- Education
- સરકારના વિકાસના કામોમાં ક્વોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહીં:શિક્ષણમંત્રી
સરકારના વિકાસના કામોમાં ક્વોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહીં:શિક્ષણમંત્રી
.jpg)
શિક્ષણ રાજ્યમંત્રી અને ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને તથા પ્રાંત અધિકારી વી.કે.પીપળીયાની ઉપસ્થિતિમાં કામરેજ તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકમાં વિકાસકામો ગુણવત્તાયુકત થાય તે જરૂરી હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, સરકારના વિકાસના કામોમાં કવોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહી. આગામી પાંચ વર્ષમાં કામરેજ તાલુકાના એક પણ ગામમાં ઝૂંપડું ન રહે, સૌને પાકા મકાનો મળે તે દિશામાં રોડમેપ બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. કામરેજની આસપાસ ગંદકી તથા હાઈવેના સર્વિસ રોડની સમયસર મરામત થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડ્રેનેજ તથા પાણીની પાઈપલાઈન જેવા વિકાસકામોમાં કોઈ પણ અડચણરૂપ બનતા હોય તો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા મંત્રીએ કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા કામરેજમાં મહત્તમ ગામોનો સમાવેશ કરી ગેસ લાઈનની કામગીરી ઝડપી બનાવવી. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ લાભાર્થી કાર્ડ વિના રહી ન જાય તે માટે ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું હતું.
પ્રાંત અધિકારી પીપળીયાએ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા યાદીની ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને પોતાના નામો ઉમેરવા, સુધારા-વધારા કરવાનો અનુરોધ કર્યો હતો.