- National
- નીરવ મોદી પાછો આવશે તો PNB કૌભાંડમાં પૂછપરછ નહીં થાય, ભારતે UKને આપ્યું આશ્વાસન
નીરવ મોદી પાછો આવશે તો PNB કૌભાંડમાં પૂછપરછ નહીં થાય, ભારતે UKને આપ્યું આશ્વાસન
ભારતે બ્રિટનને આશ્વાસન આપ્યું છે કે, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ બાદ પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડી કેસમાં તેની કોઈપણ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં નહીં આવે. આ કૌભાંડ લગભગ 13.5 હજાર કરોડનું છે. ભારતે બ્રિટનને કહ્યું કે, નીરવ મોદી માત્ર ટ્રાયલનો સામનો કરશે અને તેની અટકાયત કે પૂછપરછ કરવામાં નહીં આવે. બ્રિટિશ કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણની કાર્યવાહી ફરીથી ખોલવા માટેની અરજી સ્વીકાર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
આ અગાઉ, ઘણી બ્રિટિશ કોર્ટોએ નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી, જે હવે બ્રિટિશ સરકાર પાસે પેન્ડિંગ છે. જોકે, લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે તાજેતરમાં એક નવી અરજી સ્વીકારી હતી, જેથી ભારતની ચિંતા વધી હતી. આ અરજીમાં નીરવ મોદીએ તેની સંપૂર્ણ પ્રત્યાર્પણની કાર્યવાહી ફરીથી ખોલવાની માગ કરી હતી.
કોર્ટે અરજી સ્વીકારતા આરોપ લગાવ્યો કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, તો તેની અનેક એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ દરમિયાન તેને અત્યાચારનો સામનો કરવો પડી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ‘જવાબમાં, અમે 5 એજન્સીઓ તરફથી એક આશ્વાસન પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યાર્પણની સ્થિતિમાં નીરવ મોદી પર ભારતમાં માત્ર છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના ગુનાઓ માટે જ કેસ ચલાવવામાં આવશે, જેના માટે તેના પ્રત્યાર્પણનો આદેશ પહેલા જ અપાઈ ચૂક્યો છે. અમે લંડનના અધિકારીઓને આશ્વાસન આપ્યું છે કે તેને કોઈપણ એજન્સી દ્વારા કસ્ટડીમાં લેવામાં નહીં આવે અથવા પૂછપરછ નહીં કરવામાં આવે.’
અધિકારી દ્વારા ઉલ્લેખિત જે 5 એજન્સીઓનો ઉલ્લેખ કર્યો, તેમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય (SFIO), કસ્ટમ્સ અને આવકવેરા વિભાગનો સમાવેશ થાય છે. ભારતે બ્રિટનને એવું પણ આશ્વાસન આપ્યું છે કે નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે, જ્યાં કેદીઓ માટે રહેવાની સારી સ્થિતિ છે. આ અગાઉ ભારતે વર્ષ 2019 અને વર્ષ 2020માં બેરેક નંબર 12ના વીડિયો સાથે આ જ પ્રકારનું આશ્વાસન આપ્યું હતું, જેની બ્રિટિશ કોર્ટોએ પ્રશંસા કરી હતી.
ભારતનું આ આશ્વાસન ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (CPS) દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારતીય અધિકારીઓને અપેક્ષા છે કે મોદીની પ્રત્યાર્પણની કાર્યવાહી ફરી શરૂ કરવાની અરજી પહેલી સુનાવણીમાં જ ફગાવી દેવામાં આવશે. નીરવ મોદી, તેના મામા મેહુલ ચોક્સી, ભાઈ નેહલ મોદી અને અન્ય લોકો પર પંજાબ નેશનલ બેંક (PNB) સાથે લગભગ 13,500 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કૌભાંડમાં નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) દ્વારા લોન મેળવવામાં આવી હતી. નીરવ મોદી 19 માર્ચ 2019થી લંડનની બહારના વિસ્તારમાં આવેલી વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. તેને ભારતની પ્રત્યાર્પણ અનુરોધના આધારે સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 6,498 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કુલ 13,578 કરોડ રૂપિયાની છેતરપિંડીનો એક ભાગ છે, જેમાંથી લગભગ 7,000 કરોડ રૂપિયા તેના મામા મેહુલ ચોક્સી સાથે જોડાયેલા છે. આ અગાઉ, નીરવ મોદીને FEO એક્ટ, 2018 હેઠળ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. EDએ PMLA હેઠળ તેની 2,598 કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 981 કરોડ પીડિત બેંકોને પરત કરી દીધા છે.

