- Gujarat
- પી.પી. સવાણી સંચાલિત 'સેવા સંગઠન' દ્વારા સ્વ. વિપુલકુમાર કણકોટીયા પરિવારને આજીવન સહાયની અનોખી પહેલ
પી.પી. સવાણી સંચાલિત 'સેવા સંગઠન' દ્વારા સ્વ. વિપુલકુમાર કણકોટીયા પરિવારને આજીવન સહાયની અનોખી પહેલ
પી.પી. સવાણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘સેવા સંગઠન’ અને મહેશ સવાણીના માર્ગદર્શન હેઠળ માનવતા અને સેવાભાવનું હ્રદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. “સેવા સંગઠન”ના સક્રિય સભ્ય સ્વ. વિપુલકુમાર કણકોટીયા (સભ્ય નં. 2433, ઉંમર 40 વર્ષ)નું તા. 21-03-2026ના રોજ તેઓનું અચાનક નિધન થતા તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હસતું-ખેલતું પરિવાર એક પળમાં શોકમાં ગરકાવ થઈ ગયું, જ્યાં પરિવારજનો માટે આ ક્ષણો સહન કરવી મુશ્કેલ બની ગઈ છે.
આવા કપરા સમયમાં ‘સેવા સંગઠન’એ માત્ર સહાનુભૂતિ જ વ્યક્ત નથી કરી, પરંતુ પરિવાર માટે વાસ્તવિક સહારો બની આગળ આવ્યું છે. સ્વ. વિપુલકુમાર કણકોટીયા, જે સુરત શહેરના શેખપુરથી વેલંજા રોડ સ્થિત આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા હતા, તેમના પરિવારને હવે ‘સેવા સંગઠન’ દ્વારા આજીવન જવાબદારી ઉઠાવવામાં આવશે.

સંગઠન દ્વારા પરિવારના દૈનિક જીવનને સહેલુ બનાવવા માટે દર મહિને રૂપિયા 10,000/- ની આર્થિક સહાય (પેન્શન રૂપી) આજીવન ધોરણે આપવામાં આવશે. આ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ એક વિશ્વાસ છે કે પરિવારની પડખે “સેવા સંગઠન” અડીખમ ઉભું છે. સાથે જ, સ્વર્ગસ્થના બંને નાનકડા બાળકો, જે હાલ ધોરણ-2 અને ધોરણ-4માં અભ્યાસ કરે છે, તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ‘સેવા સંગઠન’ એ સંપૂર્ણ શિક્ષણ તથા શાળાની તમામ ફીની જવાબદારી ઉઠાવવાનો સંકલ્પ લીધો છે. આ નિર્ણય માત્ર મદદ નહીં, પરંતુ બાળકોના સપનાઓને પાંખ આપવાનો પ્રયાસ છે.

મહેશભાઈ સવાણીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે: “સેવા સંગઠન” માત્ર એક સંસ્થા નથી, પરંતુ એક પરિવાર છે. જ્યારે પરિવારનો એક સભ્ય અચાનક વિદાય લે છે, ત્યારે તેની પાછળ રહેલા પરિવારની જવાબદારી લેવી એ આપણી સૌની નૈતિક ફરજ બની જાય છે. અમે હંમેશા તેમના સાથે છીએ.” આ પહેલ સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ છે કે સાચી સેવા એ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કર્મોમાં દેખાય છે. “સેવા સંગઠન” ફરી એકવાર સાબિત કરી રહ્યું છે કે માનવતા આજે પણ જીવંત છે. વિશેષ આપ સર્વને જણાવાનું કે, આ પ્રકારની આકસ્મિક સહાય અને શૈક્ષણિક સુરક્ષા યોજના માત્ર “સેવા સંગઠન”ના સક્રિય સભ્યો અને તેમના પરિવારજનો માટે જ લાગુ પડે છે.

