- Governance
- અનુસૂચિત જાતિ-પછાતવર્ગના આર્થિક ઉત્કર્ષ માટે કામ કરનારાનું ઍવોર્ડથી સન્માન થશે
અનુસૂચિત જાતિ-પછાતવર્ગના આર્થિક ઉત્કર્ષ માટે કામ કરનારાનું ઍવોર્ડથી સન્માન થશે
સરકારે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ તેમજ પછાતવર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે કાર્ય કરતી વ્યક્તિઓ/ સંસ્થાઓની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે તેમને રાજ્ય સરકાર દ્વારા ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્યની અનુ.જાતિ કલ્યાણની કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
રાજ્યની અનુસૂચિત જાતિની વ્યકિત ડો.બાબાસાહેબ આંબેડકર ઍવોર્ડ માટે તેમજ મુંબઇ પબ્લીક ટ્રસ્ટ એકટ કે ગુજરાત સહકારી મંડળીઓના કાયદા હેઠળ નોંધાયેલ અનુસૂચિત જાતિની સંસ્થાઓ મહાત્મા ગાંધી ઍવોર્ડ માટે અરજી કરી શકશે. આ બંને ઍવોર્ડ માટે રૂપિયા બે-બે લાખના પુરસ્કાર આપવામાં આવશે. તેવી જ રીતે અનુસૂચિત જાતિના સાહિત્યકારો સંત કબીર સાહિત્ય ઍવોર્ડ માટે અને અનુસૂચિત જાતિની મહિલા કલા/સાહિત્ય/ હસ્ત કલાકાર ક્ષેત્ર માટે સાવિત્રીબાઇ ફુલે મહિલા/કલા સાહિત્ય ઍવોર્ડ માટે અરજી કરી શકશે. આ બંને ઍવોર્ડ માટે એક-એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.
તદુપરાંત અનુસૂચિત જાતિના પત્રકારો મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર ઍવોર્ડ તેમજ અનુસૂચિત જાતિના સાહિત્યકારો દાસીજીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ ઍવોર્ડ માટે અરજી કરી શકશે. આ બંને ઍવોર્ડ માટે પચાસ-પચાસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. સાહિત્યકારોએ પોતાની શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ સાહિત્યકૃતિની સાત નકલ અરજી સાથે રજુ કરવાની રહેશે.
આ અંગે વધુ વિગતો માટે નિયામક, અનુ.જાતિ, કલ્યાણની કચેરી તેમજ જે તે જિલ્લાની નાયબ નિયામક, અનુ.જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ઍવોર્ડ અંગેના અરજીપત્રક https://sje.gujarat.gov.in/dscw પરથી મેળવી શકાશે તેમ અનુ.જાતિ કલ્યાણ નિયામકની યાદીમાં જણાવાયું છે.

