનાન્શિયલ ઇન્ટેલિજન્સ વધારી શકો છો અને અમીર બની શકો છો.
રસપ્રદ વાત એ છે કે, કિયોસાકી જે સંપત્તિઓને સુરક્ષિત રોકાણ માને છે તેનું 2025માં પ્રદર્શન શાનદાર રહ્યું છે. ફિનબોલ્ડ રિસર્ચ મુજબ, સપ્ટેમ્બર 2025 સુધીમાં સોના, ચાંદી અને બિટકોઇન પર સરેરાશ વળતર લગભગ 40% હતું. તેમાંથી, ચાંદીની કિંમત 47.5% વધીને 43.89 ડોલર પ્રતિ ઔંસ, સોનામાં 43% વધારો થયો અને બિટકોઇનમાં 21% વધારો થયો. કિયોસાકીનું કહેવું છે કે આ વર્ષે ક્રેશ થાય કે ન થાય, સોનું, ચાંદી અને ક્રિપ્ટો જેવી અસલી સંપત્તિઓ વર્તમાન વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને બેંકોમાં ઘટી રહેલા વિશ્વાસ સામે સાચો વીમો છે.

