- National
- PM મોદીના કાર્યક્રમમાં નારેબાજીથી મમતા બેનર્જી વિફર્યા, મંચ પર બેઠા જ નહીં
PM મોદીના કાર્યક્રમમાં નારેબાજીથી મમતા બેનર્જી વિફર્યા, મંચ પર બેઠા જ નહીં
પશ્ચિમ બંગાળના હાવડામાં PM મોદીના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા બાદ મમતા બેનર્જીએ મંચ પર બેસવાની ના પાડી દીધી હતી. રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મમતા એટલા ગુસ્સે થઈ ગયા હતા કે તેમણે રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવની વિનંતી પણ નકારી દીધી. વાસ્તવમાં મમતાના આગમન પર ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આના પર મમતા વિફરી ગયા હતા.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પણ તેમને બે હાથ જોડીને મંચ પર પધારવા વિનંતી કરી, પંરતું મમતા બેનર્જી માન્યા જ નહીં. મમતા મંચની સામે એક ખુરશીમાં બેસી ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના 7800 કરોડથી વધારેના ડેવલપમેન્ટ પ્રોજેકટનું ઉદઘાટન અને લોકાપર્ણ વર્ચુઅલી કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ આ વર્ચુઅલી કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળની પહેલી અને દેશની 7મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન હાવડા અને ન્યૂ જલપાઇગુડીને જોડશે.

આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતા, પરંતુ શુક્રવારે સવારે તેમના માતા હીરાબાનું અવસાન થવાને કારણે પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે એવી આશંકા હતી કે પ્રધાનમંત્રી આ આખા કાર્યક્રમમા હાજરી નહીં આપી શકશે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ધારિત સમય પર વીડિયો કોન્ફરન્સીંગથી જોડાવવાનું નક્કી કર્યું હતું.
#WATCH | 'Jai Shri Ram' slogans were raised on a platform at Howrah Railway station after the arrival of West Bengal CM Mamata Banerjee at the event where Vande Bharat Express was later flagged off by PM Modi through video conferencing. pic.twitter.com/PKAWPr9zSo
— ANI (@ANI) December 30, 2022

PM મોદીના વર્ચુઅલ કાર્યક્રમમાં હાજર રહેલાં ભાજપના કાર્યકરોએ મમતાની હાજરીમાં જય શ્રીરામના નારા લગાવવાનું શરૂ કર્યું હતું, આ વાતથી મમતા બેનર્જી એકદમ નારાજ થયા હતા અને મંચ પર બેસવાનો ઇન્કાર કરી દીધો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાને વારંવાર સમજાવવા છતા માન્યા નહીં ત્યારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાનું સંબોધન શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી ભેટ આપી છે. આ દર્શાવે છે કે તેઓ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ સર્વોપરી માને છે. તેમણે હંમેશા કહ્યું છે કે દેશનો વિકાસ ત્યારે જ થશે જ્યારે તમામ રાજ્યોનો વિકાસ થશે જેમાં પશ્ચિમ બંગાળનું મહત્વનું સ્થાન છે. વડા પ્રધાને પૂરતું ભંડોળ ફાળવ્યું છે. અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે જમીન સંપાદનમાં અમને મદદ કરે.

