- Gujarat
- મોરબીના ગામમાં જોવા મળ્યો અજીબોગરીબ નજારો, કૂવાનું પાણી હિલોળે ચડ્યું; વીડિયો
મોરબીના ગામમાં જોવા મળ્યો અજીબોગરીબ નજારો, કૂવાનું પાણી હિલોળે ચડ્યું; વીડિયો
મોરબી તાલુકાના વીરપરડા ગામમાં આવેલા એક ખેતરના કૂવામાં છેલ્લા બે દિવસથી એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના જોવા મળી રહી છે. સામાન્ય રીતે સ્થિર રહેતું કૂવાનું પાણી અહીં કોઈ બાહ્ય કારણ વગર આપમેળે હિલોળે ચડ્યું છે. જમીનની અંદર જાણે દરિયામાં મોજાં ઊછળતા હોય તેવું દૃશ્ય સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું છે. આ અદભૂત ઘટના જોવા માટે આસપાસના ગામોમાંથી પણ લોકો સ્થળ પર પહોંચી રહ્યા છે. કોઈપણ જાતના બાહ્ય કારણ વગર કૂવાના પાણીમાં થયેલી આ અસામાન્ય હિલચાલને કારણે આસપાસના ગ્રામજનોમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, આ ઘટના વીરપરડા ગામના એક કૂવા પાસે આ અજીબોગરીબ નજારો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ દૃશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા, જેનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ અસામાન્ય ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. સામાન્ય રીતે ભૂગર્ભમાં થતી હિલચાલ, જમીન દબાણ અથવા ટેક્ટોનિક પ્લેટોમાં થતા ફેરફારોને કારણે આવી કુદરતી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ વૈજ્ઞાનિક કે સત્તાવાર પુષ્ટિ વગર આનું ચોક્કસ કારણ કહી શકાતું નથી.
https://twitter.com/NewsNationTV/status/2084565663491006760?s=20
morbinews.inના અહેવાલ મુજબ, લોકો તેની પાછળ કોઈ ભૂસ્તરીય અથવા વૈજ્ઞાનિક કારણ હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના અંગે પર્યાવરણવીદ અને નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર તેમજ નવરંગ નેચર ક્લબના વી.ડી. બાલાએ જણાવ્યું હતું કે તેમના લાંબા અનુભવ દરમિયાન તેમણે આવી ઘટના ક્યારેય જોઈ નથી. તેમના મત મુજબ આ કુદરતનો એક અનોખો કરિશ્મા હોઈ શકે, પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. તેમણે ઘટનાની વૈજ્ઞાનિક રીતે તપાસ થવી જરૂરી હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે વીડિયો ધ્યાનમાં રાખીને સંબંધિત સર્કલ અધિકારીને સ્થળ પર તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કૂવાના પાણીની સ્થિતિ, જમીનની રચના તથા અન્ય સંભવિત કારણોની ચકાસણી કરવામાં આવશે. તપાસનો અહેવાલ મળ્યા બાદ જ આ રહસ્યમય ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
સામાન્ય રીતે ભારે વરસાદ કે પૂરના કારણે ભૂગર્ભ જળસ્તરમાં અચાનક પલટો આવતો હોય છે, પરંતુ આ ઘટના માટે માત્ર વરસાદ જવાબદાર છે કે નહીં તે વિશે કોઈ સ્પષ્ટતા નથી. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, જમીનના પેટાળમાં થતી કોઈ આંતરિક પ્રક્રિયા અથવા ટેક્ટોનિક હિલચાલ પણ પાણીમાં આ પ્રકારની અસ્થિરતા સર્જી શકે છે.

