- Gujarat
- ગ્રેમી એવોર્ડ્સમાં સુરત અને ગુજરાતનો ડંકો વાગ્યો, જાણો કેમ
ગ્રેમી એવોર્ડ્સમાં સુરત અને ગુજરાતનો ડંકો વાગ્યો, જાણો કેમ
તાજેતરમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સંગીત એવોર્ડ શૉ ‘ગ્રેમી એવોર્ડ્સ 2026’ આયોજિત થયો હતો, જેમાં કંઈક આવું જ દૃશ્ય જોવા મળ્યું જેનાથી સુરત અને ગુજરાતનો ડંકો વિશ્વભરમાં વાગ્યો છે. સુરતની જાણીતી ફેશન-ડિઝાઈનર ટીના રાંકાએ પોતાની અદ્વભૂત કળા અને કોઠાસૂઝથી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાની ભવ્યતા વૈશ્વિક રેડ કાર્પેટ પર જીવંત કરી હતી.
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આયોજિત 2026ના ગ્રેમી એવોર્ડ્સના રેડ કાર્પેટ પર તેમના 'દિવ્ય કુટ્યોર' કલેક્શનની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ગ્રેમી માટે નામાંકિત થયેલી જાણીતી ગાયિકા આરતી ખેતરપાલે ટીના રાંકાએ ખાસ ડિઝાઈન કરેલો આ અદ્વભૂત પોશાક પહેર્યો હતો. આ પોશાક ન માત્ર ફેશનનું પ્રતિક હતો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ, પવિત્ર વૃંદાવન અને સોનાની નગરી દ્વારકાની શ્રદ્ધાનો સંગમ હતો.
આ સમગ્ર પોશાકનું મુખ્ય આકર્ષણ પિત્તળમાંથી બનાવવામાં આવેલી સાડી હતી. આ સાડીને તૈયાર કરવામાં કુશળ કારીગરોને લગભગ 1,800 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સાડીનું વજન લગભગ 12 કિલો છે, જે પ્રાચીન સોનાની નગરી દ્વારકાના વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. લાલ રંગના બ્લાઉઝ સાથે આ પિત્તળની સાડીનો સમન્વય પ્રેમ અને દિવ્ય ઊર્જાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
ન માત્ર પોશાક, પરંતુ એની સાથેના આભૂષણો પણ આધ્યાત્મિક અર્થોથી સભર હતા. આભૂષણોની દરેક ઝીણવટભરી વિગત ભારતીય સંસ્કૃતિની પવિત્રતા દર્શાવતી હતી, જેમાં સુદર્શન ચક્ર પ્રેરિત કંગન શક્તિ અને રક્ષણનું પ્રતિક છે. પોશાકમાં શ્રીરાધારાણીના ચરણચિહ્ન, કમળ, મોર, ગાય અને વાંસળી જેવાં પવિત્ર ચિહ્નોને અત્યંત સૂક્ષ્મતાથી કંડારવામાં આવ્યાં હતાં. હારની ડિઝાઈન ભગવાન શ્રીકૃષ્ણના રથ જેવી રાખવામાં આવી હતી, જેમાં બાળ કૃષ્ણ સાક્ષાત્ બિરાજમાન હોય એવો ભાસ થતો હતો.
ટીના રાંકાએ આ આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા સાબિત કરી દીધું છે કે ભારતીય સંસ્કૃતિ ન માત્ર પ્રાચીન છે, પરંતુ એે દરેક યુગમાં સુસંગત છે. ગાયિકા આરતી ખેતરપાલે જ્યારે આ પોશાક સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ 'મેટલ સાડી' અને એેની પાછળની કૃષ્ણભક્તિની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

