શિવાજી મહારાજ પર 23 વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તક પર ઓક્સફર્ડ પ્રેસે શા માટે માફી માંગી?
ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, અથવા ટૂંકમાં કહીએ તો OUPએ 2003માં છત્રપતિ શિવાજી મહારાજ પર પ્રકાશિત થયેલા પુસ્તક માટે જાહેરમાં માફી માંગી છે. મરાઠા રાજાના 13મા વંશજ ઉદયનરાજે ભોંસલેને માફી આપવામાં આવી છે. પ્રકાશન સંસ્થાએ સ્વીકાર્યું કે પુસ્તકમાં એવા નિવેદનો હતા જે યોગ્ય રીતે વેરિફાઇડ નહોતા. બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચના નિર્દેશ બાદ માફી માંગવામાં આવી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંથી એક માનવામાં આવે છે. જો કે, તાજેતરનો ઘટનાક્રમ દર્શાવે છે કે સંસ્થાઓ પણ ભૂલોથી મુક્ત નથી. આ મામલે, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયાએ તેની ભૂલ સ્વીકારી અને ઔપચારિક માફી માંગી. હકીકતમાં, શિવાજી મહારાજ પર વાંધાજનક સામગ્રી પ્રકાશિત કરવા બદલ 2005માં ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં OUP ઈન્ડિયાના તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર સૈયદ મંજાર ખાન સહિત અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
કયા પુસ્તકને લઈને વિવાદ?
આ વિવાદ અમેરિકન ઇતિહાસકાર જેમ્સ લેન દ્વારા લખાયેલ પુસ્તક ‘શિવાજી: હિન્દુ કિંગ ઇન ઇસ્લામિક ઇન્ડિયા’ને લઈને છે, જે 2003માં OUP દ્વારા પ્રકાશિત થયું હતું. આ પુસ્તક 17મી સદીના મરાઠા શાસક શિવાજી મહારાજના જીવનને વિવેચનાત્મક ઐતિહાસિક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરે છે. જોકે, અહેવાલો અનુસાર, પુસ્તકના કેટલાક અંશોમાં શિવાજી મહારાજના વંશ અને વ્યક્તિગત જીવનને લઈને ટિપ્પણીઓ હતી, જેને તેમના અનુયાયીઓ અને મરાઠા સમુદાયે ખૂબ જ અપમાનજનક માની હતી.
6 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલ જાહેર કરાયેલી માફીમાં, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે જણાવ્યું હતું કે, પુસ્તકના પાનાં નંબર 31, 33, 34 અને 93 પરના કેટલાક નિવેદનો વેરિફાઇડ નથી. પ્રકાશન ગૃહે આ નિવેદનો માટે દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું હતું કે તેનાથી ઉદયનરાજે ભોંસલે અને સામાન્ય જનતાને જે માનસિક પીડા અને આઘાત પહોંચ્યો છે તેના માટે તે માફી માંગે છે.
આ પુસ્તકને લઈને એટલો આક્રોશ હતો કે 2004માં, પુણેમાં ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BORI) પર હુમલો થયો હતો. સંભાજી બ્રિગેડ સાથે સંકળાયેલા 150થી વધુ કાર્યકરોએ સંસ્થામાં તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે સંશોધન સંસ્થાએ ઇતિહાસકારને વાંધાજનક સામગ્રી લખવામાં મદદ કરી હતી. આ ઘટનાએ શૈક્ષણિક સ્વતંત્રતા અને પ્રકાશકોની જવાબદારી પર દેશવ્યાપી બહેસ છેડી દીધી હતી. ત્યારબાદ, મહારાષ્ટ્ર સરકારે પુસ્તક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વિવાદ વધ્યા બાદ પુસ્તકના લેખક ‘જેમ્સ લેન’એ પણ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું ભારતને પ્રેમ કરું છું અને તેની સંસ્કૃતિના અભ્યાસ માટે મારું જીવન સમર્પિત કર્યું છે. મને ખૂબ જ દુઃખ છે કે મારા પુસ્તકને કરાણે આટલો વિવાદ ઉભો થયો છે. મારો ક્યારેય મહાન મહારાષ્ટ્રીયન નાયકને બદનામ કરવાનો ઇરાદો નહોતો.’
OUP ઈન્ડિયાના પ્રતિનિધિ રુચિકા ટંડને મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રકાશન સંસ્થા વિવિધ વિષયો અને દૃષ્ટિકોણ પર સામગ્રી પ્રકાશિત કરે છે. સંબંધિત પુસ્તક બે દાયકા કરતા વધુ સમય પહેલાં ભારતમાં ખૂબ ઓછા સમય માટે પ્રકાશિત થયું હતું અને વિવાદ ઊભો થતા જ તેને પાછું લઈ લેવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, OUP સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સંદર્ભોનું સન્માન કરવાનો પ્રયાસ કરે છે જેથી તેની સામગ્રી વૈશ્વિક વાચકો માટે સ્વીકાર્ય રહે.
મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ આ બાબતે ઓક્સફોર્ડ પ્રેસની માફીનું સ્વાગત કર્યું. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર પ્રકાશન સંસ્થા દ્વારા ઉઠવાવમાં આવેલા સુધારાત્મક પગલાં પર નજીકથી નજર રાખશે.
OUP અગાઉ પણ વિવાદોમાં રહી છે
આ પહેલી વખત નથી, જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ પર પ્રશ્નો ઉઠ્યા હોય. 2011માં, OUP ઇન્ડિયા પર સ્વ-સેન્સરશિપનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જ્યારે તેણે એ.કે. રામાનુજનના નિબંધોના પુનઃમુદ્રણને રોકી દીધું હતું. આ નિબંધમાં રામાયણના વિવિધ વ્યાખ્યાઓ હતી, જેમને કેટલાક દક્ષિણપંથી જૂથોએ વાંધાજનક ગણાવી હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની માફીને ઐતિહાસિક વિષયો પર લખાયેલી સામગ્રીની સંવેદનશીલતાને મહત્ત્વપૂર્ણ બનાવે છે.

