- Gujarat
- ‘પત્નીને એક થપ્પડ મારવી એ ક્રૂરતા નથી...’, ગુજરાત હાઈકોર્ટે આવો ચૂકાદો કેમ આપ્યો?
‘પત્નીને એક થપ્પડ મારવી એ ક્રૂરતા નથી...’, ગુજરાત હાઈકોર્ટે આવો ચૂકાદો કેમ આપ્યો?
ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક તેને યોગ્ય ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને એકદમ ખોટો કહી રહ્યા છે. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે પતિ દ્વારા પત્નીને થપ્પડ મારવાની એક ઘટનાને ક્રૂરતા માની શકાય નહીં. ક્રૂરતાનો કેસ દાખલ કરવા માટે પૂરતા પુરાવા હોવા જરૂરી છે.
આખો મામલો વર્ષ 1996નો છે. કોર્ટે આ કેસમાં પોતાનો ચૂકાદો આપ્યો છે. દિલીપ વરલીએ અપીલ દાખલ કરી હતી, જેમાં તેણે વર્ષ 2003ના સેશન્સ કોર્ટના ચૂકાદાને પડકાર આપ્યો હતો. તે સમયે કોર્ટે દિલીપને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે તેને IPCની કલમ 306 હેઠળ આત્મહત્યાના મામલે તેને દોષિત ઠેરવ્યો હતો.
મહિલા પક્ષે આરોપ લગાવ્યો હતો કે યુવક તેને રોજ હેરાન કરતો હતો અને તેની સાથે મારામારી કરતો હતો. તેનાથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે યુવકે તેને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. પતિ રાત્રે પોતાની આવક વધારવા માટે બેન્જો વગાડતો હતો, જે પત્નીને ગમતું નહોતું અને આ જ તેમની વચ્ચે સામાન્ય ઝઘડાઓનું મુખ્ય કારણ હતું.
જસ્ટિસ ગીતા ગોપીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, ક્રૂરતા સાબિત કરવા માટે સતત અને અસહ્ય મારામારીના નક્કર પુરાવા જરૂરી છે. આ કેસમાં, દિલીપને અગાઉ નીચલી કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી હતી, જેને હાઇકોર્ટે રદ કરી દીધી છે.
આખો કેસ એક થપ્પડને લઈને છે. અપીલકર્તાએ કોર્ટને જણાવ્યું હતું કે તેની પત્ની તેને જાણ કર્યા વિના પિયર જતી રહી હતી. આનાથી માત્ર તે જ નહીં, પરંતુ તેની સાથે ઘણા અન્ય લોકો પરેશાન થયા હતા. આ જ કારણ છે કે, તેણે પત્નીને થપ્પડ મારી દીધી હતી. કોર્ટે પણ આને એક હિસાબે વાજબી માન્યું અને તેને ક્રૂરતાનો કેસ ન માન્યો.

