- National
- બોરવેલ બન્યો જીવલેણ, 8 દિવસમાં એક જ પરિવારમાં ત્રણ લોકોના જીવ ગયા
બોરવેલ બન્યો જીવલેણ, 8 દિવસમાં એક જ પરિવારમાં ત્રણ લોકોના જીવ ગયા
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં બોરવેલને લગતા અકસ્માતોએ એક પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. માત્ર આઠ દિવસના સમયગાળામાં, પવાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નારાયણપુરા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થયા. શુક્રવારે, સતીશ વર્મન (32)નું અવસાન થયું. આ પહેલા, 20 ઓગસ્ટના રોજ તેમના પિતા ઉજાગર લાલ વર્મન (55) અને નાના ભાઈ અતિલ વર્મન (30) એ બોરવેલની અંદર મોટર રિપેર કરતી વખતે જીવ ગુમાવ્યા હતા. આ સતત મૃત્યુ બાદ, ગ્રામજનો વહીવટીતંત્રની કામગીરી અને બોરવેલ સંબંધિત સલામતીના પગલાં પર સવાલ ઉઠાવી રહ્યા છે.
20 ઓગસ્ટના રોજ, ઉજાગર લાલ વર્મન અને તેમનો પુત્ર અતિલ વર્મન મોટર રિપેર કરવા માટે નારાયણપુરા ગામમાં બોરવેલમાં ઉતર્યા હતા. આ દરમિયાન બંનેના મોત થયા; પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગૂંગળામણ હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદ, ગ્રામજનોએ વિસ્તારમાં ખુલ્લા અને અસુરક્ષિત બોરવેલ અંગે વહીવટીતંત્ર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. પરિવારના સભ્યો અને ગ્રામજનોનો આરોપ છે કે પહેલી ઘટના પછી પણ બોરવેલની સલામતી માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આ દરમિયાન, પરિવારના મોટા પુત્ર સતીશ વર્મનનું પણ હવે મૃત્યુ થયું છે.
સતીશ વર્મનના મૃત્યુના સમાચારથી સમગ્ર ગામમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. આટલા ટૂંકા ગાળામાં પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી ગ્રામજનો પણ સ્તબ્ધ છે; પરિવાર માટે આ દુર્ઘટના કોઇ મોટા આઘાતથી ઓછો નથી. ગ્રામજનોનું કહેવું છે કે પહેલી ઘટના બાદ, વહીવટીતંત્રને વિસ્તારમાં અસુરક્ષિત બોરવેલ અને જળસ્ત્રોતોનો સર્વે કરાવવો જોઈતો હતો. તેમનો આરોપ છે કે જો સમયસર સલામતીના પગલાં લેવામાં આવ્યામાં હોત, તો આવી ઘટનાઓને અટકાવી શકાઈ હોત.
ગ્રામજનોના મતે, પહેલી ઘટના બાદ ભાજપના જિલ્લા પ્રમુખે પણ વહીવટી તપાસની માંગ કરી હતી. જોકે, ગ્રામજનોનો દાવો છે કે આ સંદર્ભમાં અત્યાર સુધી કોઈ તપાસ કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સરપંચના પતિ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે પહેલા બે મૃત્યુ પછી જ વહીવટીતંત્ર સમક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી; જોકે, ન તો તપાસ હાથ ધરવામાં આવી છે કે ન તો અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે.
મૃતકના ભાઈ સતીશે જણાવ્યુંકે બોરવેલમાં નીચે ગયા હતા, ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેના મોઢામાં કડવાશ અનુભવાવાની વાત પણ જણાવી હતી. જોકે, સતીશના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ તપાસ અને પોલીસ તપાસ પછી જ જાણી શકાશે. સતીશ વર્મનને સાંજે પવઈ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પવઈ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. પ્રશાંત ભદૌરિયાએ પુષ્ટિ કરી હતી કે સતીશને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી છે; આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.

