- Gujarat
- જૂનાગઢની કન્યા હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક છોકરો રહ્યો
જૂનાગઢની કન્યા હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક છોકરો રહ્યો
જૂનાગઢના મોતીબાગ પાસે આવેલી પટેલ કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓ મેદાનમાં ઊતર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ જ્યાં સંસ્કાર અને સુરક્ષાનું સિંચન થવું જોઈએ, ત્યાં અત્યારે અહંકાર અને મનસ્વી વહીવટનો અખાડો જામ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. કારણ કે દોઢ મહિના બાદ જૂનાગઢ પટેલ કેળવણી મંડળમાં બનેલી ઘટના મામલે હાલ વાલીઓ મીડિયા સામે આવ્યા છે.
નવરાત્રિના સમય દરમિયાન એક છોકરો હોસ્ટેલમાં ઘૂસ્યો હતો તે સમયે મામલાને થાળે પાડી દેવામાં આવ્યો હતો. પરંતુ દોઢ મહિના અગાઉ બનેલી ઘટનાએ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના મોતીબાગ પાસે આવેલી અને ખેડૂતોના પરસેવાથી બનેલી ‘પટેલ કેળવણી મંડળ’ સંચાલિત કન્યા હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષાને લઈને મોટો વિવાદ વધ્યો છે. ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ અજાણ્યા યુવક ઘૂસી ગયા હોવાની જાણ થતા વાલીઓ સતર્ક બન્યા હતા.
ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક રહેનાર આવારા તત્વને પકડીને વાલીઓએ પોલીસને હવાલે કર્યો હતો. ટ્રસ્ટીઓના અસભ્ય વર્તન અને હોસ્ટેલમાં અજાણ્યા તત્વોના પ્રવેશને લીધે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ હવે ઉગ્ર બન્યો છે અને આજે સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોપ છે કે, આ ગંભીર બાબતે જ્યારે વાલીઓ સંસ્થાના ટ્રસ્ટીઓ પાસે રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે ઉકેલ લાવવાને બદલે ટ્રસ્ટીઓએ દુર્વ્યવહાર કર્યો હતો. વાલીઓનો દાવો છે કે પ્રમુખ કાંતિભાઈ ફળદુ અને અન્ય સ્ટાફે તેમને ગાળો આપી હતી અને ‘આ સંસ્થા અમારા બાપની જાગીર છે’ તેમ કહી અપમાનિત કરીને કાઢી મૂક્યા હતા.
આક્ષેપો પર સ્પષ્ટતા આપતા પટેલ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સવજીભાઈ મેનપરાએ કહ્યું કે, અગાઉ એક છોકરો હોસ્ટેલમાં આવ્યો હતો. તે છોકરો હોસ્ટેલની જ એક દીકરી સાથે સંબંધમાં હોવાથી અંદર આવી ગયો હતો અને સંતાઈ ગયો હતો. તે સમયે વાલીઓની સંમતિથી જ પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી, જેથી દીકરીઓની આબરૂ ન ખરડાય. હોસ્ટેલ સંપૂર્ણ સુરક્ષિત છે, CCTV કેમેરા અને મહિલા વોર્ડન દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. કેટલાક તત્વો સંસ્થાને બદનામ કરવા માટે વાલીઓને ઉશ્કેરી રહ્યા છે.’
સમાજના અગ્રણી નિલેશભાઈ અધેરા અને વાલી જીતુભાઈ જસાણીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘આ સંસ્થા છેવાડાના માનવી અને સામાન્ય ખેડૂતોના ફાળાથી ઉભી થઈ છે. ટ્રસ્ટીઓ અત્યારે સત્તાના નશામાં ચૂર થઈને તેને પોતાની અંગત મિલકત સમજી રહ્યા છે. એક સમયે 2000થી વધુ દીકરીઓ અહીં ભણતી હતી, જે સંખ્યા ઘટીને હવે માત્ર 600 થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ ટ્રસ્ટીઓની દાદાગીરી અને ભોજનની ખરાબ ગુણવત્તા છે.’
આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ મામલે પટેલ સમાજ આજે મહાસંમેલન કરવાનું છે. અને કલેક્ટર, SP અને IGને આવેદનપત્ર આપશે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના પુરાવાઓ સાથે વાલીઓ ધરણા પર બેસશે. સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે સમાજને જેમને સત્તા પર બેસાડતા આવડે છે તેમને ઉખેડીને ફેંકી દેતા પણ આવડે છે.

