- Gujarat
- સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા અને સંવેદનાનું મજબૂત કવચ બની રહી છે. સમાજ દ્વારા સમાજ માટે ચલાવવામાં આવતી આ અનોખી યોજના માત્ર આર્થિક સહાય પૂરતી સીમિત નથી, પરંતુ દુઃખની ઘડીમાં પરિવારની સાથે મજબૂતીથી ઉભા રહેવાની સામૂહિક જવાબદારી અને સંવેદનાનું જીવંત ઉદાહરણ પણ છે. થોડા દિવસ પહેલા PPSK યોજના અંતર્ગત સ્વ. રમેશભાઈ બફલીપરાના પરિવારને ₹10 લાખની સહયોગ નિધિ અર્પણ કરવામાં આવી હતી. અને હવે વધુ એક જરૂરિયાતમંદ પરિવાર સુધી સહાય પહોંચાડી છે, હૃદયરોગના હુમલાથી 47 વર્ષીય ઘનશ્યામભાઈ કાછડિયાના દુઃખદ અવસાન બાદ તેમના પરિવારને ₹10 લાખની સહયોગ નિધિનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે PPSK યોજના સમાજના પરિવારો માટે સાચા અર્થમાં સુરક્ષા કવચ બની રહી છે.
પરિવારના મોભીના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર પર દુઃખનો આઘાત આવ્યો હતો. આવી કપરા સમયમાં PPSK યોજના દ્વારા મળેલી આર્થિક સહાય પરિવાર માટે મહત્વપૂર્ણ બની છે. આ સહાય પરિવારને માત્ર નાણાકીય આધાર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ તેમની સાથે છે તેવો આત્મવિશ્વાસ અને હૂંફ પણ પ્રદાન કરે છે. મૃતકના પત્ની વિલાસબેન કાછડિયાએ ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે, “મારા પતિના અચાનક અવસાન પછી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં PPSK યોજના દ્વારા મળેલી ₹10 લાખની સહાય અમારા પરિવાર માટે ભગવાનના આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ સહાયથી પરિવારને આર્થિક રીતે મોટો આધાર મળ્યો છે અને ભવિષ્ય અંગેની ઘણી ચિંતાઓ ઓછી થઈ છે. સમગ્ર પાટીદાર સમાજ અને PPSK ટીમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.” સ્વ. ઘનશ્યામભાઈના પુત્રએ જણાવ્યું હતું કે, “પિતાના અવસાનથી અમારા પરિવારને ખૂબ મોટું નુકસાન થયું છે. પરંતુ PPSK યોજના હેઠળ મળેલી સહાયથી પરિવારને મહત્વપૂર્ણ આર્થિક પીઠબળ મળ્યું છે. આ સહાય માત્ર રકમ નથી, પરંતુ સમગ્ર સમાજ અમારા પરિવારની સાથે મજબૂતીથી ઉભો છે તેનો અહેસાસ કરાવે છે. હું તમામ પાટીદાર પરિવારોને આ યોજનામાં જોડાવા માટે અપીલ કરું છું.” સ્વ. ઘનશ્યામભાઈના ભાઈએ જણાવ્યું હતું કે, “પરિવારના સભ્યને ગુમાવવાનું દુઃખ કોઈપણ સહાયથી ઓછું થઈ શકતું નથી, પરંતુ PPSK યોજના દ્વારા પરિવારને મળેલી સહાય ખરેખર સહારારૂપ અને ઉપયોગી સાબિત થઈ છે. સમાજ દ્વારા સમાજ માટે ચલાવવામાં આવતી આ યોજના પ્રશંસનીય અને સમયની જરૂરિયાત સમાન છે. હું દરેક સમાજબંધુને વિનંતી કરું છું કે તેઓ PPSK સાથે જોડાઈને આ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવે.”
PPSK યોજના અંતર્ગત 18 થી 55 વર્ષના કાર્યરત સભ્યના અવસાનની દુઃખદ ઘટનામાં તેમના પરિવારને ₹10 લાખની સહયોગ નિધિ અર્પણ કરવામાં આવે છે, જેથી પરિવારને તાત્કાલિક આર્થિક આધાર મળી રહે અને પત્ની તથા સંતાનોના ભવિષ્યને સુરક્ષા મળી શકે. આજના અનિશ્ચિત સમયમાં જ્યારે પરિવારનો આધારસ્તંભ અચાનક છીનવાઈ જાય છે, ત્યારે આવી સહયોગી યોજના પરિવાર માટે નવી આશા, આત્મવિશ્વાસ અને સુરક્ષાનું કારણ બને છે. PPSKના હોદ્દેદારો અને આગેવાનોએ પરિવારને સાંત્વના પાઠવતાં જણાવ્યું હતું કે, “PPSK યોજના સમાજના દરેક પરિવાર માટે સુરક્ષા, સંવેદના અને સહકારનું મજબૂત કવચ બની રહી છે. સમાજના વધુમાં વધુ પરિવારો આ યોજના સાથે જોડાય અને આ સુરક્ષા વ્યવસ્થાનો લાભ મેળવે તે સમયની માંગ છે. સમાજની એકતા અને સહભાગિતાથી જ આ સુરક્ષા કવચ વધુ મજબૂત બની શકે છે.” આજે PPSK યોજના માત્ર સહાય યોજના નથી, પરંતુ પાટીદાર સમાજની એકતા, સંવેદના, સહકાર અને સામૂહિક જવાબદારીનું ઉત્તમ પ્રતિક બની રહી છે. મુશ્કેલીના સમયમાં કોઈપણ પરિવાર એકલો ન રહે અને સમાજ તેની સાથે મજબૂતીથી ઉભો રહે એ જ PPSK યોજનાનો મૂળ હેતુ અને સાચો સંદેશ છે. ચેક વિતરણ CA શૈલેષભાઈ લાખણકીયા, ખજાનચી (PPSK), મયંક કાપડીયા, સહજાનચી (PPSK), અને ચિરાગભાઈ કાછડીયા, કારોબારી મેમ્બર (PPSK)દ્વારા થયું હતું.

