- Gujarat
- સુરતની સોસાયટીના લોકોને 13 વર્ષે હરાજીની નોટીસ આવી, બેંક કહે બિલ્ડરે 23 કરોડ...
સુરતની સોસાયટીના લોકોને 13 વર્ષે હરાજીની નોટીસ આવી, બેંક કહે બિલ્ડરે 23 કરોડ...
સુરતના શેખપુર વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીના રહિશોના પગતળેથી જમી ત્યારે ખસી ગઈ જ્યારે અચાનક સોસાયટીના હરાજીની નોટિસ રહીશોને મળી. વર્ષ 2009માં નિર્માણ થયેલી સોસાયટીના હરાજીની નોટિસ મળ્યા બાદ રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ બિલ્ડરની ઓફિસે હોબાળો મચાવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સુરતના શેખપુર વિસ્તારમાં વર્ષ 2009માં બનેલી હરિદર્શન સોસાયટીના હરાજીની નોટિસ મળતા સોસાયટીના રહીશો આશ્ચર્યમાં મૂકાયા છે. નોટિસ મળ્યા પછી રહીશોને 13 વર્ષ બાદ જાણ થઈ કે બિલ્ડરે સોસાયટીની જમીન પર લોન લીધેલી હતી અને આ લોનનું 23 કરોડ જેટલું લેણું બાકી છે. લેણું બાકી હોવાથી કંપનીએ હવે સોસાયટીના રહીશોને હરાજીની નોટિસ પાઠવી છે. આ હરાજી 4 માર્ચે કરવામાં આવશે. માહિતી મુજબ, સોસાયટીમાં 1450 જેટલા મકાન છે. ત્યારે હરાજીની નોટીસ મળતા રહીશોમાં બેઘર થવાની ચિંતા સેવાઈ રહી છે. આથી રહીશો મોટી સંખ્યામાં બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

મીડિયા અહેવાલ મુજબ, સોસાયટીના કેટલાક રહીશોએ જણાવ્યું કે, અમે પણ લોન પર ઘર લીધેલું છે. પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે સોસાયટીની જમીન પર બિલ્ડરે પહેલાથી લોન લીધેલી છે, જેનું લેણું બાકી છે. હવે સવાલ છે કે જ્યારે એક લોન પહેલાથી ચાલતી હતી તો પછી અમને મકાન માટે લોન કેવી રીતે આપવામાં આવી? આ સાથે સોસાયટીના સભ્યોએ આ પાછળ મોટું કૌભાંડ હોવાના આરોપ પણ લગાવ્યા છે. સૂત્રો મુજબ, રહીશોને હરાજી નહીં થવા દેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. પરંતુ, એનઓસી આપવા અને લેખિતમાં ખાતરી આપવાની રહીશોએ માગ કરી છે.

